Get The App

મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી 1 - image

- ઈયુ-અમેરિકા સાથે ભારતના વેપાર સોદાથી વિશ્વમાં આર્થિક સ્થિરતા આવશે : વડાપ્રધાન

- રાજ્યસભામાં પીએમના ભાષણના વિરોધ સાથે વિપક્ષનો વોકઆઉટ, લોકસભામાં વડાપ્રધાનના ભાષણ વિના આભાર પ્રસ્તાવ પસાર

નવી દિલ્હી : યુરોપીયન યુનીયન અને અમેરિકા સાથે ભારતના વેપાર સોદા પછી વિશ્વનો સ્થિરતામાં વિશ્વાસ વધ્યો છે. દુનિયા આજે નવા ગ્લોબલ ઓર્ડર તરફ આગળ વધી રહી છે. વિશ્વ મિત્ર તરીકે આજે ભારત અનેક દેશોનું વિશ્વસનીય ભાગીદાર બન્યું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હતું. તેમણે ગૃહમાંથી વોકઆઉટ કરી જેનારા કોંગ્રેસ સહિત વિપક્ષ પર હુમલો કરતા કહ્યું હતું કે, મોહબ્બત કી દુકાન લગાવનારા હવે મોદી કી કબ્ર ખુદેગીના નારા લગાવે છે, પરંતુ તેઓ ક્યારેય મોદીની કબર ખોદવામાં સફળ નહીં થાય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ પર રાજ્યસભામાં આભાર પ્રસ્તાવનો જવાબ આપતા વિકસિત ભારતના પ્રવાસ પર પ્રકાશ પાડયો હતો. લોકસભામાં વિપક્ષના હોબળાના પગલે ગુરુવારે વડાપ્રધાનના ભાષણ વિના જ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર કરી દેવાયો હતો. વર્ષ ૨૦૦૪માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ ભાષણ કરી શક્યા નહોતા. ત્યાર પછી પહેલી વખત લોકસભામાં વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવમાં ભાષણ આપી શક્યા નહીં. 

વડાપ્રધાન મોદીએ ગુરુવારે રાજ્યસભામાં કોંગ્રેસ પર વીણી વીણીને પ્રાહર કર્યા હતા. વિપક્ષ દ્વારા કરાતા મોદી તેરી કબ્ર ખુદેગીના સુત્રોચ્ચાર મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે, અમે વિકસિત ભારતની જમીન તૈયાર કરી રહ્યા છીએ અને કોંગ્રેસ મોદીની કબર ખોદવાની તૈયારી કરી રહી છે. મહોબ્બત કી દુકાન ખોલનારા મોદી તેરી કબ્ર ખુદેગીના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ લોકો મોદીની કબર એટલા માટે ખોલવા માગે છે કારણ કે આ તેમની નફરતનું પ્રતિબિંબ છે. અમે ૩૭૦ની દિવાલ તોડી નાંખી, પૂર્વોત્તર ભારતમાં બોમ્બ-દારૂગોળાના વાદળો હટાવી વિકાસનો માર્ગો ખોલ્યો, પાકિસ્તાની આતંકીઓને ઘરમાં ઘૂસીને જવાબ આપ્યો, અમે ઓપરેશન સિંદૂર કરીએ છીએ, માઓવાદી આતંકથી દેશને છોડાવીએ છીએ. આવા કારણોથી વિપક્ષ મોદીની કબર ખોદવા માગે છે. પરંતુ તેઓ તેમાં ક્યારેય સફળ નહીં થાય.

વડાપ્રધાન મોદીએ ગૃહની બહાર કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે થયેલી બોલાચાલીનો ઉલ્લેખ કરી કોંગ્રેસ નેતા પર પ્રહાર કર્યો હતો. તેમણે હ્યું કે, રાહુલ ગાંધીએ સમગ્ર શીખ સમુદાયનું અપમાન કર્યું છે. આ ગૃહના માનનીય સાંસદને કોંગ્રેસના યુવરાજે ગદ્દાર કહી દીધા. તેમનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે. કોંગ્રેસ છોડીને અનેક નેતાઓએ પક્ષ બદલ્યા છે, પરંતુ રાહુલ ગાંધીએ બીજા કોઈને નહીં રવનીત સિંહ બિટ્ટુને ગદ્દાર કહ્યા. શીખો પ્રત્યે તેમના મનમાં રહેલી નફરત બહાર આવી છે. 

રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિના ભાષણમાં દેશના વિકાસનો સ્વર સંસદમાં ગુંજ્યો છે. દેશનું સામર્થ્ય કેવી રીતે આગળ વધી રહ્યું છે તેની ચર્ચા રાષ્ટ્રપતિના ભાષણમાં થઈ હતી. કોંગ્રેસ પર તીવ્ર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. હવે નવો વર્લ્ડ ઓર્ડર બની રહ્યો છે. બીજા વિશ્વ યુદ્ધ પછી જે વૈશ્વિક વ્યવસ્થા બની હતી તે હવે બદલાઈ રહી છે અને આ નવા સમયમાં ભારતની ભૂમિકા સતત મજબૂત થઈ રહી છે. ભારતે હવે પાછળ જોવા અથવા રોકાવાની જરૂર નથી, પરંતુ વિકસિત ભારતના લક્ષ્યો હાંસલ કરવા માટે ઝડપથી આગળ વધવાનું છે.

