Get The App

Mi-17 હેલિકોપ્ટર પહોંચાડશે NEETના પેપર, વાયુસેનાને કેટલી ચૂકવવી પડશે રકમ?

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
Mi-17 હેલિકોપ્ટર પહોંચાડશે NEETના પેપર, વાયુસેનાને કેટલી ચૂકવવી પડશે રકમ? 1 - image

NEET UG 2026 Paper Airlift : નીટ-યુજી 2026 (NEET-UG 2026)ની પુનઃપરીક્ષા (રી-એક્ઝામ) ને લઈને આ વખતે કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં નથી. ગયા મહિને થયેલા પેપર લીક વિવાદ બાદ નીટની સુરક્ષા માટે અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રથમ વખત દેશભરમાં પરીક્ષાના પ્રશ્નપત્રો પહોંચાડવા માટે ભારતીય વાયુસેના (IAF) ના હેલિકોપ્ટરનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે. જો કે, આ આખું અભિયાન મફત નહીં હોય. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રશ્નપત્રોના એરલિફ્ટિંગ માટે સંબંધિત એજન્સીઓએ રક્ષામંત્રાલય દ્વારા નક્કી કરાયેલા નિર્ધારિત ચાર્જ વાયુસેનાને ચૂકવવા પડશે.

સૂત્રોએ જણાવ્યું કે, 21 જૂનના રોજ યોજાનારી NEET-UG પરીક્ષાના પ્રશ્નપત્રોને દેશના વિવિધ ભાગોમાં સમયસર પહોંચાડવા માટે વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટર અને અન્ય સૈન્ય વિમાનોની મદદ લેવામાં આવશે. આ પ્રશ્નપત્રોને પહેલા પસંદગીના એરફોર્સ સ્ટેશનો પર લાવવામાં આવશે, અને ત્યાંથી ચુસ્ત સુરક્ષા વચ્ચે પરીક્ષા કેન્દ્રો સુધી રવાના કરાશે.

પેપર લીક વિવાદ બાદ બદલાઈ વ્યૂહરચના

ગયા વર્ષે નીટ પરીક્ષાને લઈને સામે આવેલા પેપર લીક અને ગેરરીતિઓના આક્ષેપોએ દેશભરમાં મોટો વિવાદ ઊભો કર્યો હતો. આ મામલે રાજકીય રંગ પકડતાં પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા પર સવાલો ઉઠ્યા હતા. આથી કેન્દ્ર સરકાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને સુરક્ષા એજન્સીઓએ પરીક્ષા પ્રક્રિયાને સંપૂર્ણ રીતે સુરક્ષિત બનાવવા માટે આ નવી સૈન્ય વ્યૂહરચના તૈયાર કરી છે.

આ વખતે પ્રશ્નપત્રોના ટ્રાન્સપોર્ટેશનને સૌથી સંવેદનશીલ તબક્કો માનવામાં આવ્યો છે. આ જ કારણે રોડ માર્ગ અને સામાન્ય લોજિસ્ટિક્સ નેટવર્ક પર સંપૂર્ણ નિર્ભર રહેવાને બદલે સૈન્ય સંસાધનોનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રશ્નપત્રોને વિશેષ સુરક્ષા હેઠળ દેશના 18 એરફોર્સ સ્ટેશનો પર પહોંચાડવામાં આવશે.

મફતમાં નથી મળતું વાયુસેનાનું હેલિકોપ્ટર

સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે સરકારી કાર્યોમાં સૈન્ય કે વાયુસેનાના સંસાધનોનો ઉપયોગ વિનામૂલ્યે થાય છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. ભારતીય વાયુસેના પોતાના હેલિકોપ્ટર કે વિમાન કોઈ પણ રાજ્ય કે સરકારી વિભાગને મફતમાં આપતી નથી. રક્ષામંત્રાલય દ્વારા નક્કી કરાયેલા 'રિકવરી રેટ' (Recovery Rate) ના આધારે સંબંધિત એજન્સીએ ચૂકવણી કરવી પડે છે. આ ચૂકવણી 'ફ્લાઈંગ અવર' (Flying Hour) એટલે કે ઉડ્ડયનના કુલ સમયના આધારે થાય છે. હેલિકોપ્ટરના ટેક-ઓફથી લઈને લેન્ડિંગ સુધીનો વાસ્તવિક સમય લોગ બુકમાં નોંધવામાં આવે છે, અને તેના આધારે જ બિલ તૈયાર થાય છે. ચૂંટણી ડ્યુટી, આપત્તિ વ્યવસ્થાપન, VVIP મૂવમેન્ટ અને અન્ય સરકારી અભિયાનોમાં પણ આ જ પ્રક્રિયાનું પાલન થાય છે.

