Get The App

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી 1 - image

Abhijit Deepke CJP Protest Pune 2026 : દેશમાં NEET-UG સહિતની વિવિધ પરીક્ષાઓમાં સામે આવેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીકની ઘટનાઓ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વધુ ઉગ્ર બની છે. 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)એ આ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. પાર્ટીએ કેન્દ્ર સરકારને કડક ચેતવણી આપી છે કે, જો શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે, તો તારીખ 20 જૂન 2026થી દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે અચોક્કસ મુદતના ધરણાં શરૂ કરવામાં આવશે.

નવી દિલ્હીમાં યોજાયેલા એક દિવસીય પ્રદર્શન બાદ હવે સીજેપી (CJP)એ આ આંદોલનને દેશના અન્ય મોટા શહેરો સુધી લઈ જવાની સત્તાવાર જાહેરાત કરી છે. પાર્ટીનો સીધો આરોપ છે કે, દેશની એક્ઝામ સિસ્ટમમાં સતત જે છબરડા થઈ રહ્યા છે, તેના માટે શિક્ષણ મંત્રાલય સીધું જવાબદાર છે. NEET-UG પેપર લીક અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમના કારણે ભોગવવી પડેલી હાલાકીને લીધે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે, છતાં હજુ સુધી કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી.

પુણેથી આંદોલનના બીજા તબક્કાની શરૂઆત, સોનમ વાંગચુક પણ જોડાશે

સીજેપી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશના યુવાનો અને સમર્થકોને મોટી સંખ્યામાં પુણે ખાતે યોજાનારા પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે. આ પ્રદર્શન ગુરુવારે સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી ખાતે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સાંજે 04:00 વાગ્યે શરૂ થશે. અભિજીત દીપકેએ દાવો કર્યો છે કે, દેશના જાણીતા શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક (Sonam Wangchuk) પણ પુણેના આ પ્રદર્શનમાં વ્યક્તિગત રીતે હાજર રહેશે, જેનાથી વિદ્યાર્થીઓના આ આંદોલનને વધુ મજબૂતી મળશે.

20 જૂનથી દિલ્હીમાં આરપારની લડાઈ

પક્ષના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, જો સરકાર વિદ્યાર્થીઓની માંગણીઓ પ્રત્યે ઉદાસીન રહેશે, તો 20 જૂનથી નવી દિલ્હીના જંતર-મંતર પર દેશભરના વિદ્યાર્થીઓ એકઠા થશે અને જ્યાં સુધી શિક્ષણ મંત્રી પદ નહીં છોડે ત્યાં સુધી શાંતિપૂર્ણ અચોક્કસ મુદતના ધરણાં ચાલુ રહેશે.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સિસ્ટમ પર ભરોસો વ્યક્ત કર્યો

બીજી તરફ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET-UGની ફરીથી લેવાનારી પરીક્ષા (Re-Exam)ની તૈયારીઓ અંગે દેશના વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, 'નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી રહી છે, અને આગામી 21 જૂન 2026ના રોજ યોજાનારી રી-એક્ઝામ સંપૂર્ણપણે પારદર્શી અને સુચારૂ સગવડ સાથે પૂર્ણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે પરિણામો પણ સમયસર જાહેર થશે જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં.'