NALSAR વિવાદ: કોણ છે મનન મિશ્રા? જેમણે કોકરોચ જનતા પાર્ટીના અલ્ટિમેટમ બાદ બદલવો પડ્યો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BCI Nalsar University Enrollment Controversy : હૈદરાબાદ સ્થિત નેશનલ એકેડેમી ઑફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ(નાલસાર) લો યુનિવર્સિટીના 2026 બેચના ગ્રેજ્યુએટ્સના વકીલ તરીકેના એનરોલમેન્ટ પર બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા(BCI) દ્વારા પહેલા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ આ વિવાદાસ્પદ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદથી બીસીઈના અધ્યક્ષ મનન મિશ્રા અને આ મામલો દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
CJI પોતે વિદ્યાર્થીઓનાં સમર્થનમાં
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ(CJI) જસ્ટિસ સૂર્યકાંતે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના આ પગલા સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને BCI આ મામલે "બેવજહ દખલ" કરી રહી છે. સીજેઆઈએ ઉમેર્યું હતું કે જો વિદ્યાર્થીઓ કાયદાના દાયરામાં રહીને પોતાની વાત રજૂ કરી રહ્યા છે, તો તેમાં કોઈ સંસ્થાએ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.
શું હતો સમગ્ર મામલો?
નાલસાર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાના પ્રસ્તાવ સામે કેટલાક વિદ્યાર્થીઓએ ઈમેઇલ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન બાદ BCI અધ્યક્ષ મનન મિશ્રાએ રાજ્યની તમામ બાર કાઉન્સિલને નિર્દેશ આપ્યો હતો કે 2026માં નાલસારમાંથી સ્નાતક થનાર વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ ન કરવામાં આવે. આ મામલે સોશિયલ મીડિયા પર પણ ભારે હોબાળો મચ્યો હતો અને વિવિધ પક્ષો દ્વારા પ્રતિક્રિયાઓ સામે આવી હતી.
BCI દ્વારા નિર્ણયમાં ફેરફાર અને નવું નિવેદન
વિરોધ અને વ્યાપક ચર્ચા બાદ BCIએ પોતાના નિર્ણયમાં મોટો ફેરફાર કર્યો છે. મનન મિશ્રાએ સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરીને જણાવ્યું કે, પુનર્વિચાર અને નાલસારના વિદ્યાર્થીઓની આ આખી અશાંતિમાં કોઈ સીધી ભૂમિકા ન હોવાની ખાતરી થયા બાદ, BCIએ અગાઉના નિર્દેશો પાછા ખેંચી લીધા છે. હવે 2026 બેચના તમામ વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની સ્ટેટ બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ માટે અરજી કરી શકશે. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને સંસ્થાકીય મર્યાદા જાળવીને પોતાની વાત મૂકવાની સલાહ પણ આપી છે.









