- ડી. કે. શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે
- સિદ્ધારમૈયાના નિરાશ સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શનો શિવકુમારના જુથમાં ઉત્સાહ, ઠેરઠેર ઉજવણીઓ શરૂ
- રાષ્ટ્રીય રાજકારણમાં મને કોઇ રસ નથી : રાજ્યસભા જવાની હાઇકમાન્ડની ઓફરને સિદ્ધારમૈયાએ ઠુકરાવી
વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસે ડી. કે. શિવકુમારને ઉપમુખ્યમંત્રીનું પદ સંભાળી લેવા મનાવી લીધા હતા અને અઢી વર્ષ બાદ મુખ્યમંત્રીનું પદ મળશે તેવી સ્પષ્ટતા કરી હતી. જેથી શિવકુમાર અંતે ઉપમુખ્યમંત્રીના પદથી જ ખુશ રહ્યા હતા, હવે જ્યારે અઢી વર્ષથી વધુ સમય વીતી ચુક્યો છે ત્યારે સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે.
એવા અહેવાલો છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને રાજીનામુ આપવા માટે કહ્યું હતું, જોકે આ રાજીનામા બાદ સિદ્ધારમૈયાના સમર્થકો દ્વારા કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
અગાઉ એવા અહેવાલો છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધારમૈયાને રાજ્યસભામાં સાંસદ બનાવવાની ઓફર કરી છે, જોકે હાલ સિદ્ધારમૈયા કર્ણાટક છોડે તેવી શક્યતાઓ નથી, તેમણે કહ્યું હતું કે હાઇકમાન્ડે મને રાજ્યસભા જવા કહ્યું છે પરંતુ મે ના પાડી દીધી છે. મને રાષ્ટ્રીય રાજકારણમાં કોઇ રસ નથી જોકે હું રાજકારણ છોડીશ પણ નહીં. સિદ્ધારમૈયા ઘણા સમયથી મુખ્યમંત્રીનું પદ નહોતા છોડી રહ્યા જ્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે પણ પાડોશી રાજ્ય તમિલનાડુમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમના પર રાજીનામાનું દબાણ નહોતુ કર્યું કેમ કે સિદ્ધારમૈયા પાસેથી રાજીનામુ લેવાય તો તેની અસર તમિલનાડુના દલિત, ઓબીસી અને લઘુમતી પર પડવાનો ડર હતો. હાલમાં કર્ણાટકમાં એક તરફ સિદ્ધારમૈયાના સમર્થકો રાજીનામાનો વિરોધ કરી રહ્યા જ્યારે ડી. કે. શિવકુમારના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા છે અને ઠેર ઠેર ઉજવણી કરી રહ્યા છે.


