India

પહાડી રાજ્યોમાં ચોમાસાનો કહેર: ખીણથી લઈને પૂર્વોત્તર સુધી ભૂસ્ખલન અને પૂરે મચાવી તબાહી, જમ્મુ-કાશ્મીરમાં 23ના મોત

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
ઉત્તર ભારતમાં ચોમાસાનો પ્રકોપ વધતા જમ્મુ-કાશ્મીરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 23 પર પહોંચ્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થયા છે, શાળાઓ અને ચારધામ યાત્રાને અસર થઈ છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આસામના 12 જિલ્લામાં 1.70 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પહાડી રાજ્યોમાં ચોમાસાનો કહેર: ખીણથી લઈને પૂર્વોત્તર સુધી ભૂસ્ખલન અને પૂરે મચાવી તબાહી, જમ્મુ-કાશ્મીરમાં 23ના મોત

Monsoon Havoc North India : દેશના અનેક રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે પૂર, ભૂસ્ખલન અને જળબંબાકારની સ્થિતિ ગંભીર બની છે. જમ્મુ-કાશ્મીરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 23 પર પહોંચી ગયો છે, જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં રસ્તાઓ બંધ થવાથી, શાળાઓ અને ચારધામ યાત્રા પર માઠી અસર પડી છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના અનેક વિસ્તારો માટે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે વિનાશ

જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે, સોમવારે મૃત્યુઆંક વધીને 23 થયો છે. પૂંછ જિલ્લાના લોરાન વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે કાચું મકાન ધરાશાયી થતાં એક મહિલા અને તેના બે બાળકો સહિત સાત લોકોના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયા હતા. પૂંછ અને રાજૌરીના પૂર પ્રભાવિત વિસ્તારોમાં 7 લોકો હજુ પણ લાપતા છે. જમ્મુ-કિશ્તવાડ નેશનલ હાઈવે પણ પથ્થરો પડવાના કારણે બંધ કરી દેવાયો છે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સ્થિતિ વણસી

ઉત્તરાખંડ: સતત વરસાદના કારણે ભૂસ્ખલન થતાં 4 નેશનલ હાઈવે સહિત લગભગ 150 રસ્તાઓ બંધ થઈ ગયા છે. વહીવટી તંત્રે સાવચેતીના ભાગરૂપે ચારધામ યાત્રા અસ્થાયી રૂપે રોકી દીધી છે. તમામ જિલ્લાઓમાં ધોરણ 1 થી 12 ની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દેહરાદૂન, ટિહરી અને હરિદ્વાર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

હિમાચલ પ્રદેશ: હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ 21 જુલાઈના રોજ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 36 થી વધુ રસ્તાઓ બંધ છે.

નાગાલેન્ડ અને પૂર્વોત્તરમાં ભૂસ્ખલનનો પ્રકોપ

નાગાલેન્ડના નોકલાંગસાંગબા સરકારી હાઈસ્કૂલની ઈમારતનો 60 થી 70 ટકા હિસ્સો ભૂસ્ખલનને કારણે ક્ષતિગ્રસ્ત થયો છે, જેના કારણે 40 થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અનિશ્ચિતતા છવાઈ ગઈ છે. સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન સમરદુંગ રોડ ટનલનો પ્રવેશદ્વાર ભૂસ્ખલનના કાટમાળથી બંધ થઈ જતાં 12 શ્રમિકો ફસાયા છે.

અસમમાં 1.70 લાખ લોકો પૂરથી પ્રભાવિત

અસમના 12 જિલ્લામાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. વડા મથક ગુવાહાટીમાં મૂશળધાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે. બ્રહ્મપુત્રા સહિતની મુખ્ય નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. તે જ સમયે, UP અને બિહારમાં પણ હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારે વરસાદનું રેડ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.