Get The App

અજમેરમાં રસ્તા પર ઇસ્ત્રી કરનારાને આવક વેરા વિભાગે ફટકારી રૂપિયા 598 કરોડની નોટિસ

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
અજમેરમાં રસ્તા પર ઇસ્ત્રી કરનારાને આવક વેરા વિભાગે ફટકારી રૂપિયા 598 કરોડની નોટિસ 1 - image

Ajmer IT Notice News : રાજસ્થાનમાં અજમેરના રામનગરમાં ફૂટપાથ પર ફક્ત પાંચ રુપિયામાં કપડાને ઇસ્ત્રી કરતાં જિતેન્દ્ર બાડોલિયાના પાનકાર્ડનો દૂરુપયોગ કરીને લગભગ 598 કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી છે. દિવસભરની મહેનત કરીને થોડાઘણા રૂપિયા કમાઈ લેતા જિતેન્દ્રને ત્યારે ઝાટકો લાગ્યો જ્યારે આવકવેરા વિભાગે તેને 598 કરોડ 50 લાખ 37 હજાર અને 726 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી. 

આવકવેરા વિભાગની આ નોટિસ જોતાં જ જિતેન્દ્રના હોશ ઉડી ગયા. તેને સમજમાં ન આવ્યું કે તેના નામ પર આટલી મોટી લેવડદેવડ કેવી રીતે થઈ. ડરી ગયેલો જિતેન્દ્ર તરત જ વકીલની જોડે પહોંચ્યો. તપાસમાં સામે આવ્યું કે આવકવેરા રેકોર્ડમાં તેના નામ પર હીરા ઝવેરાતના કારોબાર સાથે સંલગ્ન જંગી રકમના સોદા નોંધાયેલા છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે જીતેન્દ્રને આ પ્રકારના કારોબાર સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી. તે ફક્ત કપડા પ્રેસ કરીને કુટુંબનું ગુજરાન કરે છે.

પ્રારંભિક તપાસમાં ખબર પડી હતી કે બે વર્ષ પહેલાં જિતેન્દ્રનું પાન કાર્ડ અને આધાર કાર્ડ ખોવાઈ ગયું હતું. તેને લાગે છે કે તેના દસ્તાવેજોનો દૂરુપયોગ કરીને કોઈએ બેન્ક ખાતા ખોલાવ્યા, જીએસટી ટેક્સ નંબર પણ લીધો, બનાવટી ફર્મ દ્વારા કરોડો રૂપિયાની લેવડદેવડ કરી. ગુજરાતના સુરતમાં એક કંપની બનાવીને આ છેતરપિંડીને અંજામ આપ્યો હોવાનું કહેવાય છે.

આ કેસની ગંભીરતા જોતાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ તપાસમાં લાગેલી છે. આવકવેરા વિભાગે પણ બેન્ક અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે કે આટલા મોટા નાણાકીય વ્યવહારો છતાં ગ્રાહકને એલર્ટ કેમ ન કરવામાં આવ્યો. બેન્કના મેનેજરને આ વાતને લઈને નોટિસ પાઠવવામાં આવી છે. 

આ આખા ઘટનાક્રમે બેન્કિંગ સિસ્ટમ અને ઓળખપત્રોની સલામતીને લઈને મોટા સવાલ ઊભા કર્યા છે. એક ગરીબ શ્રમિકના નામે કરોડોની લેવડદેવડ થાય છે તે દર્શાવે છે કે સિસ્ટમમાં ક્યાંકને ક્યાંક ખામી છે. તેણે શંકા વ્યક્ત કરી છે કે પાલીહિલમાં રહેતા ડાયમંડના વેપારી શત્રુઘ્નસિંહાએ તેના પેનકાર્ડનો ઉપયોગ કરીને બેન્કમાં ખાતુ ખોલાવ્યું હતું. આ જ ખાતામાંથી 598 કરોડથી પણ વધુ રકમના વ્યવહાર થયા છે. આના કારણે ઇસ્ત્રી કરનારા જીતેન્દ્રનું કામ ઠપ થઈ ગયું છે અને પોલીસ અને વકીલના ચક્કર કાપતા તબિયત પણ બગડી છે.