Get The App

ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત 1 - image

Image  :  IANS


Indore Fire News : મધ્યપ્રદેશના ઈન્દોરમાં વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા સાત લોકોના મોત થયા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ પોઈન્ટમાં થયેલા વિસ્ફોટને કારણે આગ લાગી હતી, જેણે જોતજોતામાં આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું.



મધ્યપ્રદેશના ઈન્દોરના બ્રિજેશ્વરી એનેક્સ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે. એક બહુમાળી મકાનમાં લાગેલી ભીષણ આગમાં સાત રહેવાસીઓએ જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ શિવમ વર્મા અને પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.



કેવી રીતે સર્જાઈ આ હોનારત?

પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આ મકાનની બહાર એક ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જ થઈ રહ્યું હતું. ચાર્જિંગ પોઈન્ટમાં અચાનક વિસ્ફોટ થતા આગ લાગી હતી. આ આગ ઝડપથી મકાનમાં ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે મકાનની અંદર રાખવામાં આવેલા 10 થી વધુ ગેસ સિલિન્ડરો એક પછી એક ફાટ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને લોકોને બહાર નીકળવાની તક જ મળી નહોતી.

કેમિકલ અને પોલીમરના જથ્થાએ આગમાં ઘી હોમ્યું

આ મકાન મનોજ પુગાલિયા નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું છે, જેઓ પોલીમરનો વ્યવસાય કરે છે. તેમણે મકાનમાં જ જ્વલનશીલ કેમિકલ્સ અને પોલીમરનો જથ્થો રાખ્યો હોવાથી આગ મિનિટોમાં આખા બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી. આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, પરંતુ સાત લોકો અંદર જ ફસાઈ ગયા હતા.

બચાવ કામગીરી અને વર્તમાન સ્થિતિ

ઈન્દોર કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું કે, "આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બે માળ ક્લિયર કરી દેવાયા છે અને ત્રીજા માળે તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે." ફાયર ફાઈટરો અને NDRFની ટીમો કાટમાળમાં હજુ પણ કોઈ ફસાયેલું છે કે કેમ તેની તપાસ કરી રહી છે. શાંત રહેણાંક વિસ્તાર અત્યારે ચીખ અને આક્રંદથી ગુંજી રહ્યો છે.