Get The App

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્ર પ્રમુખ સાથે ફોન પર કરી વાત, જણાવ્યું કયા મુદ્દા પર થઈ ચર્ચા

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્ર પ્રમુખ સાથે ફોન પર કરી વાત, જણાવ્યું કયા મુદ્દા પર થઈ ચર્ચા 1 - image

PM Modi talk UAE President: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 માર્ચે મંગળવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમને ઈદની આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓ વચ્ચે પશ્ચિમ એશિયામાં ઉભા થયેલા તણાવ અંગે પણ ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. આ દરમિયાન ભારતે UAE પર થયેલા હુમલાઓની કડક શબ્દોમાં નિંદા કરી હતી. PM મોદીએ આ વાતચીત અંગેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે.

હોર્મુઝ સ્ટ્રેટ અંગે શું થઈ ચર્ચા?

PM મોદીએ હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષા અને અવરજવરમાં કોઈ અડચણ ન આવે તે મુદ્દે UAEના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ગહન ચર્ચા કરી. આ સાથે જ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી તકે સ્થપાય તે માટે સાથે મળીને કામ ચાલુ રાખવાના લક્ષ્યને ફરી મક્કમતા દાખવી હતી.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'મેં સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાત કરી અને તેમને ઈદની આગોતરી શુભકામનાઓ આપી. અમે પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી.'

ભારતે UAE પર થયેલા હુમલાઓની નિંદા કરી

'અમે UAE પર થયેલા તમામ હુમલાઓની ભારત તરફથી સખત નિંદા કરી છે, જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને નાગરિક માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. અમે હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત અને અવિરત નૌવહન સુનિશ્ચિત કરવાના મહત્વ પર સહમત થયા છીએ. અમે ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.'

આ પણ વાંચો: ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન

પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા સામાન્ય

બીજી તરફ દેશમાં વધી રહેલી એલપીજી (LPG) સિલિન્ડરની માગ અને સપ્લાય પરના દબાણને જોતા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું  છે. સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે પાઇપલાઇન ગેસ (PNG) કનેક્શન માટેની નવી અરજીઓને હવે માત્ર 24 કલાકની અંદર મંજૂરી આપવામાં આવે. સરકારનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકોને સિલિન્ડરના બદલે પાઇપલાઇન ગેસ તરફ વાળવાનો છે, જેથી ઘરેલુ ગેસ પરનું ભારણ ઓછું કરી શકાય. આજે બપોરે પેટ્રોલિયમ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી છે કે દેશમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા સામાન્ય છે. પરંતુ LPG સપ્લાય પર થોડું દબાણ ચોક્કસ છે, પરંતુ ક્યાંય ડિસ્ટ્રીબ્યુટર પાસે ગેસ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો હોય તેવી સ્થિતિ નથી. મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે ગભરાઈને ઍડ્વાન્સ બુકિંગ ન કરે અને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન બુકિંગનો જ આગ્રહ રાખે.

કાળાબજારી સામે લાલ આંખ, 15,000 સિલિન્ડર જપ્ત

ગેસની કાળાબજારી રોકવા માટે સરકાર કડક હાથે કામ લઈ રહી છે. અત્યાર સુધીમાં દેશભરમાં 12,000 જેટલા દરોડા પાડીને આશરે 15,000 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એકલા ઉત્તર પ્રદેશમાં જ દરોડા દરમિયાન 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.