Get The App

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
ખડગેએ મોદીને આતંકવાદી કહેતા  વિવાદ, ભાજપે માફીની માગ કરી 1 - image

- મોદી, ભાજપને ન્યાય અને સમાનતામાં વિશ્વાસ નથી : ખડગે 

- આતંકીને ઓસામાજી કહેનારાએ મોદીનું અપમાન કર્યું : ભાજપ

- મે કહેલુ કે મોદી આતંકિત કરી ડરાવે અને ધમકાવે છે : ખડગે

ચેન્નાઇ : કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી સાથે સરખાવ્યા હતા, ખડગેએ કહ્યું હતું કે મોદી રાજકીય પક્ષોને આતંકિત કરી રહ્યા છે. આ નિવેદનથી વિવાદ થતા બાદમાં ખડગેએ કહ્યું હતું કે મે મોદીને આતંકવાદી નથી કહ્યા પરંતુ એમ કહ્યું કે મોદી આતંકિત કરી રહ્યા છે. આ સમગ્ર મામલે બાદમાં ભાજપે ખડગે પાસે માફીની માગણી કરી હતી.    

ચેન્નાઇમાં પ્રેસ કોન્ફરંસને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તમિલનાડુમાં વિપક્ષ એઆઇએડીએમકેએ મોદી સાથે હાથ કેમ મિલાવ્યા, તે આતંકવાદી છે અને સમાનતામાં નથી માનતા, તેમનો પક્ષ પણ સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ નથી રાખતો. આવા લોકોની સાથે એઆઇએડીએમકેએ હાથ મિલાવ્યા છે. જ્યારે પત્રકારોએ આતંકવાદી અંગે સ્પષ્ટતા કરવા કહ્યું તો ખડગેએ કહ્યું હતું કે મારો કહેવાનો મતલબ છે કે મોદી દેશના લોકશાહીના માહોલને આતંકિત કરી રહ્યા છે. મોદી લોકોને અને રાજકીય પક્ષોને આતંકિત કરી રહ્યા છે. 

ખડગેએ નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે  મોદીને મે ક્યારેય આતંકવાદી નથી કહ્યા. મોદી ધમકાવે છે, આઇટી, ઇડી તમામ સંસ્થાઓ તેના હાથમાં છે, તેઓ લોકોને આતંકિત કરી રહ્યા છે. ખડગેએ સ્પષ્ટતા કરી જોકે તેમ છતા તમિલનાડુના ભાજપના નેતા અન્નામલાઇએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના એક વરીષ્ઠ નેતા બહુ જ ગંદી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. વડાપ્રધાનના પદની મર્યાદાને ઠેસ પહોંચાડી રહ્યા છે. સીધા મોદીને આતંકવાદી કહી રહ્યા છે. અમે માગ કરીએ છીએ કે ખડગે જાહેરમાં માફી માગે. બાદમાં ભાજપના મોટાભાગના મંત્રીઓ, નેતાઓએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની ટિકા કરી હતી. સંબિત પાત્રાએ કહ્યું હતું કે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જે ઓસામા બિન લાદેનને ઓસામાજી કહે છે અને વડાપ્રધાન મોદીને આતંકવાદી કહે છે.