Get The App

રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ 1 - image

Kerala Political News : કેરળમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં એકતરફ ડાબેરીઓના નેતૃત્વમાં LDF ગઠબંધન છે, તો બીજીતરફ કોંગ્રેસ અને UDFનું ગઠબંધન છે. રિપોર્ટ મુજબ આજે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી, જેમાં મોટો વિવાદ ઉભો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ વખતે ડાબેરી પાર્ટીઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. ડાબેરી પક્ષોએ વાંધો ઉઠાવ્યો છે કે, રાહુલ ગાંધી કેરળમાં ડાબેરી પાર્ટીઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે, જે યોગ્ય નથી. આનાથી ગઠબંધનની એકતા અને સંબંધો અસર થશે.

રાહુલે સાથી પક્ષ પર નિશાન સાધતા મામલો ગરમાયો

દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં સંસદ સત્રને લઈ ચર્ચા થઈ હતી. આ દરમિયાન ડાબેરી સાંસદ જૉન બ્રિટ્સ અને પી.સંતોષ કુમારે વાંધો ઉઠાવીને કહ્યું કે, ‘રાહુલ ગાંધી કોમ્યુનિસ્ટ પાર્ટી અને ભાજપ વચ્ચે ગઠબંધન હોવાનો દાવો કેવી રીતે કરી શકે છે.’ અત્રે એ યાદ રહે કે, રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, કેરળમાં ભાજપ અને કોમ્યુનિસ્ટ વચ્ચે તાલમેલ છે. તેનાથી વધુ રાહુલે ‘કોમ્યુનિસ્ટ જનતા પાર્ટી’ નામનો એક ટર્મનો ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે ડાબેરી નેતાઓ ભડકી ગયા છે. ડાબેરી નેતાઓએ કહ્યું કે, જો ગઠબંધનના સાથી પક્ષો પર આવી ટિપ્પણી કરશો, તો ગઠબંધન કેવી રીતે ચાલશે?

આ પણ વાંચો : હોર્મુઝ બાદ રાતા સમુદ્રમાં પણ જોખમ! ભારતના 1800 કન્ટેઇનર પરત, 2000 કાર ફસાઈ

રાહુલ ગાંધીની હાજરીમાં ડાબેરી નેતાઓએ નિરાશા ઠાલવી

કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે ડાબેરી સાંસદોના વલણ પર નિરાશા વ્યક્ત કરી છે. વેણુગોપાલે કહ્યું કે, ‘આ મામલે પછી વાત કરીશું અને અમે તમને માહિતી આપીશું કે, રાહુલ ગાંધીનો કહેવાનો અર્થ શું હતો. ગઠબંધનની બેઠકમાં રાહુલ ગાંધીની એક સ્પીચના ભાગ મુદ્દે વાંધો ઉઠાવવો, યોગ્ય વાત નથી.’ બેઠક દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ હાજર હતા અને તેમણે કહ્યું કે, આ મુદ્દે પછીથી વાત કરીશું. મોટાભાગના નેતાઓએ કહ્યું કે, હાલની બેઠકમાં સંસદના એજન્ડા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

કેરળમાં ભાજપની સરકાર બનવાનો કોંગ્રેસને ડર

ઉલ્લેખનીય છે કે, કેટલાક મહિનાઓ બાદ કેરળમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ડાબેરી પક્ષોના નેતૃત્વવાળી સરકાર છેલ્લા બે ટર્મથી સત્તા પર છે, જ્યારે રાજ્યમાં ભાજપ ત્રીજા નંબરની પાર્ટી છે. કોંગ્રેસને આશંકા છે કે, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવી શકે છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