Get The App

આજે ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસે વ્હિપ જારી કર્યા

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
No-Confidence Motion Against Speaker Om Birla

No-Confidence Motion Against Speaker Om Birla: સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ પ્રથમ દિવસથી જ ભારે હંગામો થવાની પૂરી શક્યતા છે. વિપક્ષી ગઠબંધન 'INDIA' દ્વારા લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ આજે રજૂ થશે. 

શું છે વિપક્ષનો આરોપ?

કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ સ્પીકર પર પક્ષપાત કરવાનો અને વિપક્ષી સાંસદોનો અવાજ દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ગઠબંધનના 118 સાંસદોએ આ પ્રસ્તાવના નોટિસ પર હસ્તાક્ષર કર્યા છે. શરૂઆતમાં ખચકાટ અનુભવ્યા બાદ હવે પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી TMCએ પણ આ પ્રસ્તાવને સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

સ્પીકરને હટાવવા માટે જરૂરી બહુમતી

લોકસભા સ્પીકરને તેમના પદ પરથી દૂર કરવા માટે ગૃહના કુલ સભ્યોની બહુમતી હોવી અનિવાર્ય છે. વર્તમાન સમીકરણો મુજબ, સ્પીકરને હટાવવા માટે ઓછામાં ઓછા 272 મતોની જરૂર પડે છે. જોકે, વર્તમાન રાજકીય સ્થિતિ જોતાં વિપક્ષ માટે આ આંકડો હાંસલ કરવો ઘણો મુશ્કેલ જણાઈ રહ્યો છે.

આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, સત્તાધારી NDA ગઠબંધન પાસે અત્યારે 293 સાંસદોનું સંખ્યાબળ છે, જે બહુમતીના આંકડા કરતાં વધારે છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન INDIA પાસે માત્ર 238 સાંસદોનું જ સમર્થન છે. આમ, વિપક્ષ પાસે જરૂરી બહુમતી ન હોવાને કારણે આ અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થવાની શક્યતા નહીંવત્ છે.

બંધારણીય જોગવાઈ અને ઇતિહાસ

ભારતીય બંધારણની કલમ 94(C) મુજબ, સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ લાવતા પહેલા 14 દિવસની નોટિસ આપવી અનિવાર્ય છે. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ઓમ બિરલા સ્પીકરની ખુરશી પર બિરાજમાન થઈ શકશે નહીં, જોકે તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે અને મતદાન પણ કરી શકશે.

નોંધનીય છે કે ભારતીય સંસદના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ત્રણ વખત સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ આવ્યા છે, પરંતુ એક પણ પ્રસ્તાવ ક્યારેય પસાર થઈ શક્યો નથી.

એસ. જયશંકર પશ્ચિમ એશિયાની સ્થિતિ પર આપશે નિવેદન

સંસદમાં અત્યારે એક તરફ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવનો ગંભીર મુદ્દો ગાજી રહ્યો છે, તો બીજી તરફ વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈને પણ મહત્ત્વની ચર્ચા થવાની છે. વિદેશ મંત્રી એસ. જયશંકર પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અને રશિયા પાસેથી ઓઇલની ખરીદી પર અમેરિકા દ્વારા આપવામાં આવેલી છૂટછાટ અંગે સરકારનો પક્ષ રજૂ કરશે. વિપક્ષ આ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની પૂરી તૈયારીમાં છે.

આ પણ વાંચો: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે

ભાજપ અને કોંગ્રેસ દ્વારા સાંસદોને 'વ્હીપ' જારી

આ ઉપરાંત, અન્ય બે મોટા વિવાદો પણ સંસદમાં ગરમાવો લાવી શકે છે. જેમાં પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાંથી અંદાજે 60 લાખ જેટલા નામો હટાવવાનો ગંભીર મુદ્દો અને ભારત-અમેરિકા વચ્ચેના વ્યાપારિક કરારો પર વિપક્ષના સવાલો મુખ્ય છે. આ બંને વિષયો પર ગૃહમાં ભારે હોબાળો થવાની શક્યતા સેવાઈ રહી છે.

બજેટ સત્રની આ ગંભીરતા અને મહત્ત્વના એજન્ડાને ધ્યાનમાં રાખીને મુખ્ય રાજકીય પક્ષો સતર્ક થઈ ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના સાંસદોને વ્હીપ જારી કરીને ગૃહમાં ફરજિયાત હાજર રહેવા માટે કડક આદેશ આપ્યા છે, જેથી મતદાન કે અન્ય મહત્વની પ્રક્રિયા વખતે પક્ષનું સંખ્યાબળ જળવાઈ રહે.

આજે ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસે વ્હિપ જારી કર્યા 2 - image