Get The App

TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA 1 - image

Parliament Crisis | કેન્દ્રની સત્તા પર કાબિજ ભાજપના નેતૃત્વ હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) લોકસભામાં પોતાની તાકાત પ્રચંડ રીતે વધારવાની યોજના પર કામ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં સર્જાયેલી બળવાખોરી બાદ હવે વિપક્ષી ખેમાની વધુ એક મોટી પાર્ટી- ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના (UBT) માં પણ મોટું ભંગાણ પડવાના સંકેત મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતીનો જાદુઈ આંકડો મેળવવા માટે NDA વિપક્ષી સાંસદોને પોતાના પાલામાં લાવવાની મજબૂત કવાયત કરી રહ્યું છે.

ઉદ્ધવ ઠાકરેના 6 સાંસદો બદલી શકે છે પક્ષ

એક અહેવાલ અનુસાર, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની એકતરફી જીત બાદથી જ ઉદ્ધવ જૂથમાં અસંતોષની અટકળો ચાલી રહી હતી, જે હવે વધુ તેજ બની છે. હાલમાં લોકસભામાં શિવસેના (UBT) પાસે કુલ 9 સાંસદો છે. પક્ષપલટા વિરોધી કાયદા (Anti-Defection Law) હેઠળ પોતાની સાંસદ સભ્યપદ બચાવવા માટે આ જૂથના ઓછામાં ઓછા 6 સાંસદોએ એકસાથે પક્ષ છોડવો પડે તેમ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ બળવાખોર સાંસદો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની અસલી 'શિવસેના' માં જોડાઈ શકે છે.

મુંબઈ પૂરતું સીમિત થઈ રહ્યું છે ઉદ્ધવ ઠાકરેનું વર્ચસ્વ?

એકનાથ શિંદેની મજબૂત પકડ: મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાની મજબૂત જમીની પકડ અને સામાન્ય જનતા વચ્ચે સરળતાથી ઉપલબ્ધ રહેવાની છબીને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉદ્ધવ જૂથને નબળું પાડવામાં સફળ રહ્યા છે.

પ્રભાવ ઘટ્યો: શિંદેએ ઠાકરે જૂથના ઘણા પ્રભાવશાળી નેતાઓને પોતાની તરફ ખેંચી લીધા છે, જેના કારણે રાજકીય પંડિતો માની રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરેનો પ્રભાવ હવે મુખ્યત્વે માત્ર મુંબઈ પૂરતો જ સીમિત રહી ગયો છે.

લોકસભામાં 360નો જાદુઈ આંકડો સ્પર્શવાનો ભાજપનો માસ્ટરપ્લાન:

સંસદમાં પોતાનું સંખ્યાબળ વધારવા પાછળ ભાજપનું સૌથી મોટું લક્ષ્ય લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી (360 બેઠકો) હાંસલ કરવાનું છે. હાલમાં લોકસભામાં 540 સાંસદો હાજર છે અને 3 બેઠકો ખાલી છે. આ અગાઉ, ટીએમસી (TMC) ના બળવાખોર જૂથે દાવો કર્યો હતો કે તેમની પાસે 19 લોકસભા સાંસદોની સહીઓ છે, જેઓ એનડીએ સરકારને સમર્થન આપવા તૈયાર છે. જો આ બંને પક્ષોના સાંસદો સત્તાવાર રીતે પક્ષપલટો કરે અથવા સમર્થન જાહેર કરે, તો કેન્દ્ર સરકાર સંસદમાં કોઈપણ મોટા બંધારણીય સુધારા કરવા માટે જરૂરી 2/3 બહુમતીના આંકડાને સરળતાથી વટાવી જશે.