પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઇંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Approves E100 Fuel: ભારતના ઇંધણ અને ઓટોમોબાઇલ સેક્ટર માટે શનિવારનો દિવસ ખૂબ જ ઐતિહાસિક સાબિત થયો છે. દેશની ક્રૂડ ઓઇલ(કાચા તેલ)ની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને પ્રદૂષણ મુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટું કદમ ઉઠાવ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ 100 ટકા ઇથેનોલ એટલે કે E100ને વાહનોના સત્તાવાર ઇંધણ તરીકે કાનૂની મંજૂરી આપતાં નિયમો પર હસ્તાક્ષર કરી દીધા છે. આ નિર્ણયથી દેશમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો અને જૈવ-ઇંધણ (બાયોફ્યુઅલ) આધારિત નવી પરિવહન વ્યવસ્થાના દ્વાર ખૂલી ગયા છે.
ઓટોમોબાઇલ કંપનીઓ અને માળખાકીય સુવિધાઓ માટે નવો પડકાર
નવા એન્જિનનું ઉત્પાદન: E100ને કાનૂની મંજૂરી મળ્યા બાદ હવે વાહન ઉત્પાદક કંપનીઓએ એવા એન્જિન વિકસાવવા પર ભાર મૂકવો પડશે જે સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલી શકે. કેટલીક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ અગાઉથી જ ફ્લેક્સ-ફ્યુઅલ ટૅક્નોલૉજી ધરાવતા વાહનોના પ્રોટોટાઇપ રજૂ કરી દીધા છે, જેનું હવે મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ શકશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું: આ નીતિને જમીન સ્તરે સફળ બનાવવા માટે હવે પેટ્રોલ પંપો પર વિશેષ સ્ટોરેજ સુવિધાઓ, વિતરણ પ્રણાલી અને સપ્લાય નેટવર્ક વિકસાવવું પડશે. ઇથેનોલની રાસાયણિક લાક્ષણિકતાઓને કારણે સ્ટોરેજ ટેન્ક અને પાઇપલાઇનમાં જરૂરી તકનીકી ફેરફારો કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ચરણબદ્ધ રીતે કામ શરૂ કરશે.
ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રને મળશે મોટો સહેરો
આ નીતિનો સૌથી મોટો ફાયદો દેશના કૃષિ ક્ષેત્રને મળવાની આશા છે.
બજારની નવી તકો: દેશમાં શેરડી, મકાઈ અને અન્ય કૃષિ ઉત્પાદનોનો મોટો હિસ્સો હવે ઇથેનોલના ઉત્પાદન માટે વાપરી શકાશે.
આવકમાં વધારો: આનાથી ખેડૂતોને પાકના વધારાના ઉત્પાદન માટે એક મોટું વૈકલ્પિક બજાર મળશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર વધુ મજબૂત બનશે અને કૃષિ આધારિત ઉદ્યોગોનો વિકાસ થશે.
પર્યાવરણને ફાયદો અને અબજો રૂપિયાની બચત
ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટા ભાગે મોંઘા આયાતી ક્રૂડ ઓઇલ પર નિર્ભર રહે છે, જેના કારણે દેશનું ઘણું વિદેશી હૂંડિયામણ બહાર વહી જાય છે. E100ના વ્યાપારી ઉપયોગથી તેલની આયાત ઘટશે અને દેશની તિજોરી પરનું ભારણ ઓછું થશે. આ ઉપરાંત, ઇથેનોલ એ પ્રમાણમાં સ્વચ્છ અને ગ્રીન ઇંધણ હોવાથી વાહનોમાંથી નીકળતા કાર્બન ઉત્સર્જન અને વાયુ પ્રદૂષણમાં મોટો ઘટાડો નોંધાશે, જે ભારતના પર્યાવરણીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે.









