West Bengal Assembly Election : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મયનાગુડીથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરીને ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જાહેર જનતાને સંબોધન કરીને મતાધિકાર અને NCRનો મદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. તેમણે ગંભીર ચિંતા સાથે આશંકા વ્યક્ત કરી છે કે, NCR દ્વારા મતદાર યાદીમાંથી અસલી નામો કાપવામાં આવી શકે છે. આ ઉપરાંત તેમણે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા પર પણ સવાલો ઉઠાવ્યા છે.
મમતાએ ભાજપ, ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
મમતા બેનર્જીએ ઉત્તર બંગાળની રેલીમાં કહ્યું કે, ‘ઓળખ અને નાગરિકતા મામલે સવાલો ઉઠી રહ્યા છે કે, કોને કયા આધાર પર માન્ય ભારતીય મતદાર માનવામાં આવશે? ભાજપ આ મુદ્દે જવાબ આપે. ભાજપ, ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર બંધારણનું પાલન કરતા નથી. આ લોકો મતદાનનો અધિકાર છીનવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે નાગરિકોના મતદારનો અધિકાર છીનવવામાં આવી રહ્યો છે, કાલે આ લોકો એનસીઆર દ્વારા લોકોની નાગરીકતા છિનવી લેશે.’
મમતાએ ભાજપને બંગાળ વિરોધી પાર્ટી કહી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ભાજપને બંગાળ વિરોધી પાર્ટી ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો કે, અન્ય રાજ્યોમાં બંગાળીઓ સાથે મારપીટ કરવામાં આવી રહી છે. આસામમાં અનેક ઉમેદવારી પત્રો રદ થવા પર તેમણે કહ્યું કે, તેઓ પોતાની પાર્ટીના ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે વકીલને સાથે લઈ જવાનું કહેશે. તેમણે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે, ‘ભાજપ ચૂંટણી પહેલા વચનોનો પીટારો ખોલે છે, પરંતુ ચૂંટણી બાદ બુલડોઝર ચલાવવાનું શરૂ કરી દે છે.’
ભાજપ-ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી : મમતા બેનર્જી
તેમણે આક્ષેપ કર્યો કે, સત્તાધારી TMCની શક્તિઓ છીનવી લેવામાં આવી રહી છે, પરંતુ રાજ્યની પ્રજા તેનાથી પણ મોટી તાકાત છે. તેમણે કહ્યું કે, ‘તેઓએ મારી પાસેથી બધું જ છીનવી લીધું, હવે મારી પાસે માત્ર પ્રજા છે.’ તેમણે એવું પણ કહ્યું કે, ‘મને ભાજપ અને ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી.’
અગાઉ SIR પ્રક્રિયા મુદ્દે મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ અને ચૂંટણી પંચ મિલીભગત કરીને લોકોના મતદાનનો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે, SIR પ્રક્રિયા કરતી વખતે અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થયા છે. તેમણે વિપક્ષના તમામ પક્ષોને ભાજપ વિરુદ્ધ એક થવાની અપીલ કરી છે.


