મોહેં-જો-દડોમાં ઉત્ખનન વખતે મળેલી નર્તકીની નગ્ન મૂર્તિને NCERTએ કપડાં પહેરાવી દેતા વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NCERT faces allegations of censoring history: 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' પર લખાયેલા એક પ્રકરણને લઈને હાલમાં જ જ NCERT સામે સવાલો ઉઠ્યા હતા. હવે NCERT પર ઇતિહાસ સાથે છેડછાડનો આરોપ લાગ્યો છે. વાત એમ છે કે, ધોરણ 9ના 'મધુરિમા' નામના પુસ્તકના પહેલા પ્રકરણ 'હિસ્ટ્રી ઓફ આર્ટ્સ'માં એક નર્તકીની મૂર્તિની તસવીર છપાઈ છે. કાંસાની આ મૂર્તિ મોહેં-જો-દડોના ઉત્ખનન વખતે મળી હતી. આ મૂર્તિની તસવીરમાં મૂર્તિના ખભાથી નીચેનો ભાગ ઢાંકી દેવાયો છે, જ્યારે મૂળ મૂર્તિ નગ્ન છે. આ ફેરફારને કારણે મૂર્તિની શારીરિક બનાવટ છુપાઈ ગઈ છે અને એવો ભ્રમ ઊભો થઈ રહ્યો છે કે મૂર્તિએ કપડાં પહેરેલાં છે.
છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર આવો ફેરફાર કરાયો
છેલ્લા 25 વર્ષથી છપાતી આ કાંસાની મૂર્તિના મૂળ સ્વરૂપમાં અગાઉ ક્યારેય કોઈ ફેરફાર કરાયો ન હતો. પછી ભલે તે UPAની સરકાર હોય કે NDAની. આ પહેલા NDA સરકાર દરમિયાન મુરલી મનોહર જોશી શિક્ષણ મંત્રી હતા, ત્યારે પણ પુસ્તકોમાં આ મૂર્તિની મૂળ તસવીર જ છપાતી હતી. ઇતિહાસમાં પહેલીવાર તેના ધડને ઢાંકવાનો આવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આશરે 4 ઇંચ ઊંચી આ મૂર્તિ નવી દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં જોવા મળે છે, જે હડપ્પીય સંસ્કૃતિના અદ્યતન ધાતુ વિજ્ઞાન (મેટલર્જી)નું પ્રતીક છે. આ મૂર્તિમાં એક યુવતીને આત્મવિશ્વાસથી સભર મુદ્રામાં દર્શાવાઈ છે, જેના વાળનો અંબોડો વાળેલો છે અને તેણે હાથમાં બંગડીઓ તથા ગળામાં હાર પહેરેલો છે.
ઇતિહાસકારો દ્વારા આકરી ટીકા કરાઈ
આ મૂર્તિના મૂળ સ્વરૂપ સાથેની આ છેડછાડ બદલ ઇતિહાસકારો NCERT સામે સવાલો ઉઠાવી રહ્યા છે. આ અંગે ઇતિહાસકાર મિશેલ ડેનિનોએ જણાવ્યું કે, ‘આ તસવીર વિદ્યાર્થીઓને ખોટી માહિતી આપવા બરાબર છે. આખી મૂર્તિના ધડના ભાગને શેડ કરવો એ એક પ્રકારની સેન્સરશિપ છે. શું આપણે વિક્ટોરિયન નૈતિકતાના યુગમાં પાછા ફરવા માંગીએ છીએ? જો આપણે બાળકોને આ બતાવવા ન માગતા હોઈએ, તો શું આપણે તેમને નેશનલ મ્યુઝિયમ જતાં પણ રોકી દેવા જોઈએ, જ્યાં આવી ઘણી અર્ધ-નગ્ન કે નગ્ન મૂર્તિઓ છે. સૌથી મોટી વાત એ છે કે, આ તસવીર સાથેની આવી છેડછાડ એક નકલી કલાકૃતિને જન્મ આપે છે, જેનું વાસ્તવિકતામાં કોઈ અસ્તિત્વ જ નથી. ઇતિહાસ અને કલામાં આવું ક્યારેય કરાતું નથી.’
ડેનિનોએ એવો ખુલાસો પણ કર્યો કે આ પહેલા ધોરણ 6ના પુસ્તકમાં પણ NCERTના કેટલાક સભ્યોએ આ મૂર્તિના નગ્ન હોવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને વિવાદાસ્પદ ગણાવી હતી. જો કે, તે સમયે ડેનિનોના વિરોધ બાદ તેને હટાવવાને બદલે માત્ર અંદરના પાના પર નાના કદમાં છપાઈ હતી. મિશેલ તે સમયે NCERTના ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તકની ‘ટેક્સ્ટબુક ડેવલપમેન્ટ કમિટી’ના વડા હતા.
NCERT દ્વારા અપાયેલો જવાબ
આ સમગ્ર વિવાદ પર NCERTના અધિકારીઓનો પક્ષ પણ સામે આવ્યો છે. તસવીરમાં કરાયેલા ફેરફાર અંગે જ્યારે NCERTના નિયામક દિનેશ પ્રસાદ સકલાનીને સવાલ કરાયો, ત્યારે તેમણે આ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું છે કે, ‘મને નથી લાગતું કે આની પાછળ કોઈ ખાસ કારણ હોય. ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ડાન્સિંગ ગર્લની તસવીર એવી જ છે, જેવી અન્ય હડપ્પીય શોધખોળોની છે.’
નોંધનીય છે કે, ધોરણ 9ના જે પુસ્તકને લઈને વિવાદ થયો છે, તે NCERTની નવી આર્ટ્સ એજ્યુકેશન સિરીઝનો ભાગ છે. તે નવી શિક્ષણ નીતિ અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક હેઠળ તૈયાર કરાયું છે. તે અંતર્ગત અત્યાર સુધી ધોરણ 1 થી 9 સુધીના પુસ્તકો પ્રકાશિત કરાયા છે.









