- પેપર ફૂટી જતા પેન-પેપરના સ્થાને હવે કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટને પ્રાથમિકતા
- રદ થયેલી પરીક્ષાની સંપૂર્ણ ફી વિદ્યાર્થીઓને પરત અપાશે, ફરી પરીક્ષા માટે કોઇ ખર્ચ નહીં કરવો પડે ઃ શિક્ષણમંત્રી
- ફરી પરીક્ષામાં 15 મિનિટ વધુ અપાશે, એક સપ્તાહ અગાઉ કેન્દ્રની પસંદગીની છૂટ, ૧૪ જૂન સુધીમાં એડમિટ કાર્ડ મળી જશે
નવી દિલ્હી: પ્રથમ વખત નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક થઇ જતા ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. એવામાં હાલ સરકાર દ્વારા ૨૧મી જુનના રોજ ફરીથી નીટ-યુજી પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનેે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. એટલુ જ નહીં પરીક્ષાનો સમયગાળો પણ ૧૫ મિનિટ વધારવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું છે કે આવતા વર્ષથી નીટ-યુજીની પરીક્ષા સંપૂર્ણ રીતે કમ્પ્યુટર આધારિત ઓનલાઈન લેવાશે.
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરંસ કરીને નીટ પરીક્ષા અંગે વિવિધ જાહેરાતો કરી હતી, તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને નીટ પરીક્ષાનું પેપર રદ કરવાનો નિર્ણય લેવો પડયો હતો. આ મામલે સરકાર ચિંતિત છે, વિદ્યાર્થીઓ પ્રત્યે અમારી પુરી સંવેદના છે. આગામી વર્ષથી નીટ-યુજીની પરીક્ષા પેન-પેપર આધારિત ઓએમઆર શીટ્સ નહીં પરંતુ કમ્પ્યુટર આધારિત રહેશે. જેથી પરીક્ષામાં નકલ કરવી કે અન્ય કોઇ પણ પ્રકારની છેતરપિંડીને રોકી શકાશે.
શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું હતું કે જ્યારે પરીક્ષા કેન્સલ કરવાની જાણકારી આપવામાં આવી હતી ત્યારે જ વિદ્યાર્થીઓની ફી પરત આપવા અંગે પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી. હવે જુનમાં ફરી પરીક્ષા યોજાવા જઇ રહી છે તેમાં કોઇ જ ફી નહીં આપવી પડે. પેપર બપોરે બે વાગ્યે શરૂ થશે અને ૫.૧૫ સુધી ચાલશે. ફરી પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ૧૪ જુન સુધીમાં જારી કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષાના એક સપ્તાહ અગાઉ સુધીમાં સ્થળ પસંદ કરવાની છૂટ મળશે. જે પરીક્ષા રદ થઇ તેની ફી વિદ્યાર્થીઓને પરત મળશે, જ્યારે હવે ૨૧મીએ જે પરીક્ષા યોજાવા જઇ રહી છે તેની કોઇ ફી નહીં લેવાય. ફરી જે પરીક્ષા યોજાવા જઇ રહી છે તેના પરિણામ ક્યારે જાહેર કરાશે તે અંગે સ્પષ્ટતા કરવામાં નથી આવી.
ત્રણ મેના રોજ નીટની પરીક્ષા યોજાઇ હતી જેમાં ૨૨ લાખ ઉમેદવારો જોડાયા હતા, જોકે પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરી દેવાઇ હતી. અત્યાર સુધી નીટની પક્ષા પેન-પેપર આધારિત ઓએમઆર શીટ્સથી લેવાય છે. હવે જ્યારે નીટ-યુજીની પરીક્ષા કમ્પ્યુટર આધારિત થવા જઇ રહી છે ત્યારે સાઇબર એટેક પણ એક મોટો પડકાર હોવાનું કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું છે. બીજો મોટો પડકાર કમ્પ્યુટર આધારિત ટેસ્ટિંગની સુવિધાઓનો છે, નીટ દેશની સૌથી મોટી પરીક્ષા માનવામાં આવે છે જેમાં આ વખતે ૨૨ લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા. હાલની પરિસ્થિતિ મુજબ એક સમયે માત્ર ૧.૫ લાખ વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે, તેથી જો કમ્પ્યુટર આધારિત પરીક્ષા યોજવામાં આવે તો તેમાં જુદી જુદી શિફ્ટનો સહારો લેવો પડશે. ઘણા કમ્પ્યુટર પરીક્ષા કેન્દ્રો ખાનગી છે તેથી સુરક્ષા મુદ્દે પણ વધુ તકેદારી રાખવી પડશે.
- લાતુરમાં સીબીઆઈની ટીમો ઉતરી પડી
- નીટ પેપર લીક કેસમાં લાતુરના કોચિંગ ક્લાસ સંચાલકની પૂછપરછ
- ક્લાસની મોક ટેસ્ટમાં પૂછાયેલા પ્રશ્નો જ નીટમાં પૂછાયાની વાલીની ફરિયાદ
પેપર લીક કેસની તપાસ કરવા માટે સીબીઆઈની એક ટીમ ગુરુવારે રાત્રે શિવનગર વિસ્તારમાં ઓમકાર રેસિડેન્સીમાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસ (આરસીસી)ના ડિરેક્ટર શિવરાજ મોટેગાંવકરના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને શુક્રવારે વહેલી સવારે ફરી એકવાર પેપર લીક કેસ સંદર્ભમાં પૂછપરછ કરી હતી.
હાલમાં લાતુરમાં સીબીઆઈની ટીમના ૨૮અધિકારી છે.
- પેપર ફોડનારાઓના સંતાનો કોલેજો છોડીને ભાગ્યા, છેતરપિંડીથી એડમિશનની શંકા
નવી દિલ્હી: નીટનું પેપર ફૂટવાની સીબીઆઇ દ્વારા જે તપાસ ચાલી રહી છે તેમાં નવા ખુલાસા થઇ રહ્યા છે. આ મામલામાં સૌથી ચર્ચામાં રહેલા બિવાલ પરિવારને લઇને વધુ માહિતી સામે આવી છે. આ પરિવારના સગા સંબંધીઓ કે જેઓ અલગ અલગ મેડિકલ કોલેજોમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યા છે તેઓ પોત પોતાની કોલેજોમાંથી ગાયબ થઇ ગયા છે. એટલે કે છૂપાઇ ગયા હોવાના અહેવાલો છે. આરોપીઓ દિનેશ અને માંગીલાલ બિવાલના સંતાનો અલગ અલગ રાજ્યોની કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા હતા, તેની પુત્રી પલક જયપુરમાં જ્યારે પ્રગતિ દૌસામાં અભ્યાસ કરી રહી હતી. સોનિયા મુંબઇની એક મેડિકલ કોલેજમાં હતી, તેવી જ રીતે ગુંજન પણ બનારસમાં અભ્યાસ કરી રહી છે. જોકે આ તમામ ગાયબ છે. આ તમામ વિદ્યાર્થીઓ ગયા વર્ષે ૨૦૨૫ની નીટની પરીક્ષા પાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં એડમિશન લઇ ચુક્યા હતા. કેટલાક સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે શું આ પરિવાર પાસે વર્ષ ૨૦૨૫નું નીટનું પેપર પણ પરીક્ષા પહેલા જ પહોંચી ગયું હતું? જોકે તેની કોઇ સત્તાવાર માહિતી તપાસમાં સામે નથી આવી.


