'માફીનો સવાલ જ નથી...', કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યો પર ભાજપ ભડક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka MLC Election: મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના રાજકીય તોડફોડના અહેવાલો વચ્ચે હવે કર્ણાટકમાંથી ભાજપ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણીમાં વિપક્ષી ખેમાના ધારાસભ્યોએ મોટા પાયે ક્રોસ વોટિંગ કરતાં સત્તાધારી કોંગ્રેસ પક્ષ 5 બેઠકો જીતવામાં સફળ રહ્યો છે. આ ક્રોસ વોટિંગના કારણે ગઠબંધનના સહયોગી પક્ષ જેડીએસને પોતાની પરંપરાગત બેઠક ગુમાવવી પડી છે, જેને પગલે કર્ણાટક ભાજપ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર અને જેડીએસ નેતા એચ.ડી. કુમારસ્વામીએ બળવાખોર ધારાસભ્યો સામે આકરો આક્રોશ વ્યક્ત કર્યો છે.
ગદ્દારોની ઓળખ થઈ ગઈ છે, કોઈ માફી નહીં: બી.વાય. વિજયેન્દ્ર
કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ પક્ષના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા આ દગા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, "ગઈકાલે કોણે કોણે ક્રોસ વોટિંગ કર્યું છે તેની મારી પાસે સંપૂર્ણ માહિતી છે. જેડીએસના 6થી 7 અને ભાજપના પણ આશરે 5થી 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. પક્ષના જે પણ વિધાયકોએ આ કૃત્ય કર્યું છે, તેમને માફ કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી." તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાથે મળીને ટૂંક સમયમાં જ આ તમામ બળવાખોરો સામે કડક કાનૂની અને શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
સીએમ ડિકે શિવકુમારની મોટી સર્જિકલ સ્ટ્રાઇક
કર્ણાટકમાં આ ક્રોસ વોટિંગને તાજેતરમાં જ સીએમ બનેલા ડિકે શિવકુમારની બહુ મોટી રાજકીય જીત તરીકે જોવામાં આવી રહી છે. કોંગ્રેસ પાસે પોતાના દમ પર માત્ર 141 મતોનું સંખ્યાબળ હતું, પરંતુ વિપક્ષી ધારાસભ્યોમાં ગાબડું પાડીને સત્તાધારી પક્ષે કુલ 151 મતો મેળવ્યા હતા. એટલે કે કુલ 11 વિરોધી વિધાયકોએ કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં મતદાન કર્યું હતું. જ્યાં દેશભરમાં વિપક્ષી પક્ષો તૂટી રહ્યા છે, ત્યાં કર્ણાટકમાં ભાજપ-જેડીએસના ધારાસભ્યો તોડીને શિવકુમારે હાઇકમાન્ડને નવો સંદેશ આપ્યો છે.
જેડીએસ હવે ‘GenZ’(યુવાઓ) ના ભરોસે: એચ.ડી. કુમારસ્વામી
ચૂંટણીમાં ભાજપ પોતાના બંને ઉમેદવારોને જીતાડવામાં સફળ રહી પરંતુ અસલી ફટકો જેડીએસને પડ્યો છે. જેડીએસ પાસે માત્ર 18 મતો હતા અને ક્રોસ વોટિંગના કારણે તેનો એકમાત્ર ઉમેદવાર પણ હારી ગયો. આ કારમી હાર સ્વીકારતા કેન્દ્રીય મંત્રી અને જેડીએસ નેતા એચ.ડી. કુમારસ્વામીએ જણાવ્યું કે, "અમારી પાર્ટીના 4 લોકોએ ક્રોસ વોટિંગ કર્યું છે અને તેઓ પક્ષ છોડવાની ચર્ચા કરી રહ્યા હતા તેની મને પહેલેથી ખબર હતી. જે પક્ષ છોડીને જવા માંગે છે તે જઈ શકે છે." કુમારસ્વામીએ વધુમાં ઉમેર્યું કે, તેઓ આ પરિણામથી નિરાશ નથી અને હવે જેડીએસ પક્ષને નવા સ્તરેથી મજબૂત કરવા માટે આજના આધુનિક યુવાઓ એટલે કે 'GenZ' નેતાઓ પર ભરોસો મૂકશે અને તેમને પક્ષમાં આગળ લાવશે.









