Get The App

મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ 1 - image

TMC Crisis West Bengal : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની અંદર અસંતોષ અને આંતરિક બળવાનો એવો જ્વાળામુખી ફાટ્યો છે, જેણે પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીના રાજકીય સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા છે. શનિવારે એક અભૂતપૂર્વ ઘટનાક્રમમાં, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને બોલાવવામાં આવેલી ધારાસભ્ય દળની ઇમરજન્સી બેઠકમાંથી પાર્ટીના 80 માંથી 60 ધારાસભ્યો ગાયબ રહ્યા હતા. ક્યારેક બંગાળની સત્તાનું મુખ્ય કેન્દ્ર ગણાતા કાલીઘાટ આવાસ પર ધારાસભ્યોનો આ અસહકાર સ્પષ્ટ સંકેત આપે છે કે મમતા બેનર્જી વિરૂદ્ધ બળવાની પટકથા લખાઈ ચૂકી છે.

માત્ર 20 ધારાસભ્યો જ પહોંચ્યા, ગાયબ થયેલા 60 નેતાઓ 'નૉટ રીચેબલ'

TMCના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ મહત્વપૂર્ણ બેઠક વિધાયક દળના નેતા શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા મમતા બેનર્જીના નિવાસસ્થાને બોલાવવામાં આવી હતી. બેઠકનો મુખ્ય હેતુ ચૂંટણીમાં મળેલી હાર અને અભિષેક બેનર્જી પર થયેલા હુમલા બાદની સ્થિતિની સમીક્ષા કરવાનો હતો. પરંતુ જ્યારે બેઠક શરૂ થઈ ત્યારે ત્યાં માત્ર 20 ધારાસભ્યો જ હાજર હતા. જ્યારે બાકીના 60 ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓ સંપૂર્ણપણે 'આઉટ ઓફ કવરેજ' (સંપર્ક બહાર) જોવા મળ્યા હતા.

પાર્ટીની નબળી સ્પષ્ટતા: આ મોટી નાલેશી પર પડદો પાડવા માટે ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે એવો નબળો બચાવ કર્યો હતો કે, જે ધારાસભ્યો નથી આવ્યા તેઓ અભિષેક બેનર્જી અને વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલાના વિરોધ પ્રદર્શનમાં વ્યસ્ત હતા. જો કે, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોનું ગાયબ થવું એ કોઈ સંયોગ નહીં પણ સુનિયોજિત બળવો છે.

દિગ્ગજ નેતાઓ દીદી સાથે, પણ પગ નીચેથી જમીન સરકી!

કાલીઘાટમાં મચેલા આ આંતરિક હાહાકાર વચ્ચે મમતા બેનર્જી માટે એકમાત્ર રાહતની વાત એ રહી કે ફિરહાદ હકીમ, નયના બંદોપાધ્યાય, મદન મિત્રા, આશિમા પાત્રા અને કુણાલ ઘોષ જેવા જૂના જોગીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. પરંતુ આ એકતા પણ પાર્ટીને વેરવિખેર થતી રોકવા માટે અપૂરતી સાબિત થઈ રહી છે. આ આંતરિક વિદ્રોહ ઠીક એવા સમયે સામે આવ્યો છે, જ્યારે 24 કલાકની અંદર સોનારપુરમાં પાર્ટીના સેકન્ડ-ઈન-કમાન્ડ અભિષેક બેનર્જીને ભીડ દ્વારા માર મારવામાં આવ્યો અને હુગલીના ચંડીતલામાં વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જીના માથા પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલાઓ દર્શાવે છે કે 2011થી ડાબેરીઓને ઉખાડીને સતત ત્રણ વાર બંગાળ પર રાજ કરનારી ટીએમસીની કાયદો અને વ્યવસ્થા પરથી પકડ સંપૂર્ણપણે ઢીલી થઈ ગઈ છે.

ભવાનીપુરમાં સુવેન્દુ સામે હાર અને કાકોલી ઘોષનું રાજીનામું

ક્યારેક પોતાને અજેય માનતી તૃણમૂલ કોંગ્રેસ આ વખતે ભાજપ સામે અત્યંત ખરાબ રીતે ચૂંટણી હારી ચૂકી છે. સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે ખુદ મમતા બેનર્જી પોતાના સૌથી મજબૂત ગઢ ગણાતા ભવાનીપુર મતવિસ્તારમાંથી ભાજપના નેતા અને વર્તમાન મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી હારી ગયા.

અસંતોષની આગ કેમ ભડકી?

પદ પરથી રાજીનામું: અસંતોષની આ આગમાં ઘી હોમવાનું કામ પાર્ટીના વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ દસ્તીદારે કર્યું છે. તેમણે ટીએમસીના કાર્યકારી અધ્યક્ષ સુબ્રત બક્ષીને ગુસ્સાથી ભરેલો પત્ર લખીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને મમતા બેનર્જીને 'જૂના ઢાંચા' અને જમીની પદ્ધતિઓ પર પાછા ફરવાની સલાહ આપી છે.

નેતાઓની દૂરી: ઘણા ટીએમસી નેતાઓએ દબી જુબાનમાં સ્વીકાર્યું છે કે પાર્ટી પોતાના મૂળ આધાર 'મા, માટી, માનુષ' થી ભટકી ગઈ છે અને મમતા બેનર્જી સહિતનું ટોચનું નેતૃત્વ હવે સામાન્ય કાર્યકરો માટે 'ઇનએક્સેસિબલ' (અપ્રાપ્ય) થઈ ગયું છે.

જો કે, પાર્ટીએ જાહેરમાં ટીકા કરનારાઓ પર લગામ કસવા માટે 5 સભ્યોની કમિટી બનાવી છે, પરંતુ 60 ધારાસભ્યોનો આ ખુલ્લો બળવો સાબિત કરે છે કે બંગાળની રાજનીતિમાં હવે પાણી માથા પરથી પસાર થઈ ચૂક્યું છે.