Get The App

તૃણમૂલ કોંગ્રેસમાં મમતા સામે ઉગ્ર બળવાના સંકેત, 14 સાંસદની કેન્દ્રીય મંત્રીના ઘરે બેઠક

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
તૃણમૂલ કોંગ્રેસમાં મમતા સામે ઉગ્ર બળવાના સંકેત, 14 સાંસદની કેન્દ્રીય મંત્રીના ઘરે બેઠક 1 - image

20 TMC MP Missing: તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી અને તેમના ભત્રીજા તેમજ સાંસદ અભિષેક બેનર્જીને સોમવારે મોટો ઝટકો લાગે તેવી શક્યતા છે. રાજધાની દિલ્હીથી તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદો ગાયબ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ તમામ સાંસદોને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાક્રમને પગલે ટીએમસીના સંસદીય દળમાં મોટું ભંગાણ પડે તેવી અટકળો તેજ થઈ ગઈ છે. આ સૌની વચ્ચે એવા અહેવાલ છે કે આ 20માંથી 14 સાંસદો કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસે બેઠક કરી રહ્યા છે. 

એક અહેવાલ પ્રમાણે TMCના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોને દિલ્હીમાં જ કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યની માહિતી સામે આવી હતી જેમાંથી 14 સાંસદો કેન્દ્રીય મંત્રીના ઘરે પહોંચ્યા હતા. હાલમાં બંગાળના સીએમ શુભેન્દુ અધિકારી પણ દિલ્હીમાં હોવાથી મમતાની પાર્ટી વધુ એક મોટી તોડફોડ થવાની વાતે જોર પકડ્યું છે.. જોકે, પાર્ટી નેતાઓ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું. ખાસ વાત એ છે કે, આ તાજેતરનો ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે પાર્ટીના સુપ્રીમો મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી બંને જ દિલ્હીમાં હાજર છે અને વિપક્ષી ગઠબંધન 'I.N.D.I.A.'ની બેઠકમાં સામેલ થઈ રહ્યા છે.  

રાજીનામું કે ભંગાણ?

હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ 20 સાંસદોમાં કોનો-કોનો સમાવેશ થાય છે. અહેવાલમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે, આ સાંસદો બે વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. જેમાં પ્રથમ વિકલ્પ લોકસભા સ્પીકરને પત્ર મોકલીને સંસદમાં એક અલગ જૂથ તરીકે માન્યતા આપવા વિનંતી કરવી અથવા તો રાજીનામું આપવાનો છે. કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે કે, જો આ સાંસદો દ્વારા અલગ જૂથની માગ કરવામાં આવશે, તો તેઓ સંસદમાં નેતા તરીકે અભિષેક બેનર્જીનો સ્વીકાર નહીં કરે.   

એક સાંસદે છોડી દીધો સાથ

સોમવારે જ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રેએ TMC અને ગૃહ બંનેમાંથી રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીની ખૂબ પ્રશંસા કરી હતી. સુખેન્દુ શેખર રેએ પશ્ચિમ બંગાળમાં TMCના 15 વર્ષના શાસન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચાર, મહિલાઓ પર અત્યાચાર, કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ તેમજ નબળી આરોગ્ય અને શિક્ષણ પ્રણાલી સહિતના અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.  

સંસદમાં પાર્ટીનો સૌથી મુખર અને બુલંદ અવાજ ગણાતાં વરિષ્ઠ નેતા સુખેન્દુ શેખર રેએ રાજ્યસભાના સભાપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું અને આ સાથે જ તેમણે મમતા બેનર્જીના નેતૃત્વવાળી પાર્ટી છોડવાનું એલાન કર્યું. પોતાના રાજીનામા પત્રમાં રેએ સ્પષ્ટપણે જણાવ્યું કે, હું પોતાની સંસદ સભ્યતા છોડી રહ્યો છું અને તૃણમૂલ કોંગ્રેસ સાથેના પોતાના સંબંધો તોડી રહ્યો છું.  

TMCમાં અસંતોષ ચરમસીમાએ

પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણી બાદTMCમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે અને નારાજ નેતાઓએ જાહેરમાં પક્ષ વિરોધી નિવેદનો આપવાનું શરૂ કરી દીધું હતું. આ આંતરિક વિખવાદ વધતાં પક્ષે કડક પગલાં ભરીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર બે ધારાસભ્યો રિતાબ્રત બેનર્જી અને સંદીપન સાહાને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા.

આ પણ વાંચો: રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી

જોકે, પક્ષની આ કાર્યવાહી બાદ વિવાદ શમવાને બદલે વધુ વકર્યો હતો. આ બંને હાંકી કઢાયેલા નેતાઓની આગેવાનીમાં જ TMCના અન્ય 58 ધારાસભ્યોએ પણ પક્ષ સામે બળવો પોકાર્યો હતો અને TMC વિરુદ્ધ વલણ અપનાવીને એક અલગ જૂથ બનાવી લીધું હતું.