ભારતમાં મોટી વિમાન દુર્ઘટના ટળી, પાયલટે આપ્યો હતો Maydayનો મેસેજ: રિપોર્ટમાં ખુલાસો
Indigo Guwahati-Chennai Flight Issues Mayday Over Fuel : ભારતમાં અમદાવાદ પ્લેન ક્રેશ જેવી વધુ એક મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ. ઇન્ડિગોની ફ્લાઇટ ગુવાહાટીથી ચેન્નઈ જઈ રહી હતી, જેનું બેંગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
બેંગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગ, સૌ કોઈ સુરક્ષિત
ન્યૂઝ એજન્સી ANIના સૂત્રો અનુસાર પાયલટે ઇંધણ ખૂટી પડવાના કારણે Maydayનો મેસેજ પણ આપી દીધો હતો. જોકે રાહતની વાત રહી છે કે પ્લેને બેંગલુરુમાં સફળ લેન્ડિંગ કર્યું અને મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રહ્યા. ફ્લાઇટમાં કુલ 168 મુસાફરો સવાર હતા. આ સમગ્ર ઘટના ગુરુવારની છે પરંતુ આજે પ્રકાશમાં આવી છે. ઇન્ડિગો વિમાને બેંગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું તે બાદ પાયલટને પદથી હટાવી દેવામાં આવ્યો છે.
સૂત્રો અનુસાર પાયલટ દ્વારા મેડેનો મેસેજ મળ્યા બાદ બેંગલુરુ ઍરપોર્ટ પર મેડિકલ તથા ફાયર વિભાગની ટીમને તાત્કાલિક ધોરણે તૈનાત કરવામાં આવી હતી. ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો.
Maydayનો મેસેજ ક્યારે આપે છે પાયલટ?
જ્યારે વિમાનમાં ઈમરજન્સીની સ્થિતિ સર્જાય અને બચવાનો કોઈ વિકલ્પ ના બચે ત્યારે પાયલટ Mayday(મેડે)નો મેસેજ ATCને પાઠવે છે અને પરિસ્થિતિની જાણ કરે છે. નોંધનીય છે કે જ્યારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું હતું ત્યારે તે વિમાનના પાયલટે પણ અંતિમ ક્ષણોમાં Mayday મેસેજ આપ્યો હતો.