Get The App

દેશમાં ગેસની અછત મુદ્દે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, જયશંકર અને હરદીપ પુરી રહ્યા હાજર

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
દેશમાં ગેસની અછત મુદ્દે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, જયશંકર અને હરદીપ પુરી રહ્યા હાજર 1 - image

PM Modi High-Level Meeting: ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર ભારતના રસોડા સુધી પહોંચી છે. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સપ્લાય ખોરવી નાખવામાં આવતા ભારતમાં LPG ગેસની અછત સર્જાઈ છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ઘરેલુ ગ્રાહકો માટે ગેસનો પુરવઠો જાળવી રાખવા કડક આદેશ આપ્યા છે.

PM મોદીની અધ્યક્ષતામાં બેઠક

અહેવાલો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી હાજર રહ્યા હતા. આ બેઠકમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ખોરવાયેલા સપ્લાય ચેઇનનો વિકલ્પ શોધવા ચર્ચાઓ થઈ શકે છે. દેશના સામાન્ય નાગરિકોને રસોઈ ગેસ(LPG)ના પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે તે અંગે પર ચર્ચા થઈ શકે છે. 

ઘરેલુ ગ્રાહકોને અગ્રતા

હાલમાં, કેન્દ્ર સરકારનું ધ્યાન ઘરેલુ ગ્રાહકોને ગેસ સિલિન્ડરનો પુરવઠો ઓછો ન થાય તેની ખાતરી કરવા પર છે. પરિણામે, ઔદ્યોગિક એકમોને પુરવઠો ઓછો કરવામાં આવ્યો છે. વધુમાં, ઓછા વાણિજ્યિક સિલિન્ડર પૂરા પાડવામાં આવી રહ્યા છે. હોટેલ ઉદ્યોગે આનો વિરોધ કર્યો છે, કારણ કે તેમના વ્યાપારી કાર્યો આ સિલિન્ડરો પર આધારિત છે. આવી સ્થિતિમાં, હોટેલ ઉદ્યોગ પોતે જ બંધ થવાના જોખમનો સામનો કરે છે. આગામી થોડા દિવસો દેશમાં LPG સિલિન્ડરોના પુરવઠા માટે નિર્ણાયક બની શકે છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ ભારતના મોટાભાગના ઓઇલ અને ગેસ પુરવઠાનો સ્ત્રોત છે.

આ પણ વાંચો: યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો આ યોગ્ય સમય છે: મુસ્લિમ મહિલાઓના હક મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

ભારતની આયાત પર નિર્ભરતા

વૈશ્વિક કટોકટી ભારત માટે ચિંતાનો વિષય છે કારણ કે, ભારત તેની કુલ LPG જરૂરિયાતનો 62% ભાગ વિદેશથી આયાત કરે છે. ક્રૂડ ઓઇલ માટે ભારતની નિર્ભરતા 85% જેટલી ઊંચી છે. હોર્મુઝ સ્ટ્રેટ એ ભારત માટે ઓઇલ અને ગેસનો મુખ્ય સ્ત્રોત છે; જે લાંબો સમય બંધ રહે તો કટોકટી વધુ ઘેરી બની શકે છે.

બે દાયકા પહેલાની સરખામણીએ આજે દેશની મોટાભાગની વસ્તી રસોઈ માટે સંપૂર્ણપણે LPG પર નિર્ભર છે. ગેસની અછત જનતામાં વ્યાપક ગુસ્સો પેદા ન કરે તે માટે કેન્દ્ર સરકાર યુદ્ધના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થાઓ પર કામ કરી રહી છે. આગામી થોડા દિવસો ભારત માટે 'નિર્ણાયક' માનવામાં આવી રહ્યા છે.