Get The App

રાજા રઘુવંશી હત્યા કેસ: પત્ની સોનમ જેલમાંથી બહાર આવશે, 11 મહિના બાદ મળ્યા જામીન

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
Sonam Raghuvanshi got Bail


Sonam Raghuvanshi got Bail: ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યાના કેસમાં મુખ્ય આરોપી તેની પત્ની સોનમ રઘુવંશીને શિલોંગ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. હત્યાના અંદાજે 11 મહિના બાદ સોનમ જેલમાંથી બહાર આવશે, જેની પુષ્ટિ મૃતક રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ કરી છે. જાણવા મળ્યું છે કે, ટેકનિકલ કારણોસર સોનમને આ રાહત મળી છે. જ્યારે સોનમની ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસે તેને તેની ધરપકડનું કારણ સ્પષ્ટ જણાવ્યું નહોતું, જેને સોનમના વકીલે કોર્ટમાં મુખ્ય મુદ્દો બનાવ્યો હતો અને કોર્ટે આ દલીલ માન્ય રાખી જામીન મંજૂર કર્યા છે.

પ્રેમ સંબંધ અને ઘાતક કાવતરું

સોનમ તેના ભાઈની કંપનીમાં કામ કરતા રાજ કુશવાહાના પ્રેમમાં હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. જોકે, પરિવારના દબાણને કારણે તેના લગ્ન રાજા રઘુવંશી સાથે થયા હતા. લગ્ન પછી પણ સોનમ રાજ સાથે સતત સંપર્કમાં હતી અને બંનેએ મળીને રાજાને રસ્તામાંથી હટાવવાની ખતરનાક વ્યૂહનીતિ ઘડી હતી. 23 મે 2025ના રોજ સોનમ રાજાને હનીમૂનના બહાને શિલોંગ લઈ ગઈ, જ્યાં પૂર્વનિયોજિત કાવતરા મુજબ રાજના મિત્રો સાથે મળીને રાજાની હત્યા કરી તેને ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ

તપાસ અને ધરપકડની વિગતો

2 જૂને રાજાની લાશ મળી આવ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. હત્યાને અંજામ આપીને સોનમ ઇન્દોર આવી ગઈ હતી અને પ્રેમી રાજ સાથે સમય વિતાવ્યો હતો. પરંતુ જ્યારે અન્ય સહ-આરોપીઓ પકડાયા ત્યારે તે ફરાર થઈ ગઈ હતી અને અંતે ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં સોનમને જામીન મળી ગયા છે, પરંતુ તેનો પ્રેમી રાજ કુશવાહા હજુ પણ જેલમાં જ બંધ છે. 

રાજા રઘુવંશી હત્યા કેસ: પત્ની સોનમ જેલમાંથી બહાર આવશે, 11 મહિના બાદ મળ્યા જામીન 2 - image