સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Abhishek Banerjee : કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૃણમૂલ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીને ગેરકાયદેસર બાંધકામ અંગે તાજેતરમાં જ નોટિસ ફટકારવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે પોલીસ પહોંચી ગઈ છે. તેમના ઘરની બહાર પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) દ્વારા તૃણમૂલ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીને ગેરકાયદેસર બાંધકામ મામલે તાજેતરમાં જ નોટિસ આપવામાં આવી હતી. જોકે, પોલીસ તેમના નિવાસસ્થાને કયા ચોક્કસ કારણોસર ગઈ છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
અભિષેક બેનર્જીને મળી હતી ગેરકાયદેસર બાંધકામની નોટિસ
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અભિષેક બેનર્જીની માલિકીની અથવા સહ-માલિકીની હોવાની આશંકાવાળી અનેક પ્રોપર્ટીઝ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. આ તપાસ હેઠળ તેમની 17 જેટલી પ્રોપર્ટીઝ અંગે નોટિસ જારી કરવામાં આવી હતી. ત્યારબાદ અભિષેક બેનર્જીએ KMCને પત્ર લખીને આ ગેરકાયદેસર બાંધકામની નોટિસનો જવાબ આપવા માટે વધારાનો સમય માંગ્યો હતો. આ નોટિસોની નકલો સંબંધિત પ્રોપર્ટીઝની દીવાલો પર ચોંટાડી દેવામાં આવી છે. ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જીના બે આવાસ, જેમાં એક 188 (A) હરીશ મુખર્જી રોડ અને બીજો 121 કાલીઘાટ રોડ પર આવેલો છે, આ બંને હાલ KMCની તપાસના દાયરામાં છે. હરીશ મુખર્જી રોડ સ્થિત પ્રોપર્ટીના કેસમાં 'લીપ્સ એન્ડ બાઉન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ' નામની કોર્પોરેટ સંસ્થાને નોટિસ આપવામાં આવી છે, જેની માલિકી કથિત રીતે બેનર્જી પરિવાર હસ્તક હોવાનું મનાય છે.
મમતા બેનર્જીએ બોલાવી હતી TMC કાઉન્સિલરોની બેઠક
કાલીઘાટ રોડ પર આવેલી પ્રોપર્ટીના મામલામાં અભિષેક બેનર્જીના માતા લતા બેનર્જીના નામે નોટિસ જાહેર કરવામાં આવી છે. આ બંને મિલકતો કોલકાતામાં આવેલી છે અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત આવાસની ખૂબ જ નજીક છે. પશ્ચિમ બંગાળમાં જ્યારે મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસની સરકાર હતી, ત્યારે વિરોધ પક્ષો (CPM, કોંગ્રેસ અને ભાજપ) આ મુદ્દે સતત આક્રમક રહ્યા હતા કે બેનર્જી પરિવારના અલગ-અલગ સભ્યોના નામે મોટી સંખ્યામાં બેનામી પ્રોપર્ટી રજીસ્ટર્ડ છે. જોકે, તે સમયે મમતા બેનર્જીએ આ તમામ આરોપોને વિરોધ પક્ષો દ્વારા માત્ર કાદવ ઉછાળવાનો પ્રયાસ ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. અભિષેક બેનર્જીને મળેલી આ નોટિસના મુદ્દે મમતા બેનર્જીએ કોલકાતાના TMC કાઉન્સિલરોની એક ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી, પરંતુ ચોંકાવનારી વાત એ રહી કે 136 કાઉન્સિલરોમાંથી ખૂબ જ ઓછી સંખ્યામાં કાઉન્સિલરો આ બેઠકમાં હાજર રહ્યા હતા, જે પાર્ટીમાં આંતરિક વિખવાદ તરફ ઇશારો કરે છે.









