Get The App

મ.પ્ર.માં નાયબ મામલાતદરે મંદિરમાંથી પોતાની ચંપલ ચોરનારને જાતે શોધ્યો

પોલીસને પત્ર લખી ચોર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કાર્યવાહીની માંગ કરી

પોલીસને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
મ.પ્ર.માં નાયબ મામલાતદરે મંદિરમાંથી પોતાની ચંપલ ચોરનારને જાતે શોધ્યો 1 - image

(પીટીઆઇ)     અગર માલવા, તા. ૩

મધ્ય પ્રદેશનાં અગર માલવા જિલ્લાનાં પ્રસિદ્ધ બગલામુખી માતા મંદિરમાંથી પોતાની ચંપલ ચોરી થવા પર એક નાયબ મામલાતદારે સીસીટીવી કેમેરાની મદદથી ચોરને જાતે શોધ્યો હતો અને પોલીસને પત્ર લખી ચોરની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે ચંપલ ચોરીની ઘટના સોમવારે બની હતી જ્યારે નાયબ મામલાતદાર અરુણ ચંદ્રવંશી નલખેડા સ્થિત બગલામુખી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતાં.

ચંદ્રવંશીએ ઘટના અંગે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી)ને સત્તાવાર રીતે પત્ર લખ્યો હતો. આ પત્રનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતાં લોેકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

નાયબ મામલાતદારે પત્રમાં જણાવ્યું હતું કે હું બપોરે ૩.૧૫ વાગ્યે બગલામુખી મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો. મેં મારા ચંપલ રિસિપ્ટ કાઉન્ટર પાસે ઉતાર્યા હતાં. ૩.૨૫ વાગ્યે જ્યારે હું મંદિરમાંથી બહાર આવ્યો તો આ ચંપલ તેના નિર્ધારિત સ્થળે ન હતી. આ ચંપલ ૫૦૦ રૃપિયાની હતી.

નાયબ મામલાતદારે પત્રમાં જણાવ્યું છે કે સીસીટીવી ફૂટેજ અને મંદિરનાં કર્મચારીઓની મદદથી તેમણે પોતાની ચંપલની ચોરી કરનારા ચોરની ઓળખ કરી લીધી હતી. પૂછપરછમાં તેણે તેમની ચંપલ ચોરી હોવાનું પણ સ્વીકાર્યુ હતું.

નાયબ મામલાતદારે પોલીસને લખેલા પત્રમાં માંગ કરી છે કે આ ચોરની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૨૬ અને ૧૭૦ હેઠળ કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે.