BHAVINI Kalpakkam nuclear success : ભારતીય વિજ્ઞાન અને ઉર્જા ક્ષેત્રે આજે એક એવો સૂર્યોદય થયો છે જેની પ્રતિક્ષા દેશ છેલ્લા સાત દાયકાથી કરી રહ્યો હતો. તમિલનાડુના કલપક્કમ ખાતે આવેલા 'પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર' (PFBR) એ ક્રિટિકાલિટી પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સિદ્ધિ સાથે ભારત હવે રશિયા પછી વિશ્વનો બીજો એવો દેશ બની ગયો છે જેણે ઓટોમોડમાં ન્યુક્લિયર ચેન રિએક્શન શરૂ કરવામાં સફળતા મેળવી હોય. આ માત્ર એક ટેકનિકલ સફળતા નથી, પરંતુ પરમાણુ વિજ્ઞાનના પિતામહ ડૉ. હોમી જહાંગીર ભાભાએ 1950ના દાયકામાં જોયેલા આત્મનિર્ભર ભારતના સપનાનું સાકાર થવું છે.
શું છે આ ઐતિહાસિક સિદ્ધિ?
કલપક્કમમાં સ્થિત 500 મેગાવોટના આ રિએક્ટરે ક્રિટિકાલિટી હાંસલ કરી છે. સરળ ભાષામાં કહીએ તો, હવે આ રિએક્ટરમાં પરમાણુ શૃંખલા પ્રતિક્રિયા આપમેળે અને નિયંત્રિત રીતે શરૂ થઈ ગઈ છે. આ એક એવી જટિલ પ્રક્રિયા છે. જેમાં રિએક્ટર હવે ઉર્જા પેદા કરવાની સાથે સાથે પોતાના ઉપયોગ માટે જરૂરી ઈંધણ કરતાં વધુ ઈંધણ બ્રીડ એટલે કે પેદા પણ કરશે. આ જ કારણે તેને ફાસ્ટ બ્રીડર રિએક્ટર કહેવામાં આવે છે.
ડૉ. હોમી ભાભાનું વિઝન
ભારતના પરમાણુ કાર્યક્રમનો પાયો 1954માં નંખાયો હતો. તે સમયે ડૉ. હોમી જહાંગીર ભાભાએ ભારતની ભૌગોલિક સ્થિતિને સમજીને એક વિશિષ્ટ થ્રી-સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ તૈયાર કર્યો હતો.
ભારતની મજબૂરી અને મજબૂતી
ભારત પાસે યુરેનિયમનો ભંડાર મર્યાદિત છે, પરંતુ વિશ્વનો સૌથી મોટો થોરિયમનો ભંડાર (લગભગ 25%) ભારત પાસે છે. ભાભા જાણતા હતા કે, જો ભારતને ઉર્જા ક્ષેત્રે મહાસત્તા બનવું હોય, તો આપણે થોરિયમનો ઉપયોગ શીખવો જ પડશે. આ માટે તેમણે ત્રણ તબક્કાની યોજના બનાવી હતી.
પ્રથમ તબક્કો: પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) - જે કુદરતી યુરેનિયમ વાપરીને વીજળી અને પ્લુટોનિયમ પેદા કરે.
બીજો તબક્કો: ફાસ્ટ બ્રીડર રિએક્ટર (FBR) - જે પ્લુટોનિયમનો ઉપયોગ કરીને વધુ પ્લુટોનિયમ બનાવે અને થોરિયમને યુરેનિયમ-233 માં રૂપાંતરિત કરે. (કલપક્કમનું આ રિએક્ટર આ બીજા તબક્કાનો હૃદય સમાન હિસ્સો છે.)
ત્રીજો તબક્કો: થોરિયમ બેઝ્ડ રિએક્ટર - જે ભારતના વિશાળ થોરિયમ ભંડારનો ઉપયોગ કરીને હજારો વર્ષો સુધી અખૂટ વીજળી આપી શકે.

PFBR ટેકનોલોજી શા માટે તે આટલી જટિલ છે?
