IAF Sultanpur Airshow : ભારતીય વાયુસેના આજે ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર આવેલી 3.2 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ પર મોટું યુદ્ધાભ્યાસ કરી રહી છે. કટોકટીના સમયે હાઈવેનો ઉપયોગ રન-વે તરીકે કરવાની ક્ષમતા ચકાસવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. આ અભ્યાસ બે તબક્કામાં રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે.
વાયુસેનાના શક્તિશાળી વિમાનોનું પરાક્રમ
આ એર શોમાં વાયુસેનાના શક્તિશાળી વિમાનો સુખોઈ-30 MKI, જગુઆર, મિરાજ-2000 અને સ્વદેશી તેજસ ફાઈટર જેટ્સ પરાક્રમ બતાવી રહ્યા છે. આ ઉપરાંત C-295 અને AN-32 જેવા ટ્રાન્સપોર્ટેશન વિમાનો પણ આ અભ્યાસમાં સામેલ થયા છે. ખાસ કરીને સુખોઈ અને મિરાજ વિમાનો દ્વારા 'ટચ એન્ડ ગો' ડ્રિલ કરવામાં આવી રહી છે, જેમાં વિમાન રનવેને સ્પર્શીને તરત જ ફરી ઉડાન ભરે છે.
શોમાં સ્પેશિયલ ફોર્સ અને હેલિકોપ્ટરો પણ સામેલ
યુદ્ધાભ્યાસમાં MI-17 V5 હેલિકોપ્ટર દ્વારા સ્પેશિયલ ફોર્સના જવાનોને 'સ્લિદરિંગ' ટેકનિકથી નીચે ઉતારવાનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ એરસ્ટ્રીપ 320 MM જાડી બનાવવામાં આવી છે જેથી ભારે લડાયક વિમાનોનું વજન સરળતાથી સહન કરી શકે.
આ યુદ્ધ અભ્યાસનું મહત્ત્વ
જો યુદ્ધ સમયે દુશ્મન દેશ મુખ્ય એરબેઝને નિશાન બનાવે, તો આવા હાઈવે એરસ્ટ્રીપ બેકઅપ રનવે તરીકે કામ કરે છે. સુરક્ષાના કારણોસર વહીવટીતંત્રે એક્સપ્રેસ-વેનો 12 કિલોમીટરનો હિસ્સો સીલ કરી દીધો છે અને ટ્રાફિકને 1 મે સુધી ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ એરસ્ટ્રીપનું લોકાર્પણ 16 નવેમ્બર 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે સી-130J હર્ક્યુલસ વિમાનમાં અહીં ઉતરીને કર્યું હતું. આ યુદ્ધાભ્યાસથી વાયુસેનાની સજ્જતા મજબૂત થઈ છે અને સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
VIDEO | Uttar Pradesh: The Indian Air Force conducts Emergency Landing Field activation exercise at the airstrip on Purvanchal Expressway in Sultanpur.#IAF #PurvanchalExpressway #UPNews
— Press Trust of India (@PTI_News) April 22, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/mGpJnNG2Vb


