India

આસામના પૂરપીડિતો માટે નીતા અંબાણીની 'મુખ્યમંત્રી રાહત કોષ'માં ₹21 કરોડ આપવાની જાહેરાત

By GS Team
3 Aug 20263 mins read
TukuTouch Logo
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ આસામના પૂર પીડિતો માટે મુખ્યમંત્રી રાહત કોષમાં ₹21 કરોડનું દાન કર્યું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રિલાયન્સ ફાઉન્ડેશન અને નીતા અંબાણીનો આભાર માન્યો. આ સહાય ઉપરાંત, ફાઉન્ડેશનની ટીમો જમીની સ્તરે ભોજન, આરોગ્ય સેવાઓ, આશ્રય અને પશુધનની સંભાળ પૂરી પાડી રહી છે, જેનો ઉદ્દેશ્ય 50,000 થી વધુ લોકોને મદદ કરવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આસામના પૂરપીડિતો માટે નીતા અંબાણીની 'મુખ્યમંત્રી રાહત કોષ'માં ₹21 કરોડ આપવાની જાહેરાત

Reliance Foundation Stands Strong with Assam: આસામના વિનાશક પૂરથી પ્રભાવિત લોકો માટે એક ભાવુક સંદેશ આપતા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ પૂર પીડિત પરિવારોની મદદ માટે 'મુખ્યમંત્રી રાહત કોષ'માં ₹21 કરોડ આપવાની જાહેરાત કરી છે. આ અંગે નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ‘અમારી પ્રાર્થના અને સંવેદનાઓ આસામના લોકો સાથે છે. આ વિનાશક પૂરથી પ્રભાવિત થયેલા દરેક પરિવાર માટે મારું હૃદય દ્રવી ઉઠે છે. મહેરબાની કરીને યાદ રાખો કે તમે આ મુશ્કેલીમાં એકલા નથી.’ આસામના પૂરમાં આર્થિક સહાયની સાથે જમીની સ્તરે મદદ કરવા બદલ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો તેમના સતત સહયોગ બદલ આભાર માન્યો હતો.

આસામના CMએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આભાર માન્યો

સરમાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણી જ્યારે પણ આપણા રાજ્ય પર મુશ્કેલ સમય આવ્યો છે ત્યારે હંમેશા આસામના લોકોની સાથે ઊભા રહ્યા છે. કોવિડ-19 મહામારી દરમિયાન જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશને સમયસર સહાય પૂરી પાડી હતી તે હું આદરપૂર્વક યાદ કરું છું. હવે તેમણે અપર આસામના પૂર પીડિત પરિવારોની સહાય માટે મુખ્યમંત્રી રાહત કોષમાં ₹21 કરોડનું દાન આપીને ફરી એકવાર એ જ ભાવના દર્શાવી છે. આ યોગદાન સાથે રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો ગ્રાઉન્ડ પર પણ અથાક પરિશ્રમ કરી રહી છે — ભોજન, જાહેર આરોગ્ય સેવાઓ, ઈમરજન્સી શેલ્ટર અને પશુધનની સંભાળ પૂરી પાડી રહી છે. આસામના લોકો પ્રત્યેની દયા અને સહાનુભૂતિ બદલ હું શ્રીમતી નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.’

અમે આવનારા દિવસોમાં તમારી સાથે રહીશુંઃ નીતા અંબાણી

રિલાયન્સ પરિવારની ભાવનાને પુનરોચ્ચારિત કરતા નીતા અંબાણીએ કહ્યું હતું કે, ‘રિલાયન્સ ફાઉન્ડેશન અને વનતારાની ટીમો તેમજ સમગ્ર રિલાયન્સ પરિવારના સ્વયંસેવકો આસામના પૂરપીડિતો માટે ગ્રાઉન્ડ પર હાજર છે. તેઓ આસામ સરકાર તથા સ્થાનિક સમુદાયો સાથે મળીને શક્ય તમામ મદદ કરી રહ્યા છે. આસામના લોકોએ મુશ્કેલીના સમયમાં હંમેશા અસાધારણ હિંમત અને ધૈર્ય દર્શાવ્યું છે. અમે આજે તમારી સાથે છીએ અને આવનારા દિવસોમાં પણ તમારી સાથે ઊભા રહીશું, જેથી આપણે સૌ સાથે મળીને જીવનનું પુનઃનિર્માણ કરી શકીએ અને આશાનો સંચાર કરી શકીએ.’

ઓછામાં ઓછા 50,000 લોકો સુધી મદદ પહોંચાડવાનો સંકલ્પ

આસામમાં ‘મુખ્યમંત્રી રાહત કોષ’માં આપેલી આર્થિક સહાય, એ અપર આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાથ કરાતા રાહત કાર્યોનો જ એક ભાગ છે, જેમાં નિષ્ણાતો, સ્વયંસેવકો અને જરૂરી સામગ્રીને તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ પર મોકલાઈ છે. રિલાયન્સ ફાઉન્ડેશન સૌથી વધુ પ્રભાવિત એવા શિવહસાગર અને ચરાઈદેવો જિલ્લાના અતિ સંવેદનશીલ પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ આશરે 50,000 થી વધુ જરૂરિયાતમંદ લોકો સુધી નિર્ણાયક રાહત અને પુનઃવસન પહોંચાડવાનો છે.

આસામના લોકો માટે કરાઈ રહેલી રાહત કામગીરી

  • પૂર પીડિતો માટે ગરમ ભોજન પૂરું પાડતા કમ્યુનિટી કિચન.
  • પીવાના શુદ્ધ પાણી માટે વોટર સપ્લાય સિસ્ટમ અને વોટર પ્યુરિફિકેશન યુનિટ્સનું પુનઃસ્થાપન.
  • આરોગ્ય કેન્દ્રોની કાદવ-કાંપ દૂર કરી સફાઈ કરવી અને તેમને ફરી શરૂ કરવા.
  • વનતારાની ટીમ દ્વારા પશુઓ માટે ડોર-ટુ-ડોર વેટરનરી કેમ્પેઇન.
  • સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને ચોક્કસ જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચાડવી.
  • રિલાયન્સની 'વી કેર' (We Care) ની ભાવના સાથે ગ્રાઉન્ડ પર ચાલતી આ સઘન કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રભાવિત ગામડાઓમાં પુનઃવસન કરવાનો છે, જેથી પૂરથી વિસ્થાપિત થયેલા લોકો રાહત કેમ્પમાંથી વહેલી તકે પોતાના ઘરે પરત ફરી શકે.

દેશના 98,000 ગામડાંમાં મહત્ત્વની કામગીરી

રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા છે. તે ઇનોવેટિવ અને સસ્ટેઇનેબલ ઉપાયો દ્વારા ભારતની વિકાસલક્ષી પડકારો ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ આ ફાઉન્ડેશન ગ્રામીણ પરિવર્તન, શિક્ષણ, આરોગ્ય, સ્પોર્ટ્સ, આપત્તિ વ્યવસ્થાપન, મહિલા સશક્તિકરણ અને કળા-સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સક્રિય છે. તેણે સમગ્ર ભારતમાં 98,000 થી વધુ ગામડાં અને શહેરી વિસ્તારોમાં 10 કરોડથી વધુ લોકોના જીવનમાં પરિવર્તનનો પ્રયાસ કર્યો છે. વધુ માહિતી માટે www.reliancefoundation.org ની મુલાકાત લઈ શકો છો.