તેમણે ઉમેર્યું કે, ભારત ફ્રેજાઈલ-૫ દેશોની શ્રેણીથી બહાર નીકળીને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. દેશનો ઊંચો વિકાસ દર અને ઓછી મોંઘવારી અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે. આ સદીનો બીજો તબક્કો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં નિર્ણાયક સાબિત થશે. આજે બદલાયેલા વર્લ્ડ ઓર્ડરમાં દુનિયા ભારત તરફ આશા અને વિશ્વાસ સાથે જોઈ રહી છે. 

વડાપ્રધાને જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયમાં ભારતે દુનિયાના નવ મોટા દેશો સાથે ટ્રેડ ડીલ કરી છે, જેમાં મધર ઓફ ઓલ ડીલ એક સાથે ૨૭ દેશો સાથે યુરોપીયન યુનીયન  સાથે કરાઈ છે. કોંગ્રેસની ઝાટકણી કાઢતા પીએમે કહ્યું કે, કાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થઈ શકી નહીં. આ બંધારણનું અપમાન છે. આદિવાસી પરિવારમાંથી આવેલાં મહિલા રાષ્ટ્રપતિનું અપમાન છે. વિપક્ષને બંધારણ શબ્દ બોલવાનો પણ અધિકાર નથી. ચેર પર કાગળો ફેંકાયા. ચેર પર આસામના જ એક સભ્ય હતા. શું તે આસામનું અપમાન નથ? ભૂપેન હજારિકાને ભારત રત્ન અપાયો ત્યારે વિપક્ષે તેનો પણ વિરોધ કર્યો હતો. આ આસામનો વિરોધ છે.

વડાપ્રધાને લોકસભાના લીરેલીરા ઊડતા બચાવ્યા : બિરલા

કોંગ્રેસ સાંસદોની પીએમ મોદી પર હુમલાની યોજના હતી : ઓમ બિરલા

- વડાપ્રધાનને મેં જ આગ્રહ કરી ગૃહમાં આવતા રોક્યા, તેમની સાથે કંઈપણ થઈ શકે તેમ હતું : લોકસભા અધ્યક્ષ

નવી દિલ્હી : લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ભાષણ આપતા રોકવા માટે કોંગ્રેસનાં મહિલા સાંસદોએ તેમની બેન્ચ સમક્ષ ધસી જઈને તેમને ઘેરી લીધા હતા. તેમની સાથે કંઈ પણ થઈ શકે તેમ હતું. તેઓ વડાપ્રધાન પર શારીરિક હુમલો કરી શકે તેમ હતા તેમ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે લોકસભામાં જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ પર વડાપ્રધાન મોદી બુધવારે સાંજે ભાષણ કરવાના હતા, પરંતુ તે સમયે કોંગ્રેસનાં મહિલા સાંસદો તેમની બેન્ચ સમક્ષ ધસી ગયા હતા અને તેમને બોલતા રોક્યા હતા. આ ઘટના પછી એમ મનાતું હતું કે, વડાપ્રધાન ગુરુવારે લોકસભામાં ભાષણ આપશે, પરંતુ ગુરુવારે પણ વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ત્રણ વખત ગૃહની કાર્યવાહી ખોરવાઈ હતી. 

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બપોરે ત્રણ વાગ્યે ગૃહ મળ્યું ત્યારે જણાવ્યું હતું કે, તેમણે આજે વડાપ્રધાનને ગૃહમાં આવતા રોક્યા હતા. ગઈકાલે ગૃહમાં જે થયું તે અસાધારણ હતું. કોંગ્રેસ મહિલા સાંસદો છેક પીએમ મોદીની બેન્ચ સમક્ષ ધસી ગયાં હતાં. કોંગ્રેસ સાંસદો તેમના પર શારીરિક હુમલો કરી શકે તેમ હતા. તેમની સાથે કંઈપણ થઈ શકે તેમ હતું. આવી કોઈ ઘટના ઘટી હોત તો લોકતંત્રની મર્યાદાના લીરે લીરા ઉડી ગયા હોત. ગૃહની મર્યાદા જાળવવા માટે જ મેં વડાપ્રધાનને ગૃહમાં નહીં આવવા માટે જણાવ્યું હતું. તેમણે મારું સૂચન માન્યું તે બદલ તેમનો આભાર.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે જણાવ્યું કે, વિપક્ષના કેટલાક સાંસદોએ ગૃહમાં ગઈકાલે જે વર્તન કર્યું તે લોકસભાના ઈતિહાસમાં કાળા ડાઘ સમાન નોંધાઈ ગયું છે. આવું વર્તન ગૃહમાં થવું જોઈતું નહોતુ. બધા લોકોએ ગૃહની કાર્યવાહીમાં સહયોગ કરવો જોઈએ. કોંગ્રેસે વડાપ્રધાન વિરુદ્ધ કંઈક ખોટું વર્તન કરવાની યોજના બનાવી રાખી હતી. તેથી અમે રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચા પર વડાપ્રધાનના જવાબનું ભાષણ ટાળી દીધું. તેમના ભાષણ વિના જ આભાર પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર કરી દેવાયો.