Get The App

‘12 વર્ષમાં ભારતનો વિકાસ બમણો થયો’, PM મોદીનું પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
‘12 વર્ષમાં ભારતનો વિકાસ બમણો થયો’, PM મોદીનું પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન 1 - image

PM Modi in Paris : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે શહેરની વિવિધતા અને ત્યાં વસતા ભારતીયોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ‘પેરિસ રોશનીનું શહેર છે. આ રંગોનું શહેર છે. અહીં વિચારો છે અને ઈનોવેશન માટેની પ્રેરણા છે.’ વડાપ્રધાને ઉમેર્યું કે ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા ભારતીયો આ શહેરને વધુ સુંદર બનાવે છે અને ‘તમે બધા પેરિસને નવા રંગોથી ભરી દો છો.’

‘ભારતનો દરેક ખૂણો અહીં જોવા મળે છે’

ભારતીય સમુદાયની વિવિધતાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ‘અહીં કોઈ તમિલ છે, કોઈ પંજાબી છે, કોઈ ગુજરાતી છે, કોઈ મરાઠી છે તો કોઈ બંગાળી છે. ભારતનો દરેક ખૂણો અહીં જોવા મળે છે.જ્યારે હું 14 જૂને નીસ પહોંચ્યો, ત્યારે સૌથી પહેલા મેં ભારત ઈનોવેટ્સ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજે જ્યારે હું ફ્રાન્સથી પરત ફરવાની તૈયારી કરી રહ્યો છું, ત્યારે મને એવું લાગે છે કે હું ભારત કનેક્ટ કાર્યક્રમમાં આવ્યો છું. જે રીતે તમે 21મી સદીના ભારત-ફ્રાન્સ સંબંધોને જોડ્યા છે, તે અમારી વ્યૂહાત્મક ભાગીદારીની એક મોટી તાકાત બની રહ્યું છે. હું તમારા માટે 1.4 અબજ ભારતીય નાગરિકો તરફથી શુભેચ્છાઓ લાવ્યો છું. આ સ્વાગત માટે હું તમારા બધાનો આભાર માનું છું.’

‘ચા વેચનારને આ પદ સુધી પહોંચાડ્યો તે ભારતના લોકશાહીની તાકાત’

પોતાના કાર્યકાળ વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, ‘સતત 12 વર્ષ સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવી એ મારા જીવનનું બહુ મોટું સૌભાગ્ય રહ્યું છે. આ ભારતના લોકશાહીની જ તાકાત છે કે એક ચા વેચનારને આ પદ સુધી પહોંચાડ્યો છે. છેલ્લા 12 વર્ષ 140 કરોડ ભારતીયોની અદભુત ક્ષમતાનું પ્રમાણ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ભારતની જીડીપી, એરપોર્ટની સંખ્યા, યુનિવર્સિટીઓની સંખ્યા અને હાઈવેનું નિર્માણ બમણું થઈ ગયું છે.’

‘25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા’

નવા ભારતની પ્રગતિ વિશે પીએમ મોદીએ કહ્યું કે, ‘આજે નવા ભારતની વાર્તા માત્ર આર્થિક પ્રગતિની વાર્તા નથી અને તે ત્યાં સુધી સીમિત પણ નથી. આ સામાજિક પરિવર્તનની પણ વાર્તા છે. છેલ્લા 12 વર્ષોમાં દેશના 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.’ ભારતની કામગીરીની ઝડપ અંગે તેમણે જણાવ્યું કે, ‘છેલ્લા 12 વર્ષોમાં ભારતની નિકાસ 35 ગણી વધી છે અને ભારતમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની સંખ્યા 100 ગણી વધી ગઈ છે.’