India-Bangladesh Controversy On Sheikh Hasina : ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT ) દ્વારા બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગંભીર ગુનાઓ માટે દોષિત ઠેરવીને મૃત્યુદંડની સજા ફટાકારાઈ છે. ઑગસ્ટ 2024માં રાજીનામું આપ્યા બાદથી શેખ હસીના ભારતની રાજધાની દિલ્હીમાં સુરક્ષિત સ્થાને રહે છે. બાંગ્લાદેશ દ્વારા ભારત પાસે હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરાઈ છે. ત્યારે ચાલો જાણીએ ભારત આ મુદ્દે શું કરી શકે છે અને બાંગ્લાદેશની માંગને નકારવાના ભારત પાસે કયા કયા વિકલ્પો છે.
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અને ભારતમાં આશ્રય
ગયા વર્ષે બાંગ્લાદેશમાં થયેલા બળવાના પરિણામ સ્વરૂપે શેખ હસીનાને સત્તા છોડીને ભારતમાં રાજકીય આશ્રય લેવો પડ્યો હતો. ત્યારથી બાંગ્લાદેશમાં તેમની વિરુદ્ધ તપાસ ચાલુ હતી. હવે ICT એ તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હોવાથી આખી દુનિયાનું ધ્યાન આ તરફ દોરાયું છે. શેખ હસીનાના મુદ્દાએ ભારત માટે સંવેદનશીલ રાજનૈતિક સમસ્યા ઊભી કરી છે કે, શું બાંગ્લાદેશના દબાણ હેઠળ હસીનાને પરત સોંપી દેવા, કે પછી અન્ય કોઈ માર્ગ અખત્યાર કરવો?
પ્રત્યાર્પણ માંગણીઓ સતત નિષ્ફળ રહી ચૂકી છે
શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ તેમના રાજીનામા બાદથી જ શરુ થઈ ગઈ હતી. ડિસેમ્બર 2024માં બાંગ્લાદેશ સરકારે ભારતને એક રાજદ્વારી નોંધ મોકલીને હસીનાને કાનૂની કાર્યવાહી માટે હસ્તાંતરિત કરવાની માંગ કરી હતી. ત્યારે વચગાળાની સરકારે આરોપ મૂક્યો હતો કે શેખ હસીના સેંકડો યુવા વિદ્યાર્થીઓના જીવ લેનારી હિંસક ઘટના માટે જવાબદાર છે. આ માંગણીની ભારતે કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી નહોતી. આ ઉપરાંત હસીનાને શોધી કાઢવા અને પરત લાવવા માટે બાંગ્લાદેશે ઇન્ટરપોલની સેવા પણ લીધી હતી, પરંતુ એ પ્રયત્નો પણ સફળ થયા નહોતા.
આ પણ વાંચો : 1000 રૂ. કમાવવાના ચક્કરમાં મુંબઈની મહિલાએ 7 લાખ ગુમાવ્યા, સોનુ-ચાંદી પણ ગિરવે મૂક્યા
ભારત માટે પ્રત્યાર્પણ ન કરવાના સંભવિત કારણો કયા છે?
શેખ હસીનાને સજા થઈ છે, ત્યારે ભારત માટે તેમને બાંગ્લાદેશને સોંપવા કે નહીં એનો નિર્ણય લેવો જટિલ બની ગયો છે. જો શેખ હસીનાનું પ્રત્યાર્પણ નકારવામાં તો એનો અર્થ એ થાય કે ભારત તેમના ગુનાનું સમર્થન આપે છે. જો કે, ભારત પાસે આ મુદ્દાને પડકારવાના પૂરતા કારણો છે ખરા. ખાસ કરીને બે કારણોસર ભારત પ્રત્યાર્પણની માંગણીને ઠુકરાવી શકે છે.
1. ICT પર ભૂતકાળમાં રાજકીય પૂર્વગ્રહથી ચુકાદા આપવાના આરોપો મૂકાયા છે, તેથી ભારત હસીનાના મૃત્યુદંડની સજાનો વિરોધ કરી શકે છે.
2. બાંગ્લાદેશમાં નવી સરકાર હોવાને કારણે ભારત એવો પ્રશ્ન ઉઠાવી શકે છે કે, શું હસીનાની સામેની કાર્યવાહી સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને ન્યાયી છે?
પ્રત્યાર્પણ સંધિના નિયમોનો લાભ ભારત કઈ રીતે ઉઠાવી શકે?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013માં શેખ હસીનાની સરકાર દ્વારા જ પ્રત્યાર્પણ સંધિ થઈ હતી. આ સંધિ ભારતને એવો અધિકાર આપે છે કે જો તેને લાગે કે પ્રત્યાર્પણની માંગણી પાછળ ગુપ્ત રાજકીય હેતુઓ છે, તો તે તેને નકારી શકે છે. આ સિવાય જો એવું લાગે કે આરોપીને તેમના દેશમાં પડકારજનક પરિસ્થિતિ અથવા અન્યાયી કાર્યવાહીનો સામનો કરવો પડશે, તો પણ પ્રત્યાર્પણ ન કરવાનો વિકલ્પ ખુલ્લો છે. જો કે, સંધિમાં એ મર્યાદા પણ છે કે ગંભીર ગુના(જેવા કે, નરસંહાર)ના આરોપીઓને સોંપવાનો ઇન્કાર કરવો અઘરો છે. હસીના પર આવા જ ગંભીર આરોપો છે, જે ન્યાયાતંત્રમાં સાબિત થયા છે, તેથી આ મર્યાદા ભારત માટે એક અડચણ ઊભી કરે છે.
શેખ હસીના સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોને આધારે નિર્ણય લેવાશે?
શેખ હસીના લાંબા સમયથી ભારતના વિશ્વસનીય સાથી રહ્યા છે. સરહદીય સુરક્ષા, આતંકવાદ નિવારણ અને દેશના ઉત્તર-પૂર્વી ભાગોમાં શાંતિ સ્થાપનામાં તેમના યોગદાનને નકારી શકાય નહીં. તેમની સાથે ભારતના સંબંધો હંમેશાં મૈત્રીપૂર્ણ રહ્યા હોવાથી એમ માનવું તર્કસંગત છે કે, ભારત તરત તેમનું પ્રત્યાર્પણ સ્વીકારશે નહીં. આ મુદ્દે ભારતે બાંગ્લાદેશ સાથેના રાજનૈતિક સંબંધો અને માનવાધિકારો પ્રત્યેની પ્રતિબદ્ધતા જેવી બાબતોને ધ્યાનમાં લઈને નિર્ણય એવો પડશે.
આ પણ વાંચો : લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, NIAએ કસ્ટડીમાં લીધો


