- પલવલમાં દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો
- મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ, રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ટીમ, ડોક્ટરો તૈનાત કરવામાં આવ્યા
- સમગ્ર પ્રભાવિત વિસ્તારના લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા, ચારના મૃત્યુનું કારણ હેપેટાઇટિસ-બી પણ હોવાનું સામે આવ્યું
પલવલ : મધ્ય પ્રદેશના ઇન્દોરમાં દુષિત પાણી પીવાને કારણે અનેક લોકો માર્યા ગયા હતા. આ કાંડની સમગ્ર દેશમાં ચર્ચા હતી ત્યારે હવે હરિયાણામાં પણ ઇન્દોર જેવી જ ઘટના સામે આવી છે. માહિતી મુજબ હરિયાણાના પલવલમાં દુષિત પાણીને કારણે ૧૨ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો બીમાર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક એક બે દિવસ નહીં પણ સપ્તાહથી વધુનો હોવાના અહેવાલો છે.
હરિયાણાના પલવલમાં જે ૧૨ લોકો માર્યા ગયા તેમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમાં ચાર લોકોના મોત હેપેટાઇટિસ-બીને કારણે થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પલવલ જિલ્લામાં છાંયસા ગામમાં બીમારીના કેસો સામે આવ્યા છે જેની તપાસ માટે સ્વાસ્થ્ય વિભાગની ટીમને ગામમાં તૈનાત કરવામાં આવી છે.
ગામમાં અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી છે. જોકે કેટલાક ગ્રામીણોંનો દાવો છે કે મૃતકોની સંખ્યા આનાથી વધુ છે અને તેમાં કેટલાક યુવા વયના પણ સામેલ છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતકોમાં ચાર લોકોના મોતનું કારણ હેપેટાઇટિસ-બી હોવાનું સામે આવ્યું છે. અન્ય ત્રણ મામલાઓમાં મોતનું કારણ તપાસ બાદ જ સામે આવી શકશે. હાલમાં દુષિત પાણી જવાબદાર હોવાની શક્યતાઓને નકારી ના શકાય તેમ પણ અધિકારીઓએ કહ્યું હતું. હેપેટાઇટિસ-બી એક ગંભીર સંક્રમણ છે, જે વાયરસને કારણે ફેલાતો હોય છે.
હાલમાં આ વિસ્તારમાં રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ટીમ લોકોના લોહીના નમૂના લઇ રહી છે અને તપાસ કરી રહી છે. જે વિસ્તારમાં આ ઘટના સામે આવી છે ત્યાં છ હજારથી વધુ લોકો રહે છે જેથી તમામ લોકોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.