Mi-17 હેલિકોપ્ટર પહોંચાડશે NEETના પેપર, વાયુસેનાને કેટલી ચૂકવવી પડશે રકમ? 2 - image

કેટલો થઈ શકે છે અંદાજિત ખર્ચ?

રક્ષામંત્રાલય દ્વારા વર્તમાન સત્તાવાર દરો જાહેર કરવામાં આવતા નથી, તે માત્ર અધિકૃત સરકારી વિભાગો માટે જ ઉપલબ્ધ હોય છે. પરંતુ સાર્વજનિક રૂપે ઉપલબ્ધ જૂના સરકારી દસ્તાવેજો અને ખાનગી ઓપરેટરોના દરોના આધારે સૂત્રોનું કહેવું છે કે, વર્ષ 2026 માં ભારતીય વાયુસેનાના Mi-17V5 હેલિકોપ્ટરનો ઓપરેટિંગ ખર્ચ આશરે 2.8 લાખ રૂપિયાથી 5.5 લાખ રૂપિયા પ્રતિ ફ્લાઈંગ અવર (કલાક) ની વચ્ચે હોઈ શકે છે. સરખામણી કરીએ તો, બેલ-412 કે એડબલ્યુ-139 જેવા ખાનગી હેલિકોપ્ટરના ચાર્ટર દરો પણ સામાન્ય રીતે 2.5 લાખથી 4 લાખ રૂપિયા પ્રતિ કલાકની વચ્ચે હોય છે. આ દરોમાં માત્ર ઇંધણ જ નહીં પરંતુ મેઇન્ટેનન્સ, સ્પેરપાર્ટ્સ, ક્રૂ, વીમો અને ઓપરેશનલ ખર્ચ પણ સામેલ હોય છે.

શા માટે પસંદ કરવામાં આવ્યું Mi-17 હેલિકોપ્ટર?

ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર દેશના સૌથી વિશ્વસનીય ટ્રાન્સપોર્ટ પ્લેટફોર્મમાં ગણાય છે. તે ભારે વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે અને પ્રતિકૂળ હવામાનમાં પણ ઉડાન ભરી શકે છે. આ જ કારણે પરીક્ષા સામગ્રી જેવી અત્યંત સંવેદનશીલ વસ્તુઓને સુરક્ષિત અને સમયસર પહોંચાડવા માટે તેને સૌથી યોગ્ય માનવામાં આવ્યું છે. વાયુસેનાના બેડામાં સામેલ Mi-17V5 સંસ્કરણ આધુનિક નેવિગેશન, સંચાર અને સુરક્ષા પ્રણાલીઓથી સજ્જ છે.

Mi-17 હેલિકોપ્ટર પહોંચાડશે NEETના પેપર, વાયુસેનાને કેટલી ચૂકવવી પડશે રકમ? 3 - image

એક કલાકની ઉડાનમાં કેટલું ઇંધણ વપરાય છે?

સૂત્રોના જણાવ્યા અનુસાર, Mi-17V5 માં લાગેલા TV3-117VM એન્જિન દર કલાકે આશરે 800 થી 1000 લીટર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (Aviation Turbine Fuel - જેટ ઇંધણ) નો વપરાશ કરે છે. વર્તમાન ઇંધણના ભાવના આધારે માત્ર ઇંધણનો ખર્ચ જ પ્રતિ કલાક આશરે 60 હજારથી 90 હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે. આ સિવાય એન્જિન મેઇન્ટેનન્સ, ટેકનિકલ ઇન્સ્પેક્શન અને ક્રૂની તૈનાતીનો ખર્ચ અલગથી ગણાય છે.

કેવી હશે મલ્ટી-લેયર સુરક્ષા વ્યવસ્થા?

પ્રશ્નપત્રોને પ્રિન્ટિંગ અને પેકેજિંગ પછી અત્યંત સુરક્ષિત કન્ટેનરોમાં રાખવામાં આવશે. ત્યારબાદ તેમને સૈન્ય સુરક્ષા હેઠળ એરફોર્સ સ્ટેશનો પર લાવવામાં આવશે. દરેક સ્ટેજ પર ડિજિટલ ટ્રેકિંગ અને મલ્ટી-લેયર મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશ્નપત્રો સુધી માત્ર મર્યાદિત સંખ્યામાં અધિકૃત અધિકારીઓ જ પહોંચી શકશે. એરફોર્સ સ્ટેશન પહોંચ્યા પછી, રાજ્ય પ્રશાસન, પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓની દેખરેખ હેઠળ તેને પરીક્ષા કેન્દ્રો સુધી મોકલવામાં આવશે.