Get The App

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ

Updated: Jun 14th, 2026

GS TEAM

Google News
Google News
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ 1 - image

Indian Sailors Face Uncertainty In Hormuz And Oman Sea : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે હોર્મુઝ જળમાર્ગ અને ઓમાનની ખાડીમાં છેલ્લા 107 દિવસથી 13 ભારતીય ધ્વજ ધરાવતા જહાજો ફસાયેલા છે, જેના પર 562 ભારતીય નાવિકો ભય અને અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહ્યા છે. આવી ગંભીર સ્થિતિ વચ્ચે એમટી સેલેસ્ટિયલ જહાજ પર મેડિકલ કારણોસર એક ભારતીય નાગરિક નિશાંત ઉર્થનાથનનું મોત નીપજ્યું છે. ઓમાનમાં મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસ મૃતક નાવિકના પાર્થિવ દેહને વહેલી તકે ભારત લાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.

મૃતક ભારતીય નાવિકના પાર્થિવ દેહને પરત લાવવાની કવાયત

ઓમાનમાં ભારતીય દૂતાવાસે રવિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, કમનસીબે મેડિકલ કારણોસર જીવ ગુમાવનાર ભારતીય નાગરિક નિશાંત ઉર્થનાથનના પરિવારજનો અને જહાજના ક્રૂ મેમ્બર્સ સાથે દૂતાવાસ સતત સંપર્કમાં છે. નિશાંતનો પાર્થિવ દેહ હાલમાં ઓમાનના દુક્મ પોર્ટ પર એમટી સેલેસ્ટિયલ જહાજ પર રાખવામાં આવ્યો છે. દૂતાવાસ જહાજની મેનેજમેન્ટ કંપની સાથે મળીને તમામ જરૂરી કાનૂની અને વહીવટી વ્યવસ્થાઓ કરી રહ્યું છે જેથી પાર્થિવ દેહને વહેલી તકે સ્વદેશ લાવી શકાય.

આ પણ વાંચો : હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા

કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

કોંગ્રેસે આ મામલે એક્સ પર ટ્વીટ કરીને, કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, 11 જૂનના રોજ ઓમાનમાં ફસાયેલા જહાજ પર ભારતીય સેકન્ડ ઓફિસર નિશાંત ઉર્થનાથનનું અવસાન થયું હતું. છેલ્લા 2-3 દિવસથી તેમનો પાર્થિવ દેહ ભારત પરત લાવવાની રાહ જોવાઈ રહી છે, પરંતુ મોદી સરકાર તરફથી કોઈ મદદ મળી રહી નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, નિશાંતનો દેહ ક્ષીણ થઈ રહ્યો છે અને તેમની સાથેના નાવિકો પાર્થિવ દેહને સુરક્ષિત રાખવા માટે ઠંડા પાણીની બોટલોનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. કોંગ્રેસે નરેન્દ્ર મોદીને નબળા વડાપ્રધાન ગણાવ્યા છે અને માંગ કરી છે કે મોદી સરકાર નિશાંતના પાર્થિવ દેહને સન્માનપૂર્વક વહેલી તકે ભારત લાવે.

યુદ્ધના કારણે દરિયાની વચ્ચે ફસાયા 562 ખલાસીઓ

શિપિંગ મંત્રાલયના આંકડા અનુસાર, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદથી જ 562 ભારતીય નાવિકો અત્યંત કપરી પરિસ્થિતિમાં ફસાયેલા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝના પશ્ચિમ ભાગમાં 329 નાવિકો અને ઓમાનની ખાડીમાં (સ્ટ્રેટ ઓફ હોર્મુઝના પૂર્વ ભાગમાં) 233 નાવિકો દરિયાની અધવચ્ચે અટવાયા છે અને સુરક્ષાના ભારે જોખમ વચ્ચે દિવસો વિતાવી રહ્યા છે.

આ પણ વાંચો : G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા