Get The App

સાંસદ પપ્પૂ યાદવને ન મળ્યા જામીન, ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે, હાલ PMCHમાં દાખલ

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
સાંસદ પપ્પૂ યાદવને ન મળ્યા જામીન, ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે, હાલ PMCHમાં દાખલ 1 - image


Pappu Yadav Arrested: બિહારના પૂર્ણિયાથી સાંસદ પપ્પુ યાદવને બે દિવસ ન્યાયિક કસ્ટડી(કોર્ટની દેખરેખ હેઠળ જેલ વાસ)માં મોકલાયા છે. નાદુરસ્ત તબિયતને કારણે તેમણે હાલ પીએમસીએચ હોસ્પિટલમાં રાખવામાં આવશે. હવે સોમવારે સાંસદની જામીન અરજી પર સુનાવણી થશે, પટના પોલીસે આજે બપોરે બે વાગ્યે કોર્ટમાં રજૂ કર્યા હતા. જે બાદ પપ્પુ યાદવને બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનું ફરમાન કોર્ટે જાહેર કર્યું હતું. મહત્વનું છે કે શુક્રવારે મધરાત્રે પટના સ્થિત આવાસમાંથી 31 વર્ષ જૂના એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

ધરપકડ પછી છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેમણે ઈન્દિરા ગાંધી હ્રદય રોગ સંસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સવારે મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી એમ્બ્યુલન્સ થકી તેમણે પટના સિવિલ કોર્ટ લઈ જવામાં આવ્યા હતા. પટના શહેરના એસપીએ કોર્ટ પરિસરમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સાંસદ પપ્પુ યાદવની ધરપકડ દરમિયાન તેમના સમર્થકોએ પોલીસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે ઘર્ષણ થયું હતું. જે મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. વીડિયો ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી એક્શન લેવામાં આવશે. 

અનેક નોટિસ છતાં હાજર ન થતાં વોરંટ ઈસ્યુ

જણાવી દઈએ કે જે કેસમાં સાંસદ પપ્પુ યાદવની ધરપકડ થઈ તે 31 વર્ષ જૂનો છે. પટના ગર્દનીબાગ પોલીસ સ્ટેશનમાં 1995માં જપ્તીનો કેસ નોંધાયો હતો. ફરિયાદ કરનાર વિનોદ બિહારીલાલે આરોપ લગાવ્યો હતો કે તેમનું મકાન છેતરપિડીથી પપ્પુ યાદવે ભાડે લીધું હતું. આ મામલે ચાર દિવસ પહેલા જ એમપી-એમએલએ કોર્ટે સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો હતો. વારંવાર નોટિસ બાદ પણ સાંસદ પપ્પુ યાદવ કોર્ટમાં હાજર રહ્યા ન હતા જે બાદ કોર્ટે તેમની પાસે વોરંટ ઈસ્યુ કર્યું હતું.

આ પણ વાંચો: વોટ્સએપમાં મળશે નવી સુવિધા: યુઝર્સ હવે ફોટો અને વીડિયોને પણ કરી શકશે ડ્રાફ્ટ, જાણો કેવી રીતે…

રાજનૈતિક કાવતરાનો આરોપ

બીજી તરફ કોંગ્રેસ નેતાઓએ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ થતાં રાજનૈતિક કાવતરાનો આરોપ લગાવ્યો છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમનું સમર્થન કર્યું હતું અને બંને નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે પપ્પુ યાદવ પટનામાં નીટ વિદ્યાર્થી સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાકાંડ કેસમાં અવાજ ઉઠાવી રહ્યા હતા. તેમનો અવાજ દબાવવા તેમની વર્ષો જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.