Get The App

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય!

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! 1 - image

Mamata Banerjee Setback: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માટે રાજકીય મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચૂંટણી પરિણામો બાદ શરૂ થયેલો આંતરિક બળવો હવે કાનૂની વિવાદમાં ફેરવાયો છે. 18 જૂનના રોજ કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાના પદને લઈને ચાલી રહેલા વિવાદ પર મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિધાનસભા સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે, જેનો અર્થ એ છે કે બળવાખોર ધારાસભ્ય વિપક્ષના નેતા પદે યથાવત્ રહેશે.

શું છે સમગ્ર વિવાદ?

રિપોર્ટ્સ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા શોભનદેબ ચટ્ટોપાધ્યાયે બળવાખોર ધારાસભ્યની વિપક્ષના નેતા તરીકેની નિમણૂકને હાઇકોર્ટમાં પડકારી હતી. વાસ્તવમાં, વિપક્ષના નેતા પદ માટે તૃણમૂલ તરફથી બે અલગ-અલગ નામ રજૂ કરવામાં આવ્યા હતા. મમતા બેનરજીના સત્તાવાર જૂથ તરફથી શોભનદેબ ચટ્ટોપાધ્યાયના નામનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જ્યારે પાર્ટીના બળવાખોર ધારાસભ્યોના જૂથે રુતબ્રત બેનરજીનું નામ આગળ ધર્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ રથીન્દ્ર બાસુએ બળવાખોર જૂથના નામને સ્વીકૃતિ આપીને તેમને વિપક્ષના નેતા જાહેર કર્યા હતા. આ નિર્ણય વિરુદ્ધ મમતા બેનરજીના જૂથે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

હાઇકોર્ટે શું આદેશ આપ્યો?

આ અરજી પર સુનાવણી કરતાં કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ ક્રિષ્ના રાવે સ્પીકરના નિર્ણય પર કોઈ વચગાળાનો સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે બંને પક્ષોને પોતાના વિરોધમાં સોગંદનામું દાખલ કરવા અને બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. હવે આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ હાથ ધરવામાં આવશે. કોર્ટના આ ચુકાદા બાદ બળવાખોર ધારાસભ્ય માટે વિધાનસભાના બજેટ સત્રમાં વિપક્ષના નેતા તરીકે સત્તાવાર રીતે કામકાજ સંભાળવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

આ પણ વાંચો: ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ

મમતા બેનરજીના જૂથની દલીલો અને કોર્ટની ટિપ્પણી

મમતા બેનરજીના જૂથે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે સ્પીકરે રાજકીય પક્ષના સત્તાવાર નિર્ણય અને વ્હીપ(Whip)ની અવગણના કરીને બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ કામ કર્યું છે. સ્પીકરે પક્ષના સત્તાવાર નિર્ણયને બદલે માત્ર એક જૂથની સંખ્યાબળના આધારે ઉતાવળિયો નિર્ણય લીધો છે. આ અગાઉ 17 જૂને થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સ્પીકરની કાર્યપદ્ધતિ પર કડક ટિપ્પણીઓ પણ કરી હતી. કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે શું કોઈ પણ દાવા કે આક્ષેપોની સંપૂર્ણ તપાસ કર્યા વિના સ્પીકર આ રીતે સ્વતંત્ર રીતે બહુમતીનો નિર્ણય લઈ શકે? તેમજ અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલાં સ્પીકરે તમામ સંબંધિત પક્ષોને સાંભળવા જોઈતા હતા.

મમતા બેનરજીમાટે ચોતરફથી સંકટ

હાઇકોર્ટના આ ઝટકા બાદ મુખ્યમંત્રી મમતા બેનરજી માટે પડકારો બેવડાયા છે. એકતરફ રાજ્ય વિધાનસભામાં અંદાજે 60 જેટલા ધારાસભ્યો બળવાખોર જૂથ સાથે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ, લોકસભામાં પણ તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદોએ એક અલગ પક્ષ(NCPI) બનાવીને કેન્દ્રમાં NDA સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આમ, મમતા બેનરજીઅત્યારે પક્ષની અંદર અને કોર્ટ બંને મોરચે કાનૂની તથા રાજકીય લડાઈ લડી રહ્યા છે.