PM Modi On US Iran Peace Deal: અમેરિકા-ઈરાન શાંતિ કરારની જાહેરાત થઈ ગઈ છે અને શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં તેના પર હસ્તાક્ષર થવાના છે. વિશ્વભરના નેતાઓએ તેનું સ્વાગત કર્યું છે. તેવામાં અમેરિકા-ઈરાન ડીલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, 'સંઘર્ષનો અંત લાવવા માટે આ કરારને આવકારીએ છીએ. હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા છે...'
અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું નિવેદન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં પીએમ મોદીએ લખ્યું કે, 'પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારનું હું સ્વાગત કરું છું. આ સંઘર્ષને કારણે વિશ્વભરમાં ગંભીર આર્થિક ઉથલપાથલ થઈ છે અને ઘણા દેશોમાં જાનમાલનું નુકસાન થયું છે. ભારતને આશા છે કે, આ કરારના અમલીકરણથી શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે, તેમજ હિલચાલ અને વેપારની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. અમને આશા છે કે બાકીના મુદ્દાઓ પર વાટાઘાટો કાયમી અને અંતિમ સમાધાન તરફ દોરી જશે.'
અમેરિકા-ઈરાન શાંતિ કરાર
યુએસ અને ઈરાને તેમના ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે એક માળખાગત કરારની જાહેરાત કરી છે. બંને પક્ષોએ પુષ્ટિ આપી છે કે, આગામી 19 જૂનના રોજ સ્વિટ્ઝર્લૅન્ડમાં ઔપચારિક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
સમાચાર એજન્સી ઍસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, પ્રસ્તાવિત કરારમાં લશ્કરી કાર્યવાહીનો અંત લાવવા, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી શરૂ કરવા અને યુએસ નૌકાદળ નાકાબંધી હટાવવાનો સમાવેશ થાય છે. જ્યારે ભવિષ્યની વાટાઘાટો માટે ઈરાનના પરમાણુ કાર્યક્રમને છોડી દેવાનો સમાવેશ થાય છે. મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા પાકિસ્તાને જાહેરાત કરી કે બંને દેશો લેબેનૉન સહિત તમામ મોરચે લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અને કાયમી ધોરણે બંધ કરવા સંમત થયા છે.
ટ્રમ્પે શું કહ્યું?
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર આ મોટી જાહેરાત કરતાં કહ્યું કે, 'ઈરાન સાથેનો કરાર હવે પૂર્ણ થયો છે. બધાને અભિનંદન! હું અહીંથી હોર્મુઝ સ્ટ્રેટને મુક્ત રીતે ખોલવા તેમજ યુએસ નૌકાદળના નાકાબંધીને તાત્કાલિક હટાવવાની મંજૂરી આપું છું.'


