LIVE: એન્ટિ પેપર લીક બિલ રજૂ થતા લોકસભામાં હોબાળો, વિપક્ષના આક્રમક મૂડથી બંને ગૃહો ફરી સ્થગિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MONSOON SESSION LIVE: સંસદના ચોમાસું સત્ર દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે લોકસભામાં 'પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) સુધારા વિધેયક, 2026' રજૂ કર્યું છે. NEET વિવાદ અને દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન બાદ સરકાર પરીક્ષાઓની પારદર્શિતા વધારવા માટે આ મહત્ત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી હતી.
લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી ફરી સ્થગિત
લોકસભાની કાર્યવાહી બે વાગ્યા શરૂ થયા બાદ ફરી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષ અને સત્તાપક્ષને હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા કરવા મુદ્દે પાંચ વાગ્યા સુધી સહમતિ બનાવી લેવા માટે મુદ્દત આપી હતી. બીજી બાજુ રાજ્યસભામાં પણ હોબાળો યથાવત્ રહેતા ત્રણ વાગ્યા સુધી કાર્યવાહી રોકવામાં આવી હતી.
વિપક્ષના આક્રમક મૂડથી સદન ફરી સ્થગિત
લોકસભામાં એન્ટિ પેપર લીક બિલ થયા બાદ વિપક્ષના આક્રમક મૂડને કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ હતી અને ફરી એકવાર બે વાગ્યા સુધી કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.
એન્ટિ પેપર લીક બિલ લોકસભામાં રજૂ
એન્ટિ પેપર લીક બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. વિપક્ષના ભારે હંગામા અને નારાબાજી વચ્ચે PMO રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ બિલ લોકસભામાં રજૂ કર્યું છે. આ પહેલાં, વિપક્ષના ભારે હંગામા વચ્ચે જ લિસ્ટેડ બિઝનેસ હાથ ધરવામાં આવ્યા હતા.
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ, હંગામો
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ગઈ છે. લોકસભામાં સ્પીકરની ચેર પર દિલીપ સૈકિયા આવ્યા છે. દિલીપ સૈકિયાએ સદનને જાણકારી આપી કે સ્પીકરે સ્થગન પ્રસ્તાવની એકપણ નોટિસને મંજૂરી આપી નથી. રાજ્યસભા અને લોકસભા, બંને ગૃહમાં ભારે હંગામા વચ્ચે કાર્યવાહી જારી છે.
સંસદ પરિસરમાં વિપક્ષનો વિરોધ, પેપર લીક મુદ્દે સરકારને ઘેરી
સંસદના બંને ગૃહોની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત થયા બાદ વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિપક્ષી સાંસદોના હાથમાં મોટું બેનર હતું, જેના પર 'વોટ ચોરી' થી લઈને 'ચંદા ચોરી' સુધીના સૂત્રો લખેલા હતા. વિપક્ષી સભ્યો વિદ્યાર્થીઓના આંદોલન પર થયેલા લાઠીચાર્જ અંગે અમિત શાહ પાસે જવાબ માંગતા નારાબાજી કરી રહ્યા છે.
રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેની માંગ- નિયમ 267 હેઠળ ચર્ચા થાય
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખડગેએ કહ્યું કે આ અત્યંત ગંભીર કિસ્સો (રેયરેસ્ટ કેસ) છે. તેના પર નિયમ 267 હેઠળ ચર્ચા થવી જોઈએ. ખડગે બોલી જ રહ્યા હતા ત્યાં જ સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી.
સંસદ બહાર ધર્મેન્દ્ર પ્રધાનનું NDA સાંસદોએ કર્યું સ્વાગત, પાઘડી પહેરાવી અંદર લઈ ગયા
શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પહેલીવાર સંસદ ભવન પહોંચેલા ધર્મેન્દ્ર પ્રધાનનું NDA સાંસદોએ મકર દ્વાર પર જોરદાર સ્વાગત કર્યું હતું.
વિપક્ષ હુમલાવર: NEET રદ કરવા અને વિદ્યાર્થીઓ પર કાર્યવાહી સામે સ્થગન પ્રસ્તાવ
DMK સાંસદ ટી.આર. બાલૂ અને તિરુચિ શિવાએ NEET પર તાત્કાલિક પ્રતિબંધ અને જંતર-મંતર પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગની તપાસ માટે નોટિસ આપી છે. કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોર અને વિજય વસંતે આક્ષેપ કર્યો છે કે 20 જુલાઈના રોજ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પેલેટ ગન અને શોક બેટનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે અંગે ગૃહમાં ચર્ચા થવી જોઈએ.
યુવા સાંસદો સંભાળશે મોરચો, પ્રહ્લાદ જોશી આપશે જવાબો
બિલ પર આશરે 8 થી 10 કલાક ચર્ચા થવાની શક્યતા છે. ભાજપ અને સહયોગી દળો વતી વાંસુરી સ્વરાજ, તેજસ્વી સૂર્યા, સાયોની ઘોષ, મિતાલી બાગ, ડો. શ્રીકાંત શિંદે અને અનુપ્રિયા પટેલ જેવા યુવા સાંસદો ચર્ચામાં ભાગ લેશે. નવા શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશી આજે પ્રથમ વખત પ્રશ્નકાળમાં શિક્ષણ મંત્રાલય સંબંધિત પ્રશ્નોના જવાબો આપશે.
નંદન નીલેકણીની અધ્યક્ષતામાં હાઈ-પાવર ટાસ્ક ફોર્સની રચના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પદ્ધતિને વધુ ટેકનોલોજીકલ અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજી એક્સપર્ટ નંદન નીલેકણીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે.
ટાસ્ક ફોર્સના સભ્યો: પૂર્વ ISRO પ્રમુખ ડો. એસ. સોમનાથ, પૂર્વ IB ડિરેક્ટર તપન ડેકા, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને અમૃત લાલ મીણા.
મેકર-ચેકર મોડલ: આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર ડો. વી. કામકોટીએ જણાવ્યું કે બેંકિંગ ક્ષેત્રની તર્જ પર 'મેકર-ચેકર' મોડલ અપનાવી પેપર સેટ કરનાર વ્યક્તિની જવાબદારી અને પ્રામાણિકતા સુનિશ્ચિત કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ જજ સુધારા બિલ પણ પેશ થશે
આજના કાર્યસૂચિમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા 'સુપ્રીમ કોર્ટ (જજોની સંખ્યા) સુધારા વિધેયક, 2026' પણ ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા સંબંધિત જોગવાઈઓમાં સુધારો કરવાનો છે.









