International Jewar Airport Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે(28 માર્ચ) ઉત્તરપ્રદેશના જેવરમાં નોઇડા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઍરપૉર્ટ દિલ્હી-NCR વિસ્તારનું બીજું મોટું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બનશે, જેનાથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) ઍરપૉર્ટ પર મુસાફરોનો વધતો જતો ભાર ઓછો કરવામાં મોટી મદદ મળશે.
કાર્યક્રમની વિગતો મુજબ, વડાપ્રધાને સવારે લગભગ 11:30 વાગ્યે ઍરપૉર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ બપોરે 12 વાગ્યે વિધિવત રીતે તેનું લોકાર્પણ કર્યું હતું. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરી હતી, જેમાં તેમણે આ પ્રોજેક્ટના મહત્ત્વ અને તેનાથી થનારા વિકાસના ફાયદાઓ વિશે વાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ જેવર ઍરપૉર્ટનું કર્યું ઉદ્ધાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિમોટનું બટન દબાવીને જેવર ઍરપૉર્ટનું પહેલા તબક્કાનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને કહ્યું કે, જેવર ઍરપૉર્ટનું અસલી ઉદ્ધાટન તમે લોકો કરો. તેમણે કહ્યું કે, મેં તો માત્ર પડદો હટાવ્યો છે. તમે લોકો જ ઉદ્ધાટનના અસલી હકદાર છો. તમે મોબાઇલની લાઇટ કરીને ઉદ્ધાટન કરો.
આ ઍરપૉર્ટના પ્રથમ તબક્કાની ક્ષમતા વાર્ષિક અંદાજે 1.2 કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની છે. જેવર ઍરપૉર્ટ માત્ર મુસાફરી માટે જ નહીં પરંતુ કાર્ગો અને કનેક્ટિવિટીની દૃષ્ટિએ પણ ઉત્તરપ્રદેશ અને આસપાસના રાજ્યો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ભવિષ્યમાં આ ઍરપૉર્ટનો વધુ વિસ્તાર કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મિડલ ઈસ્ટમાં યુદ્ધને લઈને PM મોદીએ શું કહ્યું?
પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ મિડલ ઈસ્ટ અંગે કહ્યું કે, 'સરકાર એવા દરેક પગલાં ભરી રહી છે જેથી ખેડૂતો પર કોઈ બોજ ન પડે. ભારત મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) સંકટનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે. આજે આખી દુનિયા ચિંતામાં છે, મિડલ ઈસ્ટમાં છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે ઘણા દેશોમાં ખાવા-પીવાની વસ્તુઓ, પેટ્રોલ, ખાતર અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનું સંકટ ઊભું થયું છે અને ભાવમાં ઘણો વધારો થયો છે. દરેક દેશ આ સંકટનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આપણું ભારત પણ આ સ્થિતિથી પ્રભાવિત છે. ભારત ઘણું ખરું કાચું ઓઇલ એવા વિસ્તારોમાંથી આયાત કરે છે જે આ સંઘર્ષથી પ્રભાવિત છે. તેથી સરકાર દરેક શક્ય પગલાં લઈ રહી છે જેથી આ સંકટનો બોજ સામાન્ય જનતા પર ન પડે.'
'યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો...'
140 કરોડ દેશવાસીઓ ખૂબ મહેનત કરે અને વૈશ્વિક સંકટનો એકજૂટ થઈને સામનો કરે. આપણે શાંત મનથી, ધીરજ અને એકતા રાખીને સાથે મળીને આ સંકટનો સામનો કરવાનો છે. આ સમગ્ર વિશ્વમાં મુશ્કેલી સર્જનારું સંકટ છે, આપણે પોતાના દેશની સૌથી વધુ ચિંતા કરવાની છે, અને એજ ભારતીયોની સૌથી મોટી તાકાત છે. દેશવાસીઓ મળીને આ પડકારનો સામનો કરી રહ્યા છે. લોકોએ અફવાથી દૂર રહેવું જોઈએ.
'આપણે વિકસિત યુપી, વિકસિત ભારતના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ'
આજે જ્યાં પણ મારી નજર પડી રહી છે, મને માત્ર યુવાનો જ દેખાઈ રહ્યા છે. કારણ કે યુવાનો જાણે છે કે જે કામ થઈ રહ્યું છે, તે ભવિષ્યને નવી દિશા અને નવી ઉડાન આપશે. આજે આપણે 'વિકસિત યુપી, વિકસિત ભારત' અભિયાનના એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ. આજે ઉત્તરપ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય હોવાની સાથે સાથે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ ધરાવતું રાજ્ય પણ બની ગયું છે.
આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર: હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે 2 ભારતીય ઓઈલ ટેન્કર : રિપોર્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી
દેશનો સૌથી મોટો પ્રદેશ હવે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ ધરાવતા રાજ્યોમાંનું એક બની ગયું છે. આજે તેમના માટે ગર્વ અને પ્રસન્નતાના બે કારણો છે. પહેલું, તેમને આ ઍરપૉર્ટનું શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું અને હવે તેનું ઉદ્ઘાટન કરવાનું પણ સૌભાગ્ય મળ્યું છે. બીજું, જે ઉત્તરપ્રદેશે તેમને પોતાના પ્રતિનિધિ અને સાંસદ બનાવ્યા, તે જ ઉત્તરપ્રદેશની ઓળખ સાથે આ ભવ્ય ઍરપૉર્ટનું નામ જોડાઈ ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપા પર સાધ્યું નિશાન
પહેલા સપા સરકારમાં નોઇડાને માત્ર તેમની લૂંટનું ATM બનાવી દેવામાં આવ્યું હતું. પરંતુ આજે ભાજપની સરકારમાં તે જ નોઇડા ઉત્તરપ્રદેશના વિકાસનું સશક્ત એન્જિન બની રહ્યું છે. 2004થી 2014 સુધી આ ઍરપૉર્ટ માત્ર ફાઇલોમાં જ દબાયેલું રહ્યું. ત્યારે સપા સરકારે આ પ્રોજેક્ટને આગળ વધવા દીધો નહોતો. પરંતુ જેવી અહીં ભાજપની સરકાર બની, તેનું શિલાન્યાસ થયું અને હવે આ ઍરપૉર્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયું છે.
'મને પણ ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો'
નોઇડાને પહેલા અંધશ્રદ્ધાના કારણે તેના હાલ પર છોડી દેવામાં આવ્યું હતું. પહેલાની સરકારો ખુરશી જવાની બીકે અહીં આવતા પણ ડરતી હતી. મને યાદ છે, જ્યારે અહીં સપા સરકાર હતી અને મેં નોઇડા આવવાનો કાર્યક્રમ બનાવ્યો, તો મુખ્યમંત્રી એટલા ડરેલા હતા કે તેઓ તે કાર્યક્રમમાં આવ્યા નહોતા. મને પણ ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું, “નોઇડા ન જાઓ, મોદીજી, હમણાં જ વડાપ્રધાન બન્યા છો.” પરંતુ મેં કહ્યું, “હું તે ધરતીના આશીર્વાદ લેવા જઈ રહ્યો છું, જે મને લાંબા સમય સુધી સેવા કરવાની તક આપશે.” આજે તે જ વિસ્તાર આખી દુનિયાનું સ્વાગત કરવા તૈયાર છે અને આ સમગ્ર ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના સંકલ્પને સશક્ત કરી રહ્યું છે.
આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ટ્રમ્પ ફસાયા, અમેરિકામાં ઍરપૉર્ટ પર અચાનક જ નેશનલ ઈમરજન્સી જાહેર કરી
'ઍરપૉર્ટ પ્રગતિને નવી ઉડાન પણ આપે છે'
કોઈપણ દેશમાં ઍરપૉર્ટ માત્ર એક સામાન્ય સુવિધા નથી હોતી, પરંતુ તે પ્રગતિને નવી ઉડાન પણ આપે છે. વર્ષ 2014 પહેલા દેશમાં માત્ર 74 ઍરપૉર્ટ હતા, પરંતુ આજે તેમની સંખ્યા 160થી પણ વધુ થઈ ગઈ છે. હવે હવાઈ કનેક્ટિવિટી માત્ર મહાનગરો સુધી સીમિત નથી રહી, પરંતુ દેશના નાના-નાના શહેરો સુધી પણ પહોંચી રહી છે. પહેલાની સરકારો માનતી હતી કે હવાઈ મુસાફરી માત્ર અમીરો માટે હોવી જોઈએ, પરંતુ ભાજપ સરકારે તેને સામાન્ય ભારતીયો માટે પણ સરળ અને સુલભ બનાવી દીધી છે.


