Get The App

પીએમ મોદીના હસ્તે દુનિયાની સૌથી મોટી એઆઈ સમિટનું ઉદઘાટન

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
પીએમ મોદીના હસ્તે દુનિયાની સૌથી મોટી એઆઈ સમિટનું ઉદઘાટન 1 - image

- પીએમ મોદીએ એઆઈ સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સની મુલાકાત લીધી

- એઆઈને બેફામ રીતે વિકસવાની છૂટ નહીં મળે, નિયંત્રિત માળખામાં જ વિકાસ કરી શકશે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હી : ભારતમાં વિશ્વની સૌથી મોટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સમિટનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આશ્ચર્યની વાત એ છે કે એઆઈના ત્રણ માંધાતા ગૂગલના સુંદર પિચાઈ, ઓપન એઆઈના સામ ઓલ્ટમેન અને એન્થ્રોપિકના ડારિયો એમોડેઇની ગેરહાજરી છતાં પણ એકદમ જામપેક્ડ હોલમાં પીએમ મોદીએ આ એઆઈ સમિટનો આરંભ કર્યો હતો. આ સમિટ ૨૦મી ફેબુ્રઆરી સુધી ચાલશે. 

ભારત મંડપમ ખાતે યોજાયેલી આ એઆઈ સમિટમાં પ્રતિનિધિઓ, સ્પીકરો અને મહેેમાનોને આવકારતા મોટા બિલબોર્ડ લગાવવામાં આવ્યા હતા. એઆઈ સમિટના અંતિમ બે દિવસ ૧૯ અને ૨૦મી ફેબુ્રઆરીના રોજ વીસ દેશના વડા પણ ભાગ લેશે. તેમા ફ્રાન્સના પ્રમુખ મેક્રો અને બ્રાઝિલના પ્રમુખ લુલા ડા સિલ્વાનો પણ સમાવેશ થાય છે. ૧૬થી ૨૦ ફેબુ્રઆરી દરમિયાન યોજાનારી આ સમિટમાં ૩,૨૫૦ વક્તાઓ અને ૫૦૦થી પણ વધુ સત્રો હશે.

એઆઈ ઇન્ડિયા ઇમ્પેક્ટ એક્સ્પોમાં ૬૦૦થી વધુ સંભવિત સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ રહ્યા છે અને ૧૩ કન્ટ્રી પેવેલિયન પણ તેનો હિસ્સો બન્યા છે. આના પરથી એઆઈ ઇકોસિસ્ટમમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પણ નજરે પડે છે. પીએમ મોદીએ એક્સ્પોમાં ભાગ લેનારા સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદ કર્યો હતો.આ એક્સ્પો ગ્લોબલ ટેકનોલોજી ફર્મ્સ, સ્ટાર્ટઅપ્સ, એકેડેમિયા અને રિસર્ચ ઇન્સ્ટિટયુશન્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારો તથા આંતરરાષ્ટ્રીય ભાગીદારોને એક જ પ્લેટફોર્મ્સ પર લાવે છે. આ એકસ્પો કુલ ૭૦ હજાર ચોરસ મીટરથી વધુ જગ્યામાં ફેલાયું છે. 

એઆઈ સમિટ્સના ઉદઘાટન વચ્ચે કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે એઆઈને ખુલ્લી છૂટ આપવામાં નહીં આવે. ટેકનોલોજીની સાથે-સાથે કાયદાકીય રીતે મજબૂત અને ટેકનોલોજીકલ સુરક્ષા માળખુ બનશે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ક્રીએટર્સ, કોપીરાઇટ, બાળકોની સલામતી અને સામાજિક વિશ્વાસ સર્વોપરી છે. સરકાર પણ એઆઈની વૃદ્ધિની સાથે-સાથે રિસ્કીલ, અપસ્કીલ અને ન્યુસ્કિલ કાર્યક્રમો પર ભાર મૂકી રહી છે. 

વર્તમાન વર્કફોર્સને નવા કૌશલ્યથી સજ્જ કરવામાં આવશે. માનવ રચનાત્મકતાની સુરક્ષા કેન્દ્રની ટોચની અગ્રતા હશે. 

તેમણે જણાવ્યું હતું કે ભારત ટેકનોલીગલ ફ્રેમવર્ક અપનાવશે. તેનો અર્થ એમ કરી શકાય કે  ટેકનોલોજીકલ ઉપાય પણ સાથે-સાથે લાગુ કરવામાં આવશે.