આ રિએક્ટર બનાવવું એ લોઢાના ચણા ચાવવા સમાન હતું. સામાન્ય રિએક્ટરમાં પાણીનો ઉપયોગ કુલન્ટ તરીકે થાય છે, પરંતુ PFBR માં પ્રવાહી સોડિયમ (Liquid Sodium) નો ઉપયોગ થાય છે. સોડિયમ અત્યંત પ્રતિક્રિયાશીલ ધાતુ છે. તે હવા કે પાણીના સંપર્કમાં આવતા જ વિસ્ફોટ કરી શકે છે. તેને 550 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી અવસ્થામાં સતત વહેતું રાખવું એ ઇજનેરી કૌશલ્યની પરાકાષ્ઠા છે. આ રિએક્ટર પ્લુટોનિયમ-યુરેનિયમ મિશ્રિત ઓક્સાઈડ ઈંધણનો ઉપયોગ કરે છે. તે જેટલું ઈંધણ બાળે છે, તેનાથી વધુ ઈંધણ તે પેદા કરે છે, જે ભારત જેવા યુરેનિયમની અછત ધરાવતા દેશ માટે વરદાન સમાન છે.

2004 થી 2026 સંઘર્ષ અને સફળતાની ગાથા
આ પ્રોજેક્ટની શરૂઆત 2004માં થઈ હતી. ટેકનિકલ અવરોધો, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને જટિલ સુરક્ષા માપદંડોને કારણે તેમાં વિલંબ થયો. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોની સંસ્થા ભાવિની (BHAVINI - Bharatiya Nabhikiya Vidyut Nigam Limited) એ હાર ન માની. ભૂતપૂર્વ પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ ડૉ. અનિલ કાકોદકરે આ સિદ્ધિને ભારતીય વિજ્ઞાનનો સુવર્ણકાળ ગણાવ્યો છે. તેમના મતે, આ સફળતાએ સાબિત કર્યું છે કે ભારત વિશ્વની સૌથી જટિલ ટેકનોલોજી પણ સ્વદેશી રીતે વિકસાવી શકે છે.
દેશને શું ફાયદો થશે?
ઉર્જા આત્મનિર્ભરતા ભારત અત્યારે કોલસા અને આયાતી તેલ પર નિર્ભર છે. આ રિએક્ટર સફળતાપૂર્વક ચાલતા ભારત પોતાની વીજ જરૂરિયાતો માટે બીજા દેશો પર નિર્ભર નહીં રહે. નેટ-ઝીરો લક્ષ્ય 2070 ભારત સરકારે 207 સુધીમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પરમાણુ ઉર્જા એ ક્લીન એનર્જી છે, જે ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદરૂપ થશે. લાંબા ગાળે જ્યારે થોરિયમનો ઉપયોગ શરૂ થશે, ત્યારે ભારત વિશ્વમાં સૌથી સસ્તી વીજળી પેદા કરતો દેશ બની શકે છે. ન્યુક્લિયર વેસ્ટમાં ઘટાડો, ફાસ્ટ બ્રીડર રિએક્ટર પરંપરાગત રિએક્ટર કરતા ઓછો પરમાણુ કચરો પેદા કરે છે, જે પર્યાવરણ માટે સુરક્ષિત છે.
વિજ્ઞાનની મોટી જીત
કલપક્કમની આ સફળતા માત્ર વિજ્ઞાનની જીત નથી, પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોના ધૈર્ય અને દ્રઢ નિશ્ચયની જીત છે. રશિયા પછી માત્ર ભારત પાસે જ આ ક્ષમતા છે તે બાબત વિશ્વ સ્તરે ભારતનું કદ વધારે છે. આ રિએક્ટર હવે આવનારા દાયકાઓમાં ભારતના 'થોરિયમ યુગ'ના દ્વાર ખોલશે, જે ભારતને ખરા અર્થમાં વિશ્વગુરુ અને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવશે. રશિયા બાદ ભારત આ ટેકનોલોજી ધરાવતો એકમાત્ર દેશ. ૩-સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામના બીજા તબક્કાની પૂર્ણતા ભાભાના વિઝનના સાકાર થવા સમાન છે. થોરિયમ પાવર: ભારત પાસે વિશ્વનો સૌથી મોટો થોરિયમ ભંડાર છે, જેનો હવે ઉપયોગ શક્ય બનશે.'ભાવિની' દ્વારા સંપૂર્ણ ભારતીય બનાવટનું રિએક્ટર છે. આ ઐતિહાસિક ક્ષણ પર આખું રાષ્ટ્ર ગર્વ અનુભવી રહ્યું છે, કારણ કે હવે ભારતની વીજળી સ્વદેશી તેજથી ઝળહળશે.


