| (IMAGE - IANS) |
Ramalinga Reddy resigns as Karnataka Minister: કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના મંત્રીમંડળની રચના થતાંની સાથે જ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના શપથ ગ્રહણના માત્ર બે જ દિવસમાં વરિષ્ઠ નેતા અને મંત્રી રામલિંગા રેડ્ડીએ નારાજ થઈને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. મનપસંદ ખાતાની ફાળવણી ન થવાને કારણે તેઓ ભારે નારાજ હોવાનું સામે આવ્યું છે. જોકે, મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રામલિંગા રેડ્ડીએ સ્પષ્ટ કર્યું હતું કે, 'હું હજુ પણ કોંગ્રેસ પાર્ટીમાં જ છું અને મેં પક્ષમાંથી રાજીનામું આપ્યું નથી. હું છેલ્લા 53 વર્ષથી કોંગ્રેસમાં છું અને અગાઉ પણ ઘણા મુખ્યમંત્રીઓની કેબિનેટમાં મંત્રી તરીકે કામ કરી ચૂક્યો છું.'
શું છે રામલિંગા રેડ્ડીની નારાજગીનું અસલી કારણ?
આઠ વખત ધારાસભ્ય રહી ચૂકેલા વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડી 'બેંગલુરુ વિકાસ મંત્રાલય' ન મળવાને કારણે ભારે નારાજ છે. તેમણે અગાઉ જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ આ ખાતા સિવાય અન્ય કોઈ મંત્રાલય સ્વીકારશે નહીં. આમ છતાં, સરકારે તેમની માગને બાજુ પર મૂકીને તેમને 'મોટા અને મધ્યમ સિંચાઈ' વિભાગ સોંપી દીધો હતો. ગુરુવારે રાત્રે મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે 13 મંત્રીઓને ખાતા વહેંચ્યા હતા, જેની બેઠકમાંથી રેડ્ડી અધવચ્ચેથી જ બહાર નીકળી ગયા હતા. શુક્રવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને તેમણે મંત્રી પદ છોડવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે મુખ્યમંત્રીને વર્ષ 2023માં આપેલો એ વચન પણ યાદ અપાવ્યુ હતું કે કેબિનેટ ફેરબદલ વખતે તેમને બેંગલુરુ વિકાસ વિભાગ આપવામાં આવશે.
મુખ્યમંત્રી શિવકુમારે પોતાની પાસે રાખ્યા આ વિભાગો
સિદ્ધારમૈયાના રાજીનામા બાદ ડી.કે. શિવકુમારે 3 જૂન 2026ના રોજ કર્ણાટકના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, મુખ્યમંત્રી શિવકુમારે નાણાં, પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ (કર્મચારી અને વહીવટી સુધારણા) તેમજ અન્ય કોઈને ન ફાળવાયેલા તમામ વિભાગો પોતાની પાસે રાખ્યા છે.
અન્ય મંત્રીઓને સોંપવામાં આવી આ મહત્ત્વની જવાબદારીઓ
જી. પરમેશ્વર (ઉપમુખ્યમંત્રી): તેમને મહેસૂલ વિભાગની સાથે યુવા સશક્તિકરણ અને રમતગમત વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રિયંક ખડગે: તેમને ગૃહ વિભાગની સાથે માહિતી ટેકનોલોજી (IT) અને બાયોટેકનોલોજી વિભાગનો પ્રભાર મળ્યો છે.
આ પણ વાંચો: ભાજપને મોટો ઝટકો, દ.ભારતના દિગ્ગજ નેતા અન્નામલાઈએ રાજીનામું આપ્યું, પાર્ટીએ કર્યું મંજૂર
કૃષ્ણા બાયરે ગૌડા: રામલિંગા રેડ્ડી જે ખાતા માટે નારાજ છે, તે 'બેંગલુરુ શહેરી વિકાસ વિભાગ' (બૃહત બેંગલુરુ ઓથોરિટી હેઠળ) કૃષ્ણા બાયરે ગૌડાને સોંપવામાં આવ્યો છે.
યતીન્દ્ર સિદ્ધારમૈયા: પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્રને શહેરી વિકાસ વિભાગ આપવામાં આવ્યો છે, જેમાં શહેરી પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા બોર્ડ અને સ્થાનિક આયોજન સત્તામંડળ સામેલ છે.
ઈશ્વર ખંડ્રે: તેમને ગ્રામીણ વિકાસ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
બૈરાથી સુરેશ અને યુ.ટી. ખાદર: બૈરાથી સુરેશને પરિવહન વિભાગ અને યુ.ટી. ખાદરને આરોગ્ય વિભાગ સોંપાયો છે.
આ ઉપરાંત કે.જે. જ્યોર્જ (ઊર્જા અને પ્રવાસન), એમ.બી. પાટીલ (મોટા અને મધ્યમ ઉદ્યોગો), સતીશ જારકીહોલી (લોકોપયોગી નિર્માણ વિભાગ - PWD), કે.એચ. મુનિયપ્પા (અન્ન અને નાગરિક પુરવઠો) તેમજ શરણ પ્રકાશ પાટીલ (તબીબી શિક્ષણ)ને અગાઉની સિદ્ધારમૈયા સરકારના સમયના જ ખાતાઓ યથાવત રાખવામાં આવ્યા છે.


