Get The App

પીએમે સીમાંકનનો ઉલ્લેખ ટાળીને રાજ્યોની ચિંતાઓ સામે આંખમીચામણા કર્યા

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
પીએમે સીમાંકનનો ઉલ્લેખ ટાળીને રાજ્યોની ચિંતાઓ સામે આંખમીચામણા કર્યા 1 - image

- મહિલા અનામતને ટેકો પણ તેના નામે થતાં સીમાંકનનો વિરોધ

- મહિલાઓ તેમને બહેકાવનારા પુરુષોને ઝડપથી ઓળખી લે છે: પ્રિયંકા ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ

નવી દિલ્હી : લોકસભામાં મહિલા અનામત અંગે બોલાવવામાં આવેલા ખાસ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણની સામે કોંગ્રેસે જણાવ્યું હતું કે પીએમ બીજું બધું જ બોલ્યા, બિલના દરેક પાસાને સ્પર્શ્યા, પરંતુ સીમાંકનના ચાવીરૂપ મુદ્દા પર જ ચૂપ રહ્યા. આમ તેમણે સીમાંકનના મુદ્દે દક્ષિણ, પૂર્વ, ઉત્તરપૂર્વ અને ઉત્તરની ચિંતાઓની ધરાર અવગણના કરી છે. 

કોંગ્રેસની સાંસદ પ્રિયંકા વાડરા ગાંધીએ જણાવ્યું હતું કે તે મહિલા અનામતનું સમર્થન કરે છે, પરંતુ તેની આડમાં થતા સીમાંકનનો વિરોધ કરે છે. તેમણે આ પ્રક્રિયાને કેન્દ્ર સરકાર દ્વારા બહેકાવવાની કાર્યવાહી ગણાવતા પીએમ મોદી પર મૂળ મુદ્દાથી બીજે ધ્યાન હટાવવાનો આક્ષેપ કર્યો. તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે વારંવાર બહેકાવનારા પુરુષોને મહિલાઓ ઝડપથી ઓળખી જાય છે.

કોંગ્રેસનો દાવો છે કે સરકાર બંધારણને ચાતરી જવા પ્રયત્ન કરી રહી છે અને લોકસભામાં સંભવિતપણે પરાજીત થનારા આ ત્રણ ઠરાવોને લઈને સિસ્ટમને હાઇજેક કરવા પ્રયત્ન કરી રહી છે. લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકન પંચ સ્થાપવાના બિલનો પરાભવ થશે તે નક્કી છે.

કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે જણાવ્યું હતું કે આપણા ગૃહસ્થ નથી તેવા વડાપ્રધાને લોકસભામાં મહિલા અનામત બિલને લઈને ફક્ત ૪૦ મિનિટનું જ ભાષણ આપ્યું. તે સીમાંકન સિવાયના દરેક મુદ્દાને તેમના ભાષણમાં સ્પર્શ્યા. તેમણે સીમાંકનનો ઉલ્લેખ કરવાનો પણ ટાળ્યો. 

સરકારે આ બિલ સર્વાનુમતે પસાર કરવા પર ભાર મૂક્યો હતો, પરંતુ સરકાર સર્વપક્ષીય ધોરણે વિશ્વાસ મેળવવા સિવાયનું બધું જ કરી ચૂકી છે. વડાપ્રધાને દાવો કર્યો છે કે સરકાર આ ુમુદ્દે દરેક રાજકીય પક્ષને મળી છે. પરંતુ સત્ય એ છે કે તેઓએ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી ૨૯મી એપ્રિલના રોજ પૂરી થયા પછી આ બિલ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવાની વિપક્ષના નેતાની માંગની ધરાર અવગણના કરી છે.

સરકારે આ બિલ મુદ્દે એકપણ રાજ્ય સાથે સલાહમસલત કરી નથી. જ્યારે સીમાંકનની કાર્યવાહી લોકસભા અને વિધાનસભા મતવિસ્તાર બંને સ્તરે થવાની છે, એવો દાવો તેમણે કર્યો હતો. આ સીમાંકન કેવી રીતે થશે તેના અંગે સરકારે કશું પણ લેખિતમાં આપવા ઇન્કાર કર્યો છે. રમેશે જણાવ્યું હતું કે પીએમે આ મુદ્દે ફક્ત ટેકનિકલ બહાનાબાજી જ કરે છે, જ્યારે મહત્ત્વના મુદ્દાઓની અવગણના કરી છે. 

આ વિસ્તારના લોકોની કાયદેસરની ચિંતાઓની ધરાર અવગણના કરવામાં આવી છે.