| (IMAGE - IANS) |
Nitin Gadkari Warns Auto Sector: ભારતના વાહનવ્યવહાર ક્ષેત્રે આવનારા સમયમાં ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપનીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ભારત હવે પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઈંધણથી હંમેશ માટે દૂર જઈ રહ્યું છે. બેંગલુરુમાં આયોજિત 'બસવર્લ્ડ ઇન્ડિયા 2026' શિખર સંમેલનમાં બોલતા ગડકરીએ કહ્યું કે, જો કંપનીઓ સમયસર વૈકલ્પિક ઈંધણ તરફ નહીં વળે, તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
વૈશ્વિક તણાવ અને ઊર્જા સંકટ
ભારત સરકારના આ કડક વલણ પાછળ વૈશ્વિક સ્તરે વધી રહેલો તણાવ એક મુખ્ય કારણ છે. ખાસ કરીને અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દુનિયાભરમાં ઊર્જા સંકટ ઊભું થયું છે. ભારત અત્યારે ક્રૂડ ઓઇલની જરૂરિયાત માટે બીજા દેશો પર નિર્ભર છે, તેથી જો વૈશ્વિક સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ આવે તો ભારત માટે મોટું આર્થિક જોખમ ઊભું થઈ શકે છે. આ સ્થિતિને પહોંચી વળવા સરકાર ભારતને ઊર્જા ક્ષેત્રે સંપૂર્ણપણે સ્વનિર્ભર બનાવવા માંગે છે.
આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ
નીતિન ગડકરીએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલનું ભાવિ હવે ઉજ્જવળ નથી, તેથી કંપનીઓએ નીચેના પાંચ વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ:
1. હાઇડ્રોજન (Hydrogen): સરકાર અત્યારે હાઇડ્રોજન ફ્યુઅલના પાયલટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં દેશના 10 મુખ્ય માર્ગો પર હાઇડ્રોજનથી ચાલતી બસો અને ટ્રકો જોવા મળશે.
2. ઇલેક્ટ્રિક વાહનો (EV): ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અત્યાર કરતા ત્રણ ગણું વધારવા અપીલ કરવામાં આવી છે જેથી સામાન્ય લોકોને સસ્તું પરિવહન મળી શકે.
3. ઇથેનોલ (Ethanol): પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલના મિશ્રણને વધારવાની યોજના છે. ગડકરીએ કંપનીઓને 'ફ્લેક્સ-ફ્યુઅલ' એન્જિન બનાવવા પર ભાર મૂકવા કહ્યું છે.
4. સીએનજી (CNG): પ્રદૂષણ ઘટાડવા અને આર્થિક બચત માટે સીએનજી એક ઉત્તમ વિકલ્પ તરીકે ચાલુ રહેશે.
5. એલએનજી (LNG): ભારે વાહનો અને લાંબા અંતરના પરિવહન માટે એલએનજી એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.



