Shillong-Silchar Corridor : વડાપ્રધાને આસામમાં આજે એવા કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે, જેનાથી એક સાથે પાંચ રાજ્યોને ફાયદો થશે. વડાપ્રધાને આજે શિલાંગ-સિલચર કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કર્યું છે, જેનાથી આસામ સહિત મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર સહિતની કનેક્ટિવીટીમાં વધારો થશે. વડાપ્રધાન આ પ્રસંગે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા છે. વડાપ્રધાને કહ્યું છે કે, કોંગ્રેસ યુદ્ધ જેવા ગંભીર સમયમાં દહેશત ફેલાવવાની કામગીરી કરી રહી છે.
ગુવાહાટી-સિલચર વચ્ચેનો સફર 8.5થી ઘટીને 5 કલાક થશે
પ્રોજેક્ટ તૈયાર થયા બાદ હાલ ગુવાહાટી-સિલચર વચ્ચેની સફર પૂરી કરવામાં જે 8.5 કલાકનો સમય લાગે છે, તે માત્ર પાંચ કલાકમાં પૂર્ણ થઈ શકશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ કોરિડોર ઉત્તર-પૂર્વ ભારતનો પ્રથમ એવો કોરિડોર છે, જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફીલ્ડ સાથે ચાર-લેન હાઇ-સ્પીડમાં તૈયાર થવાનું છે. પ્રથમ તબક્કામાં કેપિટલ પોઇન્ટ પાસે ટ્રંક રોડથી રંગિરખારી પોઇન્ટ સુધીના નેશનલ હાઇવે પર એલિવેટેડ કોરિડોરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.
આસામના કોરિડોરથી પડોશી રાજ્યોને પણ થશે ફાયદો
22,860 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલો 166 કિલોમીટર લાંબો કોરિડોર તૈયાર થયા બાદ ગુવાહાટી અને સિલચર જવાનો સમય ઘણો ઘટી જશે. હાલ આ સફર પૂરો કરવામાં 8.5 કલાકનો સમય લાગે છે, ત્યારે કોરિડોર તૈયાર થયા બાદ સફર માત્ર પાંચ કલાકમાં પુરો કરી શકાશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ પ્રોજેક્ટથી આસામ અને મેઘાલય બંનેને આર્થિક ફાયદો થવાનો છે, જેમાં વેપાર, પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. આ ઉપરાંત વ્યસ્ત રસ્તાઓ પર થતા ટ્રાફિક જામમાંથી પણ મોટી રાહત મળશે. આ સાથે મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર જેવા પડોશી રાજ્યો સાથેની કનેક્ટિવીટીમાં પણ વધારો થશે.
આસામમાં કૃષિ મહાવિદ્યાલયનું પણ ખાતમુહૂર્ત
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી હિમંતા બિસ્મા સરમાએ કહ્યું કે, ભારત વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય તરફ ઝડપથી વધી રહ્યું છે, તેમાં આસામ મહત્ત્વની ભૂમિકા નિભાવવા ઇચ્છે છે. અમારી સરકાર રાજ્યને એક મજબૂત અને વિકસિત રાજ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પહેલા વડાપ્રધાને કરીમગંજ જિલ્લાના પથારકંડીમાં નવા કૃષિ મહાવિદ્યાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સંસ્થા આસામમાં કૃષિ શિક્ષણ અને સંશોધનને મજબૂત કરશે તેમજ બરાક ખીણ તથા આસપાસના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને પોતાના ઘર પાસે જ ઊચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળશે.
કોકરાઝાર અને ગુવાહાટીમાં પણ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
વડાપ્રધાને 13 માર્ચે પણ આસામના કોકરાઝારમાં 4570 કરોડ રૂપિયાથી વધુના જુદા જુદા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગુવાહાટીમાં 19577.58 કરોડ રૂપિયાના પાણી, વીજળી, રેલવે સહિતના 13 પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
વડાપ્રધાન મોદીએ આસામની પ્રજાને સંબોધન કરતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ યુદ્ધ જેવા સંવેદનશીલ સમયમાં દહેશત ફેલાવવાનું રાજકારણ રમી રહી છે. કેટલાક લોકો ભારત વિરોધી તાકાતના હાથોની કઠપૂતળી બની જાય છે અને દેશનો માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશની સુરક્ષા અને એકતા સાથે ક્યારે રાજકારણ ન થવું જોઈએ. પરંતુ કોંગ્રેસ સતત એવા નિવેદનો આપી રહી છે, જે દેશના હિતમાં નથી.’
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત


