India

ભાજપને મોટો ઝટકો, દ.ભારતના દિગ્ગજ નેતા અન્નામલાઈએ રાજીનામું આપ્યું, પાર્ટીએ કર્યું મંજૂર

By GS Team
5 Jun 20263 mins read
TukuTouch Logo
તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ રાજીનામું આપી દીધું છે, જેને ભાજપ હાઈકમાન્ડ દ્વારા સ્વીકારી પણ લેવામાં આવ્યું છે. અન્નામલાઈ છેલ્લા કેટલાક મહિનાઓથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપને મોટો ઝટકો, દ.ભારતના દિગ્ગજ નેતા અન્નામલાઈએ રાજીનામું આપ્યું, પાર્ટીએ કર્યું મંજૂર

Annamalai Resigns From BJP: તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ રાજીનામું આપી દીધું છે, જેને ભાજપ હાઇકમાન્ડ દ્વારા સ્વીકારી પણ લેવામાં આવ્યું છે. અન્નામલાઈ છેલ્લા કેટલાક મહિનાઓથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. તાજેતરમાં જ તેઓ દિલ્હી પણ આવ્યા હતા, જ્યાં તેમણે ભાજપના કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પણ તેમના રાજીનામા અંગે ચર્ચા થઈ હતી. જો કે, હવે તેમણે સત્તાવાર રીતે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે અને પાર્ટીએ તેમનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે. દક્ષિણ ભારતમાં ભાજપનો જનાધાર વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અન્નામલાઈના આ પગલાથી તમિલનાડુનું રાજકારણ ગરમાયું છે.



દ.ભારતના દિગ્ગજ નેતા અન્નામલાઈએ રાજીનામું આપ્યું

ભાજપ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ પ્રમાણે અન્નામલાઈએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તેમના આ રાજીનામાનો તાત્કાલિક અસરથી સ્વીકાર પણ કરી લીધો છે.

પાર્ટીએ રાજીનામાનો સ્વીકાર કર્યો

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણ સિંહની સહી સાથે જારી કરવામાં આવેલી આ પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કે. અન્નામલાઈ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ રહ્યા નથી. પ્રેસ નોટમાં લખવામાં આવ્યું છે કે, 'ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તમિલનાડુના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ દ્વારા પક્ષના પ્રાથમિક સભ્યપદેથી આપવામાં આવેલું રાજીનામું સ્વીકારી લીધું છે.'

અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી

તમને જણાવી દઈએ કે, અન્નામલાઈએ મંગળવારે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમણે પાર્ટી છોડવા પાછળનું કારણ જણાવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અન્નામલાઈ આગામી સમયમાં પોતાની નવી પાર્ટી શરૂ કરી શકે છે. અન્નામલાઈના રાજીનામા અંગે એક સૂત્રએ જણાવ્યું કે, 'તેમને (અન્નામલાઈને) એવું લાગી રહ્યું છે કે ભાજપમાં હવે તેમના માટે કોઈ તક અને ભવિષ્ય નથી.' અન્નામલાઈ વર્ષ 2021માં ભાજપમાં જોડાયા હતા અને હવે તેમણે પક્ષમાંથી સન્માનજનક વિદાય લેવાનો રસ્તો પસંદ કર્યો છે.

તમિલનાડુમાં ભાજપને મજબૂત કરવાનો શ્રેય

41 વર્ષીય અન્નામલાઈ પહેલાથી જ "વી ધ લીડર્સ" નામની સંસ્થા ચલાવી રહ્યા છે, જે આગામી સમયમાં સંભવતઃ તેમની નવી રાજકીય પાર્ટીનું સ્વરૂપ લઈ શકે છે. અન્નામલાઈએ ખાખી વર્દી છોડીને રાજકારણમાં પગ મૂક્યો હતો. ભાજપને પણ તેમનામાં નેતૃત્વની એક આગવી ચમક દેખાઈ હતી, જેના કારણે તેમને ઘણી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તમિલનાડુમાં ભાજપની પકડને મજબૂત કરવાનો શ્રેય અન્નામલાઈના ફાળે જાય છે. તેમના જ નેતૃત્વમાં તમિલનાડુમાં ભાજપનો વોટ શેર જે 2019ની લોકસભા ચૂંટણીમાં માત્ર 3.66 ટકા હતો, તે 2024ની ચૂંટણીમાં વધીને સીધો 11 ટકા પર પહોંચી ગયો હતો.

બિન-રાજકીય આંદોલનની શરૂઆત કરશે અન્નામલાઈ

અન્નામલાઈના નજીકના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓ તમિલનાડુમાં ‘રાષ્ટ્રવાદી-તમિલ દર્શન’ આધારિત એક બિન-રાજકીય આંદોલનની શરૂઆત કરશે. જેને બાદમાં જનભાવનાના આધાર પર રાજકીય પક્ષમાં બદલી શકાય છે. અન્નામલાઈની આગામી રણનીતિની વાત કરીએ તો તેઓ આગામી 7 જૂનના રોજ પોતાના  કોર સમર્થકો સાથે એક મહત્ત્વની બેઠક કરશે. આ બેઠક બાદ તેઓ પોતાની ભવિષ્યની રણનીતિનીનું એલાન કરી શકે છે.