હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટનાક્રમો ચર્ચાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Strait of Hormuz: ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર વચ્ચે બુધવારે સાંજે વિગતવાર ટેલિફોનિક વાતચીત થઈ હતી. સૂત્રો મુજબ બંને નેતાઓએ હોર્મુઝ સ્ટ્રેટના મુદ્દે વિગતવાર ચર્ચા કરી હતી, જે વૈશ્વિક ઉર્જા પુરવઠા અને વેપાર માટે અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ છે. અરાઘચીએ આ બાબત સાથે જોડાયેલા વિવિધ પાસાઓ પર ડૉ. જયશંકર સાથે ગહન ચર્ચા કરી હતી.
યુદ્ધ વિરામ સંબંધિત નવા ઘટનાક્રમો અંગે ચર્ચા
ઈરાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, આ વાતચીતમાં યુદ્ધ વિરામ સંબંધિત નવા ઘટનાક્રમો, દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોના નેતાઓએ વર્તમાન સ્થિતિના તમામ પાસાઓ પર વાત કરી અને ભવિષ્યમાં પણ એકબીજાના નજીકના સંપર્કમાં રહેવા માટે સહમતી દર્શાવી છે.
'અરાઘચીનો ફોન આવ્યો...': એસ. જયશંકર, ભારતના વિદેશ મંત્રી
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે અરાઘચી સાથે તેમની વાતચીત થઈ છે. તેમણે લખ્યું, 'આજે સાંજે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીનો ફોન આવ્યો. અમે વર્તમાન સ્થિતિના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી. અમે એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા પર સહમત થયા છીએ.'
પ્રાદેશિક શાંતિ જાળવવામાં ભારતની ભૂમિકા મહત્વની
ઈરાન અને ભારત વચ્ચેનો આ સંવાદ વૈશ્વિક કૂટનૈતિકની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિરતા ભારતના આર્થિક હિતો અને ઊર્જા સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે સંકેત આપ્યો છે કે આ ચર્ચા સંબંધિત વધારાની માહિતી બાદમાં જાહેર કરવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિમાં બંને દેશોનું એકબીજા સાથે ચર્ચા કરવું એ દર્શાવે છે કે પ્રાદેશિક શાંતિ જાળવવામાં ભારતની ભૂમિકા મહત્વની છે.









