ભારતીય સંશોધકે કેન્સરના મૂળમાં જઈને તપાસ કરતું જેનએઆઈ પ્લેટફોર્મ બનાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : 'કોઈ કેન્સરના કારણની બહુ ચર્ચા કરતું નથી. લોકો કેન્સરની તપાસ થાય પછી તુરંત સારવાર કરાવે છે, જે યોગ્ય પણ છે. પરંતુ જો કેન્સર થવાનું કારણ જાણવામાં આવે તો તેનાથી ઘણાં ફાયદા થાય છે. પેશન્ટને તો ભવિષ્યમાં કેન્સરથી બચવામાં મદદ મળે જ છે, પરંતુ પરિવારના સભ્યોને પણ એ ઉપયોગી થઈ પડે છે. પ્રદૂષણ, કેમિકલયુક્ત ખોરાક કે ધુ્રમ્રપાન - ક્યું કારણ જવાબદાર છે તેની જાણકારી ખૂબ આવશ્યક છે અને એ માટે મેં આ ટેકનોલોજી વિકસાવી છે.' આ શબ્દો છે દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ ઈન્ફોર્મેશન-ટેકનોલોજી ઈન્સ્ટિટયૂટના એસોસિએટ પ્રોફેસર ગૌરવ આહુજાના.
દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ ઈન્ફોર્મેશન-ટેકનોલોજી ઈન્સ્ટિટયૂટના સંશોધક ગૌરવ આહુજાએ કેન્સર થવાના કારણના મૂળમાં જતી એક ટેકનોલોજી વિકસાવી છે. મલ્ટિએઆઈવર્ષ નામનું એઆઈ પ્લેટફોર્મ પેશન્ટના શરીરમાં વિવિધ ફેક્ટર્સની તપાસ કરીને પરિણામ આપે છે એ સચોટ જણાયું છે. ભારતીય સંશોધકનું આ રિસર્ચ ઈન્ટરનેશનલ જર્નલ કેમિન્ફોર્મેટિકમાં પ્રસિદ્ધ થયો છે. સંશોધકે દાવો કર્યો છે કે આ પ્રકારની દુનિયાની આ પહેલી ટેકનોલોજી છે. જેનએઆઈ કે મલ્ટિએઆઈવર્ષ નામથી બનેલું આ એઆઈ પ્લેટફોર્મ પેશન્ટના ડીએનએમાં ક્યાં ખામી સર્જાઈ અને તેની પાછળ શું કારણ જવાબદાર હતું એની તપાસ કરે છે.
ગુવાહાટીની ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટ અને જેનોમિક્સ ઈન્ટેગ્રેટિવ બાયોલોજી ઈન્સ્ટિટયૂટની મદદથી ગૌરવ આહુજાએ આસામના ૨૭ લોકો પર પરીક્ષણ કર્યું હતું. તેમના એઆઈ મોડલથી ડીએનએ એનાલિસિસ ઉપરાંત શરીરના જુદા જુદા લેયર્સનો અભ્યાસ કરીને જાણી શકાયું કે તેમને કેન્સર થયું તેની પાછળ ક્યાં કારણો જવાબદાર હતા. સંશોધકોનું ધ્યાન કેન્સરની ઓળખ કરવા પૂરતું મર્યાદિત ન હતું. તેમણે કેન્સર થવાના મૂળ કારણ સુધી પહોંચવા માટે એઆઈ ટેકનોલોજી પાસે એનાલિસિસ કરાવ્યું હતું.
ગૌરવ આહુજાએ કહ્યું હતું કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ એમાં કેટલાય દૂષિત કેમિકલ્સના સંપર્કમાં આવીએ છીએ. એ ડીએનએમાં ફેરફાર કરી નાખે છે. લોકો કેન્સરના કારણમાં જાણવાનું બહુ પસંદ કરતા નથી. આ મશીન લર્નિંગ મેથડથી બનેલું એઆઈ ટૂલ કેન્સરની ફૂટપ્રિન્ટ સુધી પહોંચીને સચોટ કારણ આપે છે. તેનાથી ભવિષ્યમાં જે તે વિસ્તારોમાં કેન્સરના દર્દીઓમાં થતો વધારો કે પારિવારિક કારણ વગેરેમાં કેન્સર ઘટાડવામાં મદદરૂપ બની શકાશે.









