Get The App

ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ! ઈરાને કહ્યું- આપણાં 5 હજાર વર્ષ જૂના સંબંધ, જલ્દી ઉકેલ આવશે

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ! ઈરાને કહ્યું- આપણાં 5 હજાર વર્ષ જૂના સંબંધ, જલ્દી ઉકેલ આવશે 1 - image


Iran in Damage Control Mode After Firing on Indian Tankers in Hormuz : હોર્મુઝ સ્ટ્રેટમાં 'જગ અર્ણવ' અને 'સનમાર હેરાલ્ડ' નામના ભારતીય ટેન્કરો પર થયેલા ફાયરિંગે દિલ્હીમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂત ડો. મોહમ્મદ ફથલીને સમન્સ પાઠવીને કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જહાજો અને નાવિકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. 

ભારત સાથે અમારા 5 હજાર વર્ષ જૂના સંબંધ: ઈરાન 

દિલ્હીમાં જ્યારે રાજદ્વારી ખેંચતાણ ચાલી રહી હતી, ત્યારે હૈદરાબાદમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ હવે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. તેમણે દાવો કર્યો કે તેમને આવી કોઈ ફાયરિંગની ઘટનાની જાણ નથી. ઈલાહીએ ભારત અને ઈરાનના 5 હજાર વર્ષ જૂના સંબંધોને યાદ કરતા કહ્યું કે ભારતને હોર્મુઝના માર્ગથી ઘણો ફાયદો થયો છે અને બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત મજબૂત છે.  ઈરાન યુદ્ધ નહીં પણ શાંતિ ઈચ્છે છે અને આશા છે કે આ ગૂંચવણ જલ્દી ઉકેલાઈ જશે. 

ભારતે ઈરાનને આપી ચેતવણી 

વિદેશ સચિવે ઈરાનના રાજદૂત સાથેની બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું છે કે અગાઉ ઈરાને ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવાની ખાતરી આપી હતી, જેનું પાલન થવું જોઈએ. ભારતે હોર્મુઝના માર્ગે માલવાહક જહાજોની અવરજવર જલ્દીથી પૂર્વવત્ કરવાની માંગ કરી છે. 

શું છે સમગ્ર મામલો

ભારતની 90 ટકા ગેસ આયાત અને મોટો તેલ પુરવઠો આ જ રસ્તેથી આવે છે. શનિવારે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની ગનબોટ્સે ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલા બાદ જહાજોને યુ-ટર્ન લઈ પાછા ફરવાની ફરજ પડી હતી. ફાયરિંગનો ભોગ બનેલા બે જહાજો પૈકી એક 'વેરી લાર્જ ક્રૂડ કેરિયર' (VLCC) છે, જેમાં 20 લાખ બેરલ જેટલો મોટો તેલનો જથ્થો ભરેલો હતો. આ ઘટનાના થોડા જ કલાકોમાં ભારત સરકારે ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથલીને સમન્સ પાઠવી તેડું મોકલ્યું હતું. જે બાદ તેઓ વિદેશ મંત્રાલય સમક્ષ હાજર થયા હતા. જોકે આ ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી અને જહાજોને પણ મોટું નુકસાન પહોંચ્યું નથી.