Marathi language Test For Driver : મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં મરાઠી ભાષા મુદ્દે અવાર-નવાર વિવાદ ચાલતો રહે છે, ત્યારે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે જેના કારણે આ વિવાદ વધુ વકરવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના મીરા-ભાયંદરમાં ઓટો અને ટેક્સી ચલાવનારા ડ્રાઈવરો માટે મરાઠી બોલવું ફરજિયાત કરાયું છે. આ માટે સરકારે એક નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં ડ્રાઈવરોની ભાષા ક્ષમતાની તપાસ કરવામાં આવી રહી છે.
12000 ડ્રાઈવરોના દસ્તાવેજોની સાથે ભાષાની પણ ચકાસણી
વાસ્તવમાં રાજ્યમાં ઓટો રીક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને મરાઠી ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડે તે માટે સરકારે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને પ્રોજેક્ટની શરૂઆત મીરા રોડ અને ભાયંદર વિસ્તારમાંથી શરૂ કરવામાં આવી છે. આ બંને વિસ્તારમાં લગભગ 12000થી વધુ ડ્રાઈવરોની પરમિટ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે. જોકે આ વખતે માત્ર તેમના ડોક્યુમેન્ટ્ જ નહીં પરંતુ તેઓ મરાઠી ભાષા કેટલી જાણે છે, તેની પણ ખાતરી કરવામાં આવી રહી છે.
હવે મરાઠીની પરીક્ષા આપવી પડશે
ડ્રાઈવરો માટેનો આ પાયલોટ પ્રોજેક્ટ ‘ફરજિયાત મરાઠી પરીક્ષા’નો શુભારંભ છે. હવે ડ્રાઈવરોને મરાઠી વાંચતા, લખતા, બોલતા આવડવું જોઈએ. આ માટે તેમણે એક નાનો પકરો લખવાનો રહેશે અને મૌખિક ટેસ્ટ પણ આપવાની રહેશે. અગાઉ માત્ર સર્ટિફિકેટ અપાતા હતા, જોકે હવે ડ્રાઈવરોએ પોતાની આવડતર પણ દેખાડવી પડશે.
આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
લાઇસન્સ અને પરમિટ જારી કરવામાં અનિયમિતતાઓ અંગે ઊભી થયેલી ચિંતાઓ બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેના કારણે પરિવહન વિભાગે નિયમો કડક બનાવ્યા છે. મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જણાવ્યું કે, આ પહેલ એવી ફરિયાદો પછી શરૂ કરવામાં આવી છે જેમાં યોગ્ય ચકાસણી પ્રક્રિયાઓની ખામીઓ સામે આવી હતી. નવી સિસ્ટમ ડ્રાઇવરોની મરાઠી કુશળતાનું સીધું મૂલ્યાંકન કરીને જૂની પદ્ધતિથી આગળ વધી છે. અગાઉ ભાષા નિષ્ણાતનું પ્રમાણપત્ર પૂરતું માનવામાં આવતું હતું, પરંતુ હવે એવું નથી. હવે ડ્રાઇવરોએ તેમની ક્ષમતા સાબિત કરવા માટે ટૂંકા ફકરા લખવા પડશે અને મૌખિક પરીક્ષામાંથી પણ પસાર થવું પડશે.
નિયમો શું કહે છે?
મહારાષ્ટ્ર મોટર વ્હીકલ નિયમના નિયમ 24 હેઠળ મરાઠી ભાષાનું જ્ઞાન જરૂરી છે. 2019માં તેને વધુ મજબૂત બનાવવામાં આવ્યું હતું, જેથી ડ્રાઇવરો સ્થાનિક ભાષામાં મુસાફરો અને અધિકારીઓ સાથે યોગ્ય રીતે વાત કરી શકે. જે ડ્રાઇવરો આ પરીક્ષામાં અસફળ થશે અથવા માપદંડો પૂર્ણ નહીં કરે, તેમની પરમિટ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. આ આખું અભિયાન 1 મે સુધી ચાલશે. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને જો તે સફળ રહેશે, તો સમગ્ર રાજ્યમાં આવો નિયમ લાગુ થઈ શકે છે.


