Get The App

ફારૂક અબ્દુલ્લાની સુરક્ષામાં ચૂકના મુદ્દે રાજ્યસભામાં હોબાળો, ખડગેના સરકાર પર ગંભીર આક્ષેપ

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
ફારૂક અબ્દુલ્લાની સુરક્ષામાં ચૂકના મુદ્દે રાજ્યસભામાં હોબાળો, ખડગેના સરકાર પર ગંભીર આક્ષેપ 1 - image

Image Source: Twitter

Mallikarjun Kharge Farooq Abdullah Security: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારુક અબ્દુલ્લા પર ગઈકાલે રાત્રે થયેલા જીવલેણ હુમલાનો મુદ્દો આજે સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દો ઉઠાવતા કેન્દ્ર સરકારને કઠેડામાં ઉભી કરી હતી. તેમણે સરકારના ઈરાદા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ગૃહના નેતા જેપી નડ્ડાએ તેને ગંભીર મામલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, જરૂરી તપાસ કરવામાં આવશે. જોકે, તેમણે ખડગેના નિવેદનની નિંદા પણ કરી હતી. 

ફારૂક અબ્દુલ્લાની સુરક્ષામાં ચૂકનો મુદ્દે રાજ્યસભામાં હોબાળો

વાસ્તવમાં રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન વિપક્ષના નેતા ખડગેએ કહ્યું કે, 'ગઈકાલે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારુક અબ્દુલ્લા પર હુમલો થયો હતો. જો થોડું મોડું થઈ ગયું હોત તો તેમનો જીવ પણ જઈ શક્યો હોત. તેમણે આ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો હતો. સુરક્ષા કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રીના અધિકારક્ષેત્રમાં આવે છે, જેના કારણે આવી સ્થિતિ બની.' 

જમ્મુ-કાશ્મીરના લોકો તમારા હાથમાં સુરક્ષિત નથી: ખડગે

ખડગેએ આગળ કહ્યું કે, 'જમ્મુ-કાશ્મીરના લોકો તમારા હાથમાં સુરક્ષિત નથી. તેમણે સવાલ કરતા કહ્યું કે, શું સરકારનો ઈરાદો ફારુક અબ્દુલ્લાને મારવાનો છે? ફારુક અબ્દુલ્લાની લોકલ સિક્યોરિટીએ તેમને બચાવ્યા. વિપક્ષના નેતાના પ્રહારનો જવાબ આપતા ગૃહના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે, આ એક ગંભીર મામલો છે. અમે ભારત સરકાર વતી ગૃહને ખાતરી આપીએ છીએ કે જેટલી પણ તપાસની જરૂર પડશે, અમે કરાવીશું.'

આ પણ વાંચો: ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય... OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન

જેપી નડ્ડાનો જવાબ

નડ્ડાએ આગળ કહ્યું કે, 'દોષીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેના ઈરાદાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ગંભીર ઘટનાને રાજકીય દ્રષ્ટિકોણથી જોવી, રાજકીય એંગલ આપવો એ યોગ્ય નથી. એવું પણ તારણ કાઢવું ​​યોગ્ય નથી કે આ સ્ટેટહૂડના કારણે થયું છે. સરકારના ઈરાદાઓ અંગે જે કહેવામાં આવ્યું છે તે કોંગ્રેસ પાર્ટીની માનસિકતા દર્શાવે છે. આ નિંદનીય છે. જમ્મુ-કાશ્મીરમાં શ્યામા પ્રસાદ મુખર્જીના મૃત્યુ અંગે કોંગ્રેસ તરફથી આજ સુધી સ્ટેન્ડ ક્લિયર કરવામાં નથી આવ્યું.'