Cockroach Janta Party protest Delhi: સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય બનેલી 'કોકરોચ જનતા પાર્ટી' દ્વારા આજે 6 જૂનના રોજ દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે એક વિશાળ અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખા પ્રદર્શન માટે દિલ્હી પોલીસ તરફથી પણ મંજૂરી મળી ચૂકી છે. આ આંદોલન મુખ્યત્વે NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કરવામાં આવી રહ્યું છે. દેશના યુવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલા આ અનોખા આંદોલનમાં હવે બોલિવૂડ સેલેબ્સ પણ કૂદી પડ્યા છે અને દેશના યુવાનોને ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યા છે.
'ડાયનાસોર ખતમ થઈ ગયા પણ કોકરોચ બચી ગયા': અભિનેત્રી રિચા ચઢ્ઢાની પોસ્ટ વાઇરલ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ શેર કરીને 'કોકરોચ જનતા પાર્ટી'ને સમર્થન આપ્યું છે. અભિનેત્રીએ લખ્યું કે, 'હું અત્યારે ઓકલૅન્ડમાં છું, જ્યાં દુનિયાની સૌથી શુદ્ધ હવા છે. પરંતુ મારું મન દિલ્હીમાં છે. મારી વહાલી દિલ્હી- મારા બાળપણ, સ્કૂલ અને કૉલેજનું શહેર... હું મારા દેશના યુવાનોને પ્રેમ મોકલી રહી છું. આશા છે કે તમે દેખાડાના દેશભક્ત બનવાના બદલે સાચા દેશભક્ત બનશો. તમે દયાળુ, શાંત અને સમજદાર બનો. હું દિલથી તમારી સાથે છું.'
વધુમાં રિચા ચઢ્ઢાએ એક રસપ્રદ નોંધ (PS) લખતાં ઉમેર્યું કે, 'યાદ રાખજો, જ્યારે પૃથ્વી પર ઉલ્કાપિંડ ટકરાયો ત્યારે મોટા-મોટા ડાયનાસોર તો ખતમ થઈ ગયા, પરંતુ કોકરોચ બચી ગયા હતા અને તેઓ તેમના કરતાં વધુ સમય સુધી ટકી રહ્યા.'
અભિનેતા અતુલ કુલકર્ણીએ દેશના યુવાનોની માફી માંગી
બીજી તરફ, દિગ્ગજ અભિનેતા અતુલ કુલકર્ણીએ પણ સોશિયલ મીડિયા પર યુવાનોના આ પ્રદર્શનને સમર્થન આપવાની સાથે એક ભાવુક પોસ્ટ લખીને માફી માંગી છે. તેમણે લખ્યું કે, 'પ્રિય યુવાન નાગરિકો.. તમે જ્યારે અવાજ ઉઠાવવા અને પોતાના નિર્ણયોને મહત્ત્વના બનાવવા માટે તૈયાર થઈ રહ્યા છો, ત્યારે મને તમારી પાસેથી ઘણી આશાઓ છે. મારી પેઢીએ અને મારી પહેલા તથા પછીની પેઢીઓએ હંમેશા પોતાની જવાબદારીઓ પૂરી કરી નથી. અમે ભૂલો કરી છે અને એવા પડકારો પાછળ છોડ્યા છે જે હવે તમને વારસામાં મળ્યા છે. આ બદલ હું તમારી માફી માંગુ છું. ઈશ્વર કરે તમે ઈમાનદારી સાથે આ દેશને એક નવું સ્વરૂપ આપો. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.'
આ પણ વાંચો: 'તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં...', અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર
શા માટે થઈ રહ્યું છે આ આંદોલન?
આ આખું આંદોલન NEET પરીક્ષાના પેપર લીક થવાના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ માટે થઈ રહ્યું છે. જંતર-મંતર ખાતે 'કોકરોચ જનતા પાર્ટી'ના આ વિરોધ પ્રદર્શનની ગંભીરતાને જોતાં નવી દિલ્હી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે અને 1,000થી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
બિગ બોસ-19ની કન્ટેસ્ટન્ટ અને બોલિવૂડ એક્ટ્રેસ કુનિકા સદાનંદ તેમજ જાણીતા અભિનેતા પ્રકાશ રાજે પણ દેશના યુવા 'કોકરોચો'ને આ CJPના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. તેમણે આ મુદ્દે જણાવ્યું કે, 'કોકરોચ જનતા પાર્ટીએ એવા મુદ્દાઓ ઉઠાવ્યા છે જેની અત્યાર સુધી કોઈ સુનાવણી થતી નહોતી. જ્યારે સામાન્ય લોકોનો અવાજ સાંભળવામાં ન આવે, ત્યારે તેમણે આવા અનોખા રસ્તાઓ અપનાવવા જ પડે છે.'


