Get The App

૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮૪૨૪ કરોડની ટોચે

કુલ નિકાસમાં સરકારી કંપનીઓનો હિસ્સો ૫૪.૮૪ ટકા જ્યારે ખાનગી કંપનીઓનો હિસ્સો ૪૫.૧૬ ટકા

ગત નાણાકીય વર્ષની સરખામણીમાં ૬૨.૬૬ ટકા વધુ નિકાસ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને   ૩૮૪૨૪ કરોડની ટોચે 1 - image

 

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨

ભારતની સંરક્ષણ નિકાસમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં મોટો વધારો નોંધવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ડિફેન્સ એક્સપોર્ટનો આંકડો  વિક્રમજનક ૩૮,૪૨૪ કરોડ રૃપિયાએ પહોંચી ગયો છે.

આ આંકડો ગત નાણાકીય વર્ષનાં ૨૩,૬૨૨ કરોડ રૃપિયાની સરખામણીમાં ૬૨.૬૬ ટકા વધારે છે. સરકારનાં જણાવ્યા અનુસાર આ સિદ્ધિમાં ડીપીએસયુ (ડિફેન્સ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ) અને ખાનગી સેક્ટર બંનેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

કુલ નિકાસમાં ડીપીએસયુનો હિસ્સો ૫૪.૮૪ ટકા અને ખાનગી કંપનીઓનો હિસ્સો ૪૫.૧૬ ટકા રહ્યો છે. આ સફળતા અંગે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું છે કે દેશ સફળતાનાં નવા શિખર સર કરી રહ્યું છે.

રાજનાથ સિંહે ગુરૃવારે એક્સ પર જણાવ્યું હતું કે સંરક્ષણ નિકાસમાં આ મોટો ઉછાળો ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ  પર વધતા વૈશ્વિક વિશ્વાસને દર્શાવે છે.

સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં નિકાસમાં થયેલી ૧૪,૮૦૨ કરોડ રૃપિયાની વૃદ્ધિ ભારતની સ્વદેશી ક્ષમતાઓ પર વધતા વૈશ્વિક વિશ્વાસને દર્શાવે છે.

ભારતની સંરક્ષણ નિકાસ ૨૦૨૪-૨૫માં ૨૩,૬૨૨ કરોડ રૃપિયા અને ૨૦૨૩-૨૪માં ૨૧૦૮૩ કરોડ રૃપિયા રહી હતી. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડયા પછી ભારત સતત પોતાની સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે.

આ માટે આધુનિક શસ્ત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં ભારત સ્વદેશી શસ્ત્રો પર વધારે સક્રિય છે. બીજી તરફ અનેક દેશો ભારત પાસેથી શસ્ત્રોની ખરીદી વધારી રહ્યાં છે જેના કારણે ભારતની ડિફેન્સ એક્સપોર્ટ વિક્રમજનક સ્તરે પહોંચી ગઇ છે